અત્યારથી જ બે ડઝન જેટલાં નેતાઓ પોતાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન માને છે !
વિદ્યાર્થી હિતની વાત જવા દો, બે અબજ રૂપિયાનાં તોતિંગ બજેટ પર સૌની નજર
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન – વાઈસ ચેરમેન અને સભ્યોની ચૂંટણી ગમે ત્યારે જાહેર શકે છે. આ કારણોસર કેટલાક અતિ ઉત્સાહી, પ્રજાસેવાના આવેશમાં ઊછળતા અને લક્ષ્મીજીના અનન્ય ભક્તો એવા નેતાજીઓ ચેરમેન બનવા માટે પગના તળીયા ઘસી રહ્યા છે!
શિક્ષણ સમિતિની કચેરીએ અત્યારે એવું દ્રશ્ય છે કે પરિણામ પહેલાં જ ગોળ-ધાણા વહેંચાઈ ગયા હોય તેમ કેટલાક મહાનુભાવો કચેરીએ પહોંચીને ચેરમેનની બેઠક વ્યવસ્થાની તપાસ કરી રહ્યા છે. ચેરમેન બનવા ચૂંટણી ફોર્મમાં કઈ-કઈ વિગતો ભરવાની છે, સહીઓ કોની મેળવવાની છે અને ચૂંટણી જીતવા માટે ગાંધીનગરથી લઈને સ્થાનિક આકાઓ સુધી કોની-કોની આગળ લુકિંગ-પુર્કિંગ (ભલામણ) કરી શકાય તેની તીવ્ર દોડધામ ચાલું છે.
હવે પ્રશ્ન એ થાય કે અચાનક શિક્ષણ પ્રત્યે આટલો બધો પ્રેમ, આટલી બધી તડપ અને આટલી બધી તપસ્યા શા માટે? શું આ નેતાજીઓને રાતોરાત રાજકોટની સરકારી પ્રાથમિક શાળાઓના ગરીબ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાવા લાગી છે? શું તેમને અચાનક એવું જ્ઞાન લાધું છે કે પ્રાથમિક શિક્ષણ સુધરશે તો જ દેશનો ઉદ્ધાર થશે? જો તમે એવું વિચારતા હો તો તમારું ભોળપણ દાદ માંગે તેવું છે. હકીકતમાં આ શિક્ષણપ્રેમ અને આતુરતા પાછળ પ્રાથમિક શાળાના નાના બાળકોનું વિદ્યાર્થીહિત નહીં પણ ૨ અબજ રૂપિયાનું મસમોટું બજેટ ચમકી રહ્યું છે. ૨ અબજ – એટલે કે ૨૦૦ કરોડ રૂપિયા!
- Advertisement -
શાળાના બાળકોના હાથમાં પેન્સિલ આવે કે ન આવે, પણ ચેરમેનના હાથમાં ૨ અબજના બજેટની ચાવી આવવી જ જોઈએ. આ બજેટમાં નવી શાળાઓના બાંધકામ, રિનોવેશન, બાંકડા, કમ્પ્યુટર, પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી અને વિવિધ સરકારી યોજનાઓના ટેન્ડરોનો એવો અખૂટ ખજાનો છુપાયેલો છે જેની સુવાસ માત્રથી જ નેતાજીઓનું હ્રદય શિક્ષણ સેવા માટે ગદ્દગદ થઈ જાય છે. સૌ જાણે છે કે, વિદ્યાર્થીઓનું હિત તો માત્ર સરકારી કાગળો અને પ્રેસનોટોમાં જ શોભે છે, સાચું હિત તો બજેટની ફાઈલોના પાના ફેરવવામાં રહેલું છે.
જે નેતાજીએ ક્યારેય પોતે પ્રાથમિક શાળાના ઓટલે પગ નથી મૂક્યો, જેમને શિક્ષણની નવી નીતિ કે અભ્યાસક્રમના ‘અ’થી ‘ણ’ સુધીની ખબર નથી, તેઓ પણ અત્યારે ગાંધીનગરમાં પોતાના પક્ષના કદાવર નેતાઓના ચરણસ્પર્શ કરીને ભલામણ પત્રો મેળવવાની સખત મહેનત કરી રહ્યા છે. કારણ કે તેમને ખબર છે કે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી હોય કે ન લાવવી હોય પરંતુ પોતાની રાજકીય અને આર્થિક સમૃદ્ધિમાં ક્રાંતિ લાવવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન પદની ખુરશીથી વધુ ઉત્તમ બીજું કોઈ પ્લેટફોર્મ નથી. હવે બે ડઝન જેટલા નેતાજીઓ અત્યારે મનોમન પોતાને આ ૨ અબજના બજેટના રાજા માની બેઠા છે. હવે જોવાનું એ રહે છે કે, ૨ અબજના આ સુવર્ણ બજેટની સેવા કરવાનો અમૂલ્ય મોકો પંડિત-પૂજારા જેવા ભ્રષ્ટ નેતાના મળશે કે પછી કોઈ ઈમાનદાર શિક્ષણપ્રેમીને મળે છે.
સ્વચ્છ છબી ધરાવતાં કર્મઠ, વરિષ્ઠ નેતાને ચેરમેન બનાવવાની જરૂર
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લી બે ટર્મમાં આવેલા ચેરમેન અતિ ભ્રષ્ટ પૂરવાર થયા હોવાથી ભાજપની છાપ બગડી છે. તેથી હવે શિક્ષણ સમિતિમાં સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ, વરિષ્ઠ નેતાની ખાસ જરૂર છે. ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે, હવે પછીના ચેરમેન મુકેશ દોશી કે માધવ દવેની કઠપૂતળી ન હોવા જોઈએ. શિક્ષણ સમિતિને એક બેદાગ અને ઈમાનદાર ઉપરાંત શહેર પ્રમુખના માનીતા ન હોય તેવા ચેરમેનની જરૂર છે.
મનપાના ‘કાજુ-કતરી કાંડ’ બાદ હવે શિક્ષણ સમિતિનું ‘બાંધકામ કાંડ’, શું નબળાં ભાજપ પ્રમુખ માધવ દવે દાખવશે રાજકીય ઈચ્છાશક્તિ?
રાજકોટ મહાનગરપાલિકામાં ડિમોલિશન દરમિયાન થયેલું કાજુ-કતરી હજી તો શહેરમાં ભારે ચર્ચામાં છે, ત્યાં જ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે થયેલા શંકાસ્પદ અને ગેરરીતિભર્યા બાંધકામનો મુદ્દો ગરમાયો છે. મનપાના કાજુ-કતરી કૌભાંડથી શાસક પક્ષ અને વહીવટી તંત્રની છબી સામે જે સવાલો ઊભા થયા હતા તેનાથી પણ વધુ ગંભીર વિવાદ હવે શિક્ષણ સમિતિના પ્રશ્ને આકાર લઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે આ બાંધકામ કાંડને ઉઘાડું પાડીને કડક કાર્યવાહી કરી શકશે કે કેમ તે અંગે શહેરીજનો અને રાજકીય વર્તુળોમાં ભારે કૌતુક સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે, દરેક બાબતે મૌન ધારણ કરી લેનારા માધવ દવે ચેરમેન પૂજારાના બાંધકામ કાંડની કડક તપાસ કરાવશે? તેમના જ પક્ષના જ કેટલાક આકાઓ અને વહિવટી અધિકારીઓ સાથે સંકળાયેલા આ બાંધકામ કાંડમાં શિક્ષણ સમિતિની અડધોઅડધ શાળાઓમાં રિનોવેશનમી જગ્યાએ નવેસરથી બાંધકામ કરી કરોડો રૂપિયા કટકટાવામાં આવ્યા હોવાની ફરિયાદ છેક હાઈકમાન્ડ સુધી પહોંચી છે. જો શિક્ષણ સમિતિમાં થયેલા બાંધકામના ખર્ચનું ઓડિટ કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.




