તાપીમાં મોરારિબાપુની કથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ઉદ્યોગપતિઓ આદિવાસી વિસ્તારોમાં શાળાઓ બનાવે: મોરારિ બાપુ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.
તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મ પરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકોને કાયદાની કોઈપણ બારી નહીં બચે.
આજે હોળીના તહેવાર નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપ પ્રમુખ દ્વારા મોરારી બાપુને તિલક હોળી કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ મોરારીબાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આવે. જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારીબાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે.