લોકો દંડ ભરશે પણ હેલ્મેટ નહીં પહેરે! : 81% ટુ-વ્હીલરચાલકો હેલ્મેટ વિના અકસ્માતનો ભોગ બન્યા
ગુજરાતમાં રોજ સરેરાશ 8 ટુ-વ્હીલરચાલકના માર્ગ અકસ્માતથી મોત
- Advertisement -
2015માં 23183 દુર્ઘટનામાં 8119, જયારે 2025માં 16181 અકસ્માતમાં 7889 લોકો મોતને ભેટ્યા
ગુજરાતમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવા છતાં તેના અમલમાં હળવાશ અને વાહનચાલકોમાં બેદરકારીના કારણે માર્ગ સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં રજૂ
થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ટુ-વ્હીલરચાલકો સૌથી વધુ જોખમમાં છે. ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવવાની બેદરકારી અનેક પરિવારો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આંકડાકીય રિપોર્ટ
પ્રમાણે વર્ષ 2024 દરમિયાન માર્ગ અકસ્માતોમાં 7,678 લોકોના મોત નોંધાયા હતા, જેમાં ટુ-વ્હીલરચાલકોનો હિસ્સો 48.3 ટકા રહ્યો હતો. ટુ-વ્હીલર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી આશરે 81 ટકા વાહનચાલકોએ અકસ્માત
સમયે હેલ્મેટ પહેર્યું ન હોવાનું સામે આવ્યું હતું. એટલે કે માર્ગ અકસ્માતમાં ભોગ બનનારા દર 10 ટુ-વ્હીલરચાલકોમાંથી આશરે 8 ચાલકો હેલ્મેટ વિના હતા. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રીપોર્ટમાં ગુજરાતમાં 97 ટકા માર્ગ
અકસ્માત પાછળ ઓવરસ્પીડ જવાબદાર ગણવામાં આવી હતી.
માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે ગુજરાતમાં હેલ્મેટ અંગે વાહનચાલકોમાં હજુ પણ ગંભીર બેદરકારી જોવા મળે છે. અનેક લોકો દંડ ભરવાનું સ્વીકારી લે છે, પરંતુ હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આ સ્થિતિ કાયદાના અમલની
અસરકારકતા સામે પણ સવાલ ઊભો કરે છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ગંભીરતા માત્ર હેલ્મેટના મુદ્દા પૂરતી મર્યાદિત નથી. રિપોર્ટની સમીક્ષા દરમિયાન છેલ્લા ત્રણ વર્ષમાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 3.6 ટકાનો વધારો
અને ગંભીર ઈજાના કેસોમાં 12.4 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 2022થી 2025ના સમયગાળામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,678થી વધીને 7,889 થઈ છે. આ જ સમયગાળામાં ગંભીર રીતે
ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા 8,782થી વધીને 9,870 થઈ છે. એટલે કે માર્ગ અકસ્માતોમાં માત્ર મૃત્યુ જ નહીં, ગંભીર ઈજાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
- Advertisement -
ગુજરાતમાં એક તરફ કુલ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ બીજી તરફ અકસ્માતો વધુ જીવલેણ બની રહ્યા છે. વર્ષ 2015માં રાજ્યમાં 23,183 માર્ગ અકસ્માતોમાં 8,119 લોકોનાં મોત થયા હતા. તે સમયે
કુલ અકસ્માતોમાં આશરે 35 ટકા અકસ્માતો જીવલેણ હતા. તેની સામે વર્ષ 2025માં કુલ 16,181 માર્ગ અકસ્માતોમાં 7,889 લોકોનાં મોત થયા હતા. આમ કુલ અકસ્માતોની સંખ્યા ઘટી હોવા છતાં જીવલેણ અકસ્માતોની
ટકાવારી વધીને 48.7 ટકા થઈ છે. આ પરિસ્થિતિ માર્ગ સલામતીના પગલાંની અસરકારકતા અંગે ગંભીર ચિંતાનો વિષય બની છે.
રિપોર્ટ મુજબ રાજ્યના 17 જિલ્લાઓમાં જ આશરે 60 ટકા જીવલેણ માર્ગ અકસ્માતો નોંધાયા છે. 2022થી 2025ના ત્રણ વર્ષના ગાળામાં સાબરકાંઠા જિલ્લામાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.ભરૂચ
જિલ્લામાં જીવલેણ અકસ્માતોમાં 29 ટકા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેર અને સુરત શહેરમાં વર્ષ 2025 દરમિયાન 300થી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં મોતને
ભેટ્યા હતા. અમદાવાદ શહેરમાં જીવલેણ અકસ્માતોમાં 17 ટકા અને સુરત શહેરમાં 14 ટકાનો વધારો નોંધાયો હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.
માર્ગ સુરક્ષા નિષ્ણાતોએ મહત્વનું સૂચન કરતાં જણાવ્યું છે કે દરેક જીવલેણ અકસ્માત પાછળ માત્ર હેલ્મેટ ન પહેરવું અથવા ઓવરસ્પીડ જ કારણ હોય એવું જરૂરી નથી. અકસ્માતના મૂળ કારણ સુધી પહોંચવા માટે દરેક ગંભીર
અકસ્માતની યોગ્ય અને વૈજ્ઞાનિક તપાસ થવી જરૂરી છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોના રિપોર્ટમાં ગુજરાતમાં 97 ટકા માર્ગ અકસ્માત પાછળ ઓવરસ્પીડને જવાબદાર ગણાવવામાં આવી છે. જોકે નિષ્ણાતોના મતે અકસ્માતની
તપાસ દરમિયાન રસ્તાની સ્થિતિ, વાહનની યાંત્રિક ખામી, ડ્રાઇવરની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થા, રસ્તા પરનું પ્રકાશ વ્યવસ્થાપન અને અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નથી. કાયદાનો કડક અને સતત અમલ, હેલ્મેટની ગુણવત્તા અંગે જાગૃતિ, પાછળ બેસનાર માટે પણ હેલ્મેટનો ફરજિયાત અમલ, ઓવરસ્પીડ સામે
કાર્યવાહી તથા અકસ્માતપ્રવણ વિસ્તારોમાં સુધારાત્મક કામગીરી એકસાથે કરવાની જરૂર છે. માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે હેલ્મેટ માત્ર પોલીસના દંડથી બચવા માટે પહેરવાની વસ્તુ નથી, પરંતુ અકસ્માત સમયે જીવન
બચાવતું સુરક્ષા સાધન છે. તેથી હેલ્મેટ અંગેની માનસિકતા બદલવી અને નિયમપાલનને દંડના ભયને બદલે જીવન સુરક્ષા સાથે જોડવું હવે સમયની માંગ બની છે.
માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનાર તથા ઈજાગ્રસ્તોમાં ટુ-વ્હીલરચાલકોનો હિસ્સો સૌથી મોટો છે.
રિપોર્ટ મુજબ અકસ્માતના ભોગ બનેલા લોકોમાં 22.6 ટકા રાહદારીઓ, 12.4 ટકા કાર સવાર, 7.4 ટકા ટ્રક સવાર અને 9.3 ટકા અન્ય વાહનોના મુસાફરોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે માર્ગ સુરક્ષા માટે માત્ર
વાહનચાલકો જ નહીં, પરંતુ રાહદારીઓ સહિત તમામ વર્ગમાં જાગૃતિ વધારવાની જરૂર છે. ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી માથામાં થતી ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
માત્ર ઇ-ચલણ મોકલીને નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે
માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે માત્ર ઇ-ચલણ મોકલીને નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થળ પર જ દંડની કાર્યવાહી ઉપરાંત વાહનના અન્ય વ્યવહારો સાથે નિયમભંગને જોડતી અસરકારક ડિજિટલ સિસ્ટમ
વિકસાવવાની પણ જરૂરિયાત દર્શાવવામાં આવી છે. માત્ર દંડ ભરવાથી નિયમભંગની ટેવ ન બદલાય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન સંબંધિત સેવાઓ અથવા અન્ય કાનૂની પ્રક્રિયા સાથે કડક કાર્યવાહી જોડવાની જરૂર હોવાનું
માનવામાં આવે છે.



