- Advertisement -
વ્યવહારિક જગતમાં સૌંદર્યવાન જીવનસાથી, સમાજમાં પ્રતિષ્ઠા, ધન, ભૂમિ અને સત્તા આટલી વાતોથી મનુષ્યની મહત્તા મપાય છે. આપણે બધા આટલાં તત્ત્વોની પાછળ દોડી રહ્યા છીએ, પરંતુ વ્યાવહારિક જગત સિવાય બીજું એક પારમાર્થિક જગત પણ છે, જ્યાં આ બધા સિક્કાઓ ચાલતા નથી. તે જગતમાં મનુષ્યનું મહત્ત્વ તેનામાં રહેલા વિવેક, વિચાર, પ્રામાણિકતા, દયા, નિસ્પૃહતા અને તત્ત્વપરાયણતા જેવા શુદ્ધ ગુણોથી મૂલવાય છે.
શાસ્ત્રો અને સંતો વ્યાવહારિક જગત કરતાં પારમાર્થિક જગતની મહત્તાને વધુ પવિત્ર માને છે. આપણે વ્યાવહારિક જગત અને પારમાર્થિક જગત આ બંને ઘોડા પર એક સાથે સવારી કરીએ છીએ. જગતમાં મહત્તા પ્રાપ્ત કરવા માટે પરમાર્થ તત્ત્વોનો ત્યાગ ન કરો. તૈમુર લંગ, ચંગીઝ ખાં અને મહમદ ગઝનવી જેવા રાક્ષસી આક્રમણખોરો પાસે પણ વ્યાવહારિક મહત્તા મેળવવા માટે જરૂરી તમામ પદાર્થો હતા, પરંતુ ઇતિહાસમાં તેમનું સ્થાન ક્યાં મુકાયું છે? નરસિંહ, મીરાં, જ્ઞાનેશ્વર, કબીર આ બધાં પાસે વ્યાવહારિક ચીજવસ્તુઓમાં શું હતું? ઇતિહાસનાં પૃષ્ઠો આ બધાંનાં નામથી શોભી રહ્યા છે.