રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમનો દરોડો
87 પેઢી-રેસ્ટોરન્ટની તપાસ, 59 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 96 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 10 નમૂના લેબમાં મોકલાયા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને બિનહાઈજેનિક રીતે ખોરાકના વેચાણ સામે સઘન સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન શહેરભરમાં કુલ 87 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 59 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો નાશ, 96 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 9 પેઢીઓને લાઇસન્સ, સ્ટોરેજ અને હાઈજેનિક સ્થિતિ અંગે નોટિસ, FSSAI એક્ટ હેઠળ 10 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, જ્યારે ગંભીર અનિયમિતતાઓ સામે બે પેઢીઓને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.20 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન રેલનગર મેઇન રોડ, ગંગેશ્વર ચોક ખાતે આવેલી ‘AADARO’ રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગમાં ફ્રીઝમાં અત્યંત બિનહાઈજેનિક રીતે બટાકાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી બ્રેડ, પીઝા, પાઉં સહિતની એક્સપાયર્ડ ખાદ્ય ચીજો મળી આવી હતી. અહીંથી અંદાજે 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢી પાસેથી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ હાઈજેનિક સ્થિતિ અને લાઇસન્સ બાબતે નોટિસ આપી પેઢીને સીલ કરવામાં આવી હતી.
તે જ રીતે કર્ણાવતી રોડ પર આવેલી ‘જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાઉં’ પેઢીમાં લસ્સી બનાવવા માટેનો સિરપ, ઘૂઘરા, ચટણી સહિતનો 22 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અહીં પણ રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને લાઇસન્સ તથા હાઈજેનિક સ્થિતિ અંગે નોટિસ આપી પેઢીને સીલ કરવામાં આવી હતી.
- Advertisement -
તપાસ દરમિયાન અનેક ફરસાણ, ડેરી અને નાસ્તાની દુકાનોમાં લાઇસન્સ વિના વેપાર, બિનહાઈજેનિક પરિસ્થિતિ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ વાસી ખાદ્યસામગ્રીના સંગ્રહ જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. શ્રી સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર, લક્ષ્મી ફરસાણ માર્ટ, જય સિયારામ ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, શ્રીનાથજી ખમણ હાઉસ, ચટકાઝ ફૂડ્સ, યોગી ફરસાણ, પ્રિયા લાઈવ કેળા વેફર, શ્રીજી ફરસાણ એન્ડ ખમણ, શ્રી સદગુરુ ડેરી ફાર્મ, ઓમ સ્નેક્સ, હરભોલે ફરસાણ, મહાદેવ ચાઈનીઝ, ઓમ ખમણ, ભગવતી ફરસાણ સહિતની પેઢીઓ સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક સ્થળોએ પ્રિન્ટેડ પસ્તી તથા વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય અનેક પેઢીઓની પણ તપાસ કરી હતી, જેમાં ચંદ્રેશનગર, મોરબી રોડ, ગોંડલ રોડ, મવડી, સત્યસાઈ રોડ, કોટેચા નગર, બોલબાલા માર્ગ, હસનવાડી, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં આવેલી ફરસાણ, નાસ્તા, ડેરી અને રેસ્ટોરન્ટોની હાઈજેનિક સ્થિતિ, લાઇસન્સ અને ખાદ્યસામગ્રીના સંગ્રહની ચકાસણી કરવામાં આવી હતી.
મિલ્ક ચેકિંગ ડ્રાઈવ હેઠળ પણ ફૂડ વિભાગે અલગથી કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ ડેરી અને મીઠાઈની દુકાનોમાંથી **દૂધ, પનીર, કેક, ખારી બુંદી, પીળી સેવ સહિત કુલ 10 ખાદ્ય નમૂનાઓ** લેવામાં આવ્યા હતા અને FSSAI એક્ટ હેઠળ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ન્યુ નેહરુનગર સ્થિત કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટમાં યુઝ-બાય ડેટ વિના મીઠાઈ વેચાણ, લાઇસન્સનો અભાવ, બિનહાઈજેનિક સ્થિતિ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા ખાદ્યતેલ-ઘી અંગેનું ફરજિયાત બોર્ડ ન હોવા બદલ રૂ.2,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ 14 કિલો વાસી લીસા લાડુનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સુખસાગર ડેરીફાર્મ, શ્રી કૃષ્ણ ડેરીફાર્મ, ડેલીસીયસ ફૂડ્સ, શ્રીજી ડેરીફાર્મ, શિવમ ડેરીફાર્મ, શ્રી તિરુપતિ ડેરીફાર્મ, બજરંગ ડેરીફાર્મ, રામકૃપા ડેરીફાર્મ અને વૃંદાવન ડેરીફાર્મમાંથી દૂધના વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.




