યાત્રિકો અમદાવાદ તરફ વળ્યા, કેટલાક ટ્રેનમાં જવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ વણસેલી સ્થિતિને પગલે અગાઉ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 7થી 9મે સુધી કોમર્શિયલ ફ્લાઈટ માટે બંધ કરાયું હતું. પરંતુ શુક્રવાર સુધીમાં હજુ સ્થિતિ કાબૂમાં નહીં આવતા અને ગુજરાતમાં હજુ પણ એલર્ટ હોવાની સ્થિતિને પગલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વધુ 5 દિવસ એટલે કે 15મી મેના સવારે 5.30 કલાક સુધી બંધ કરાયું છે. આ સ્થિતિમાં રાજકોટથી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા જતા લોકોને રાજકોટથી ફ્લાઈટ નહીં મળી શકે.
- Advertisement -
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ માત્ર કોમર્શિયલ ફ્લાઈટ માટે બંધ કરાયું છે પરંતુ વર્તમાન સ્થિતિમાં જરૂર પડ્યે એરફોર્સના વિમાન રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે તે માટે એરપોર્ટ 24 કલાક ચાલુ જ રાખવા પણ સૂચના અપાઈ છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ આશરે 9 થી 11 ફ્લાઈટ ઓપરેટ થાય છે. દરરોજ અંદાજિત 3 હજારથી વધુ યાત્રિકોનું આવન-જાવન થાય છે. જેમાંથી અમુક અમદાવાદ તરફ વળ્યા છે.
દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જવા માંગતા યાત્રિકો હવે અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવા માટે દોડાદોડી કરી રહ્યા છે. કેટલાક યાત્રિકો જેમને દિલ્હી અને મુંબઈ જવું છે તેઓ ટ્રેનમાં મુસાફરી કરીને પણ જઈ રહ્યા છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, ભુજ અને જામનગર એરપોર્ટ પણ બંધ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફ્લાઈટ નહીં મળતા અનેક યાત્રિકો ટ્રેનમાં ડાયવર્ટ થતા લાંબા રૂટની ટ્રેનોમાં પણ વેઈટિંગ વધી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે.