કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરો: બોગસ મેડિકલ સર્ટિફિકેટના કૌભાંડમાં સંડોવાયેલા વાલ્મિકી સમાજના આગેવાનોના નામ આપવા સહિતની માંગ કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કામદાર યુનિયન દ્વારા સફાઈ કામદારોની અનેક માગણીઓને લઈને મ્યુ. કમિશનર, સ્ટે. કમિટિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવી, બોગસ મેડિકલ સર્ટિફીકેટના કૌભાંડમાં સંડોવાયેલા કહેવાતા વાલ્મીકિ સમાજના આગેવાનોના નામ અને તેઓ સામે ચાલતી તપાસ બાબતોની વિગતો સહિતની અનેક માંગોને લઈને રજૂઆત કરવામાં આવી છે. અન્યથા આજથી સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
- Advertisement -
વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવી, રાજકોટ મ્યુ. કોર્પો.ની હદમાં આવેલ પ્રેમમંદિર પાસે આવેલા પ્લોટમાં પીપીપી યોજના નામે ભ્રષ્ટાચાર કરવા માટે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડી ગુમ કરેલી છે તેની વીજીલન્સ તપાસ કરાવો, રાજકોટ શહેરમાં વસતા જરૂરિયાત પ્રમાણે તાત્કાલીક વાલ્મીકિ સફાઈ કામદારોની ભરતી કરવી, જેમાં વાલ્મીકિ સમાજના ગરીબ અને વિધવા બહેનોને પ્રથમ પ્રાધાન્ય આપવું, સફાઈ કામદારોનું શોષણ કરતા અને લાંચ લેનાર અને માંગનાર અધિકારીઓ સામે પુરાવાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં મેડિકલ સર્ટિફીકેટ રદ કરવું જેથી ભૂતકાળમાં થયેલા કૌભાંડોનું પુનરાવર્તન ન થાય અને ગેરરીતિ અટકાવી શકાય અને 15 વર્ષની નોકરી સાથે રાજકોટ મહાનગરપાલિકા અને સફાઈ કામદારોની શરતોને આધિન સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા, લઘુત્તમ વેતન, પી.એફ., બોનસ, ઈ.એસ.આઈ, કૌભાંડોમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવી, બોગસ મેડિકલ સર્ટિફીકેટના કૌભાંડમાં સંડોવાયેલા કહેવાતા વાલ્મીકિ સમાજના આગેવાનોના નામો તથા તેઓ સામે ચાલતી તપાસ બાબતોની વિગતો આપવી, રાજકોટ કામદાર યુનિયનને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ લગત પ્રશ્ર્નોના નિરાકરણ માટે ઓફિસની ફાળવણી કરવી, કર્મચારી ક્રેડિટ સોસાયટીમાં વાલ્મીકિ સફાઈ કામદારોને સભ્ય બનાવવા સહિતની માંગ કરવામાં આવી છે. અન્યથા ઈચ્છા ન હોવા છતાં રાજકોટ કામદાર યુનિયનની સત્યતા ટકાવી રાખવા માટે અને સફાઈ કામદારોના હિત માટે આજથી ડો. બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને અનુસરીને અને ગાંધી ચિંધ્યા માર્ગે રાજકોટ મહાનગરપાલિકા સામે અચોક્કસ મુદત માટે ધરણાં પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.