આધુનિકતા તરફ વધુ એક કદમ : રાજકોટમાં ‘પ્રોસિક્યૂશન સેલ’ બનાવાશે
ગંભીર ગુનાઓમાં દોષસિદ્ધિનું પ્રમાણ વધે અને કોર્ટમાં મજબૂત રજૂઆત થાય તે માટે રાજકોટ શહેર પોલીસ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત કાનૂની કાર્યવાહી માટે સીબીઆઈ જે રીતે કામ કરી રહી છે તેવું મોડલ અપનાવીને ‘પ્રોસિક્યૂશન સેલ’ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સેલ DCP ક્રાઇમ હેઠળ કાર્યરત રહેશે અને શહેરના તમામ પોલીસ મથકોમાંથી એક-એક અધિકારીને તેની સાથે જોડવામાં આવશે.
- Advertisement -
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, તપાસ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે અસરકારક સંકલન ઊભું કરીને ગંભીર ગુનાઓમાં આરોપીઓને કાનૂની છટકબારીનો લાભ ન મળે તે દિશામાં આ પહેલ કરવામાં આવી રહી છે. હાલમાં આ અંગેનો એડિશનલ પોલીસ કમિશનરે તૈયાર કરેલા પ્રોજેક્ટ રિપોર્ટનો અભ્યાસ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેના પર સહી કરી અમલવારી કરાશે. નવી વ્યવસ્થા હેઠળ માત્ર ચાર્જશીટ દાખલ કરવી જ નહીં, પરંતુ કેસ કોર્ટમાં પહોંચે તે પહેલાંથી જ ફરિયાદી, મુખ્ય સાક્ષીઓ, તપાસ અધિકારી અને સરકારી વકીલ વચ્ચે સુનિયોજિત સંકલન કરવામાં આવશે. સાક્ષીઓની જુબાની દરમિયાન ગૂંચવણ ન સર્જાય, દસ્તાવેજી ખામીઓ સમયસર દૂર થાય અને કોર્ટમાં કેસ વધુ અસરકારક રીતે રજૂ થઈ શકે તે માટે દરેક કેસનું પૂર્વ આયોજન કરવામાં આવશે.અગાઉ રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ગંભીર ગુનાઓના કેસ માટે એક-એક પોલીસ અધિકારી નિયુક્ત કરવાનો પ્રયોગ કર્યો હતો. જોકે ગૃહ વિભાગના સ્તરે જરૂરી અનુસરણ અને મોનિટરિંગના અભાવે તે વ્યવસ્થા લાંબો સમય ટકી શકી નહોતી. રાજકોટ પોલીસ હવે વધુ સુવ્યવસ્થિત અને જવાબદારી આધારિત મોડલ અમલમાં મૂકી રહી છે.પોલીસ વર્તુળોમાં માનવામાં આવે છે કે રાજકોટનો આ પ્રયોગ સફળ રહેશે તો રાજ્યના અન્ય પોલીસ કમિશનરેટ અને જિલ્લાઓમાં પણ આ મોડલ અમલમાં મૂકવામાં આવી શકે છે. ગંભીર ગુનાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય સુનિશ્ચિત કરવા રાજકોટ પોલીસની આ પહેલ સમગ્ર ગુજરાત માટે એક નવો માપદંડ બની શકે છે.
આ રીતે પ્રોસિક્યૂશન સેલ કામગીરી કરશે
તમામ પોલીસ મથકમાંથી એક અધિકારીની નિમણૂક.
DCP ક્રાઇમ હેઠળ કેન્દ્રીય સંકલન.
ફરિયાદી, સાક્ષી અને સરકારી વકીલ સાથે પૂર્વ તૈયારી.
ચાર્જશીટ પહેલાં અને પછી કાનૂની ખામીઓની સમીક્ષા.
દોષસિદ્ધિનું પ્રમાણ વધારવા સતત મોનિટરિંગ.
ખૂન, લૂંટ, ધાડ, દુષ્કર્મ, ગુજસીટોક જેવા ગુના પર પ્રોસિક્યૂશન સેલ આપશે વિશેષ ધ્યાન
આ સેલ ખાસ કરીને ખૂન, લૂંટ, ધાડ, દુષ્કર્મ, GUJCTOC અને POCSO જેવા ગંભીર ગુનાઓ પર વિશેષ ધ્યાન આપશે. અનેક વખત મજબૂત તપાસ હોવા છતાં તકનીકી ખામીઓ, સાક્ષીઓ ફરી જવા અથવા કોર્ટમાં નબળી રજૂઆતને કારણે આરોપીઓને રાહત મળી જતી હોય છે. નવી વ્યવસ્થામાં આવી ખામીઓને અગાઉથી જ ઓળખીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન અને એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકની દેખરેખ હેઠળ અમલમાં આવનારી આ વ્યવસ્થા ઘણી હદે CBIના પ્રોસિક્યૂશન મોડલ પરથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. તપાસ અધિકારી અને સરકારી વકીલ વચ્ચે સતત સંકલન રહે તે આ મોડલનું સૌથી મહત્ત્વનું પાસું છે.




