2021ની સરખામણીએ 47 ટકા વધુ
ભારત સહિત દુનિયાભરમાં સોનાના ભાવમાં તેજીની આગ લાગી છે અને કિંમત નવી ઉંચાઇએ પહોંચી ગઇ છે ત્યારે ભાવની સાથોસાથ સોનાની દાણચોરીમાં પણ મોટો વધારો હોવાના સંકેત મળી રહ્યા છે. 2021ની સરખામણીએ 2022માં જપ્ત થયેલા દાણચોરીના સોનામાં 47 ટકાનો મોટો વધારો માલુમ પડયો હતો જેના આધારે દાણચોરી ઘણી વધી ગઇ હોવાની આશંકા ઉભી થઇ છે. નાણાં મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે 2021માં દેશમાં જુદા જુદા ભાગોમાંથી દાણચોરીનું 2383 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
2020માં આ આંકડો 2154 કિલોનો હતો જયારે 2022માં તે 3502 કિલોનો થયો છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2023ના પ્રથમ બે મહિનાની ગણતરી કરવામાં આવે તો 916 કિલો સોનુ જપ્ત કરી લેવામાં આવ્યું છે. 2022માં દાણચોરીથી સોનુ ઘુસાડવાના 3982 કેસ નોંધાયા હતા જે 2021માં 2445 હતા. રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે કેરળમાંથી સૌથી વધુ માત્રામાં દાણચોરીનું સોનુ પકડાઇ રહ્યું છે. 2022માં રાજયમાંથી 755.81 કિલો દાણચોરીનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું જે આંકડો આગલા વર્ષમાં 586.95 કિલોનો હતો.
કેરળ બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. ત્યાંથી 535.65 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્રીજા સ્થાને તમિલનાડુમાંથી 519 કિલો સોનુ જપ્ત કરાયું હતું. આ સિવાય દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલપ્રદેશ, ચંડીગઢ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાંથી 556.69 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. રીપોર્ટ પ્રમાણે મુંબઇ એરપોર્ટ દાણચોરીનું સોનુ ઘુસાડવા માટેનું હબ બની ગયું હોય તેમ છેલ્લા 11 મહિનામાં 604 કિલો દાણચોરીનું સોનુ પકડાયું હતું જેમની કિંમત 340 કરોડ થવા જાય છે. દિલ્હી એરપોર્ટ પરથી 374 કિલો તથા ચેન્નઇ વિમાની મથકેથી 306 કિલો સોનુ પકડવામાં આવ્યું હતું.
જાણકારોના કહેવા પ્રમાણે ભારતમાં સોના પરની આયાત ડયુટી ઘણી ઉંચી હોવાના કારણે દાણચોરીમાં વૃધ્ધિ થઇ છે. 15 ટકાથી વધુનો ટેકસ લાગતો હોવાથી દાણચોરી મારફત સોનુ ઘુસાડીને સિન્ડીકેટ તગડી કમાણી કરે છે. દાણચોરીથી ઘુસાડાતા સોનામાં પ્રતિ કિલો 8 થી 9 લાખ રૂપિયાનો ફાયદો થતો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનાના વપરાશમાં દુનિયાભરમાં ભારત બીજા નંબરે આવે છે. દર વર્ષે સરેરાશ 800 ટન સોનાનો કારોબાર છે. તેમાંથી 90 ટકા આયાત થાય છે. દર વર્ષે 80 થી 100 ટન સોનુ ઘુસાડવામાં આવતું હોવાનો અંદાજ છે. મ્યાનમાર મીડલીસ્ટ બાંગ્લાદેશ જેવા દેશોમાંથી વધુ દાણચોરી થાય છે.
- Advertisement -