ભારતમાં ચોમાસાનો વરસાદ 15 ટકા ઓછો થવાની નિષ્ણાંતોની આગાહી
ભારત જ નહીં દુનિયાના અનેક ભાગોમાં હવામાનમાં અસામાન્ય ફેરફાર સાથે ઉનાળો આકરો બની રહ્યો છે. આવતા મહિનાઓમાં અલ નીનોની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે સમગ્ર વિશ્વમાં ચાલુ વર્ષે ગરમીનો પ્રકોપ સર્જાશે
- Advertisement -
અને તાપમાનમાં સરેરાશ 1.5 ટકાની વૃધ્ધિ થવાનું અનુમાન છે. અલ નીનોના પ્રભાવ હેઠળ ગરમીમાં ચિંતાજનક વધારો થવાની ચેતવણી આપતા હવામાન નિષ્ણાંતોએ એમ જણાવ્યું છે કે 2023 અને 2024માં ન્યુનતમ તાપમાનનો રેકોર્ડ તુટી શકે છે અર્થાત ધરતી વધુ તપશે એટલું જ નહીં વૈશ્વીક તાપમાનનમાં 1.5 ટકાનો વધારો થશે. યુરોપીયન સંઘના કોપરનીકસ કલાયમેટ સર્વિસના રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની વાપસી થવાના સંકેત છે.
ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ અલ નીનોની સંભાવના 70 ટકા છે અને જુન, જુલાઇ, ઓગષ્ટમાં તેનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે. બીજી તરફ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના હવામાન વૈજ્ઞાનિક પ્રો. રઘુ મુર્તુગુડ્ડે એ જણાવ્યું હતું કે ભારતમાં ચોમાસાના વરસાદમાં 15 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ જ રીતે દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશીયા, ઓસ્ટ્રેલિયા તથા પ્રશાંત દ્વીપ હેઠળના દેશોમાં ગરમીની હાલત વધુ ખરાબ રહી શકે છે. દુનિયાના અનેક ભાગોમાં દુષ્કાળ અને વરસાદની ગેરહાજરીના કારણે પરિસ્થિતિ ઘણી વિકટ થઇ શકે છે.
પ્રશાંત મહાસાગરમાં પેરૂની નજીક દરિયાઇ સપાટી ગરમ થવાની ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્યથી વધુ થઇ જાય છે. આ પરિવર્તનને કારણે હવામાનનું ચક્ર અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થઇ જાય છે. છેલ્લા 19 વર્ષમાં 9 વખત અલ નીનોનો પ્રભાવ જોવા મળ્યો હતો અને તેમાંથી 2003, 2005, 2009 અને 2015-16માં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય હતી. 2005માં કૃષિ ઉત્પાદનને 8 ટકા, 2003માં 16 ટકા, ર009માં 10 ટકા અને 2016માં 3 ટકાનું નુકસાન થયું હતું.
- Advertisement -