વ્યસન, નબળાઈ અને ભૂલો વચ્ચે પણ શિવજીની ભક્તિનો અધિકાર સૌને
કોણ વધુ ધાર્મિક-આધ્યાત્મિક છે તેનો નિર્ણય કેવી રીતે થઈ શકે?
- Advertisement -
જે અપૂર્ણ છે, અધૂરું છે, અશાંત છે તેના માટે મહેશ્વર મૌજૂદ છે
ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)
– આખું વર્ષ ઈંડા ખાતા અને દારૂ પીતા લોકો હવે મહાદેવને ભજવા નીકળ્યા છે!
- Advertisement -
– કાયમ ગાળો બોલતા માણસોના મોઢે ૐ નમઃ શિવાયના જાપ સારા નથી લાગતા!
– કોઈ દિવસ ગામનાં શિવાલય ગયા નહીં ને હવે સોમનાથ દર્શને હાલી નીકળ્યા!
પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે આવા ઘણા વાક્યો વારંવાર સાંભળવા મળે. આ વાક્ય બોલનારાઓને લાગે છે કે એકમાત્ર તેઓ જ સાચા શિવભક્ત છે અને બાકીના બધા ઠગભક્ત. ઘણીવાર એવી માન્યતા જોવા મળે છે કે ધર્મ, ભક્તિ, ધ્યાન કે આધ્યાત્મિકતા માત્ર સાત્વિક જીવન જીવતા લોકોનો જ વિષય છે. કોઈ વ્યક્તિ માંસાહાર કરતી હોય કે દારૂ પીતી હોય કે ભૂંડા બોલતી હોય તો તેને ધ્યાનધર્મ કરવાનો અધિકાર નથી. અહીં યક્ષપ્રશ્ન એ છે કે શું ધ્યાન-ધર્મના દ્વાર માત્ર સંપૂર્ણ પવિત્ર ગણાતા લોકો માટે જ ખુલ્લા છે? કે પછી તે દરેક મનુષ્યનો અધિકાર છે? અને આપણામાંથી કેટલા પૂર્ણ પવિત્ર આત્મા છે?
ધ્યાન-ધર્મનો હેતુ જ માણસને તેના દોષો સાથે સ્વીકારીને તેને વધુ સારા માર્ગે દોરવાનો છે. જો કોઈ વ્યક્તિ આખું વર્ષ પોતાની કેટલીક ખોટી-ખરાબ આદતો સાથે જીવતી હોય અને શ્રાવણ માસમાં તેને ત્યજીને મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ વ્યક્ત કરવા મંદિરે જાય, ઉપવાસ કરે કે ૐ નમઃ શિવાયના જાપ કરે તો તેની આસ્થા પર સવાલો ઉઠાવી અપમાનિત કરવું કેટલું યોગ્ય છે?
જો આપણે ધર્મગ્રંથો અને ઈતિહાસ જોઈએ તો જાણવા મળે છે કે ભગવાને ક્યારેય ભક્તોની પરીક્ષા તેઓ શું ખાય, શું પીએ કે શું બોલે કે તેમના ભૂતકાળના આધારે લીધી નથી. ભોળાનાથે હંમેશા ભાવ, ભક્તિ અને પરિવર્તનની ઇચ્છાને મહત્ત્વ આપ્યું છે. અને પ્રભુ પાસે પહોંચીને જ શુદ્ધાત્માને પામી શકાય છે.
બુદ્ધે અંગુલિમાલ જેવા ખૂંખાર લૂંટારાને પણ સ્વીકાર્યો હતો. વાલ્મીકિ પણ શરૂઆતમાં સંત નહોતા. અનેક ધાર્મિક ગ્રંથોમાં એવા ઉદાહરણો જોવા મળે છે કે જ્યાં પાપી કે ભટકેલા માણસે ધાર્મિક – આધ્યાત્મિક માર્ગ અપનાવીને જીવન પરિવર્તિત કર્યું. જો ધ્યાન-ધર્મ માત્ર પહેલેથી જ શ્રેષ્ઠ લોકો માટે હોત તો આવા ઉદાહરણો ક્યારેય સર્જાયા ન હોત. શિવરાત્રીની કથા અનુસાર એક ક્રૂર શિકારી (પારધી) જંગલમાં રાત્રે હરણની રાહ જોતાં અજાણતા જ શિવજીની પૂજા કરી બેસે છે, જેનાથી તેનો ઉદ્ધાર થઈ જાય છે.
હવે જો કોઈ વ્યક્તિ અજાણ્યે નહીં પણ જાણીબૂઝી કશું ખોટું-ખરાબ છોડીને શ્રાવણ માસમાં સંયમ પાળતી હોય તો તે તેના માટે આત્મનિયંત્રણનો એક પ્રયાસ હોઈ શકે. કોઈ વ્યસની શ્રાવણ દરમિયાન વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લેતો હોય કે કોઈ અપશબ્દોની જગ્યાએ મંત્રોચ્ચાર કરે તો તે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત પણ બની શકે. જો કોઈ વ્યક્તિ માંસ-મદિરા છોડવા માટે ધ્યાન-ધર્મનો સહારો લેતી હોય તો તેને પહેલા દારૂ છોડ અને માંસ મૂકી દે પછી ધ્યાન-ધર્મ કર કહેવું તર્કસંગત નથી. ઘણીવાર ધ્યાન-ધર્મ જ વ્યક્તિને ખરાબ આચાર-વિચારમાંથી બહાર લાવવાનું માધ્યમ બને છે.
વિચિત્ર વાત એ છે કે, આપણે એટલા દંભી છીએ કે હંમેશા અન્યમાં રહેલી નકારાત્મક બાબતો પર નજર રાખીએ છીએ. અન્યના સ્વભાવ, પ્રામાણિકતા અને માનવતા આપણે જોઈ શકતા નથી. કોઈ વ્યક્તિ જીવનભર દારૂ-ગાંજો પીવાથી કે ચિકન-મટન ખાવાથી દૂર રહી હોય પણ ભ્રષ્ટાચાર, છેતરપિંડી કે અન્યને હાનિ પહોંચાડવા સિવાય કશું કરતી જ ન હોય અને બીજી તરફ કોઈ વ્યક્તિ પોતાની કેટલીક નબળાઈઓ હોવા છતાં ઈમાનદારી અને કરુણાથી જીવન જીવતી હોય તો કોણ વધુ ધાર્મિક-આધ્યાત્મિક છે તેનો નિર્ણય કેવી રીતે થઈ શકે?
અવશ્ય.. બેશક.. નિઃશંકપણે.. મોટાભાગની પરંપરાઓ સંયમ, સાત્વિકતા અને વ્યસનમુક્તિનું સમર્થન કરે છે. જોકે તે ધર્મમાં પ્રવેશ માટેની પૂર્વશરત નથી, તે ધ્યાન-ધર્મના માર્ગ પર આગળ વધવાનું એક લક્ષ્ય છે. શિવાલયના દ્વાર એવા લોકો માટે વધુ જરૂરી છે જેઓ પોતાના જીવનમાં કંઈક સારું પરિવર્તન લાવવા માંગે છે. જે અપૂર્ણ છે, અધૂરું છે, અશાંત છે તેના માટે મહેશ્વર મૌજૂદ છે.
આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ધ્યાન-ધર્મને સુધારાની પ્રક્રિયા નહીં પરંતુ સંસ્કારીઓ માટેના સર્ટિફિકેટ તરીકે જોઈએ છીએ. પરિણામે ઘણા લોકો ધાર્મિક સ્થળો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી દૂર થઈ જાય છે. જ્યારે હકીકતમાં ધ્યાન-ધર્મના દ્વાર દરેક માટે ખુલ્લા હોવા જોઈએ, પછી ભલે તે સંત હોય કે સંઘર્ષ કરી રહેલો સામાન્ય માણસ.
દેવોના દેવ મહાદેવને ભોળાનાથ કહેવાય છે. શાસ્ત્રોમાં તેઓ એવા દેવ તરીકે વર્ણવાયા છે જે ભક્તના ભાવને સ્વીકારે છે. તેઓ ભૂલોને માફ કરી દેનારા દયાળુ દેવોના દેવ છે, શંકર કલ્યાણકારી છે, તમામ જીવો અને આત્માઓના સ્વામી વિશ્વનાથ છે. તેથી ધ્યાન-ધર્મનો સાચો સંદેશ એ નથી કે તેમને પૂજવા માટે કોણ લાયક છે અને કોણ લાયક નથી, સાચો સંદેશ એ છે કે જીવમાં શિવને પામી સુધારાની ઈચ્છા ધરાવતો દરેક મનુષ્ય પશુપતિ સુધી પહોંચવાનો અધિકારી છે.




