કોર્પોરેશને હાથ ઊંચા કરી લીધાં, તો 200 મકાન જમીનદોસ્ત કરનાર આખરે કોણ?
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતના કતારગામ વિસ્તારના નાસીરનગરમાં શનિવારના દિવસે બુલડોઝર ગર્જ્યા અને પળવારમાં 200થી વધુ મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા. કોઈનું ઘર તૂટ્યું… કોઈના સપના તૂટ્યા… તો કોઈનું આખું જીવન જ રસ્તા પર આવી ગયું.
સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી નહીં. કોઈ લેખિત જાણ કરાઈ નહીં અને કોઈ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર જ સીધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. પરિણામે 200થી વધુ પરિવારો એક જ દિવસમાં ઘરવિહોણા બની ગયા.
હવે આ સમગ્ર મામલે સવાલોનો ઢગલો થયો છે. જો કોર્પોરેશને કાર્યવાહી કરી નથી તો 200થી વધુ મકાનો તોડ્યા કોણે? શું કોઈ ખાનગી ટોળકીએ સરકારી તંત્રના નામે બુલડોઝર ફેરવ્યા? શું કોઈ જમીન માફિયાએ પોતાની મનમાની ચલાવી? અને જો આવું થયું હોય તો તંત્ર આખો દિવસ શું કરી રહ્યું હતું?
સૌથી ગંભીર બાબત એ છે કે આટલી મોટી કાર્યવાહી બાદ પણ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ઝી 24 કલાકે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ પણ કેમેરા સામે બોલવા તૈયાર ન થયું.
આખરે પ્રશ્ર્ન માત્ર ડિમોલિશનનો નથી. પ્રશ્ર્ન જવાબદારીનો પણ છે. પ્રશ્ર્ન છે કાયદાના શાસનનો અને પ્રશ્ર્ન સામાન્ય નાગરિકના અધિકારોનો છે. કારણ કે જો 200થી વધુ મકાનો તૂટી જાય. સેંકડો લોકો ઘરવિહોણા બની જાય અને ત્યારબાદ પણ જવાબદાર કોણ છે તેનો જવાબ ન મળે. તો પછી આને વહીવટી નિષ્ફળતા નહીં તો બીજું શું કહેવાય?
નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો પોલીસ ફરિયાદની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસ પણ પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની વાત કરી રહી છે. ત્યારે 200થી વધુ મકાનો જમીનદોસ્ત કરનાર કોણ? અને જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
પીડિતો કોર્પોરેશન કચેરી પહોંચ્યા, આવ્યો ટ્વિસ્ટ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂરા અને ખાખી રંગના કપડાં પહેરેલા લોકો સ્થળ પર આવ્યા હતા. લોકો માનતા હતા કે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આખી ઘટનામાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પીડિતો જવાબ માંગવા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્ત પરિવારો સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને વૈકલ્પિક આવાસની માંગ સાથે રજૂઆત કરી. પરંતુ અધિકારીઓએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાના જણાવ્યા મુજબ કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે, ડિમોલિશન સાથે તેમનો કોઈ સંબંધ જ નથી.



