જયરામદાસબાપુનાં ડેથ સર્ટિફિકેટમાં ડૉ. નિલેશ નિમાવત કળા કરી ગયો!
ડૉ. નિમાવત જો નિર્દોષ છે તો શા માટે ભાગતો ફરે છે?
- Advertisement -
જયરામદાસબાપુનું મૃત્યુ ઝેર પીવાનાં કારણે થયું હોવા છતાં ડૉ. નિમાવતે ડેથ સર્ટિફિકેટમાં ‘કાર્ડિઆક એરેસ્ટ’ શા માટે લખાવ્યું?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પી આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટના વિક્રમ સોહલા સહિત ટ્રસ્ટીઓએ હાર્ટ-એટેકમાં ખપાવી અંતિમવિધિ કરી નાખી હતી. બાદમાં 6 જૂને મહંતની સુસાઈડ નોટ મળતા 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઇએ પોલીસમાં ફરિયાદ હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરૂદ્ધ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ કરી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું છે કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી.
પ્રવીણકુમાર મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. સુસાઇડ નોટનો ફોટો રક્ષિત કલોલા દ્વારા મોકલવામાં આવ્યો હતો. ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ બાપુનું મોત ઝેરી દવાનાં કારણે નહી પરંતુ કુદરતી રીતે એટેક આવવાનાં કારણે થયું હોવાનું જોઇ જાણીને ગુનાહિત કાવત્રુ રચી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા કહેવાતું ડેથ સર્ટિફિકેટ આપી અને આ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 201,102 (બી), 465, 477 મુજબ ગુનો નોંધ્યો છે. આ કામનાં આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ખોડીયારધામ આશ્રમનાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલા દ્વારા 30 મેના રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવ્યો હતો. રક્ષિત કલોલાની હાજરીમાં જ આરોપી વિક્રમ સોહલા દ્વારા જયરામદાસબાપુને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. તેમજ જયરામદાસબાપુનાં મૃત્યુ બાદ સુસાઇડ નોટ રક્ષિત કલોલાએ પોતાનાં કબ્જામાં રાખી હતી. તેમજ જયરામદાસની લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નીચે ઉતરે છે તે પછી તુરંત જ ઉપરનાં રૂમની સાફ સફાઇ કરવાની સુચના રક્ષિત કલોલા દ્વારા આપવામાં આવી હતી. બાપુનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું ડોક્ટર નિલેશ નિમાવત તથા રક્ષિત કલોલા દ્વારા આયોજન થયું હતું. આરોપી અલ્પેશ સોલંકી અને હિતશ જાદવની હિટાચી, બોલેરો અને સ્વીફ્ટ વાહન કબ્જે કરવામા આવ્યા છે. તેમજ આરોપીઓની મિલકત અંગે તપાસ ચાલુ છે.
જયરામદાસબાપુએ આપઘાત કર્યો તેના એક દિવસ અગાઉ વિક્રમ સોહલા અને રક્ષિત કોલાલા તેને અડધી કલાક કારમાં આશ્રમની બહાર લઇ ગયા હતા અને માર માર્યો હતો. વીડિયો શૂટ થઈ રહ્યો છે તે અંગે યુવતીઓ જાણતી હતી. વિક્રમ અને રક્ષિત બાપુ સાથેસ સતત વાતચીત કરતા હતા. ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ભૌતિક અને ડો. કાલરીયાનું પણ નામ આરોપીમાં લેવામાં આવશે. ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો છે. અગાઉ કુવાડવા પોલીસે આરોપી અલ્પેશ, હિતેશ અને વિક્રમ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ, 306 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય આરોપીઓ 13 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.
ડૉ. નિમાવતના પાપનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
આ કેસમાં તપાસ દરમિયાન અમુક વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા જણાતા તપાસ કરતા જયરામદાસબાપુનો મૃતદેહ 1 જૂનના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના થાય છે. જ્યારે ડોકટર નિલેશ નિમાવત દ્વારા સાધુ જયરામદાસનો મરણનો દાખલો જેમાં દાખલ ટાઇમ સવારના 6 વાગ્યાનો અને મરણનો ટાઇમ સવારના 8.15 વાગ્યાનો આપવામાં આવ્યો છે. પરંતુ જયરામદાસની લાશ 10.30 વાગ્યા પછી આશ્રમથી રવાનાં થઈ હતી. આથી પ્રાથમિક રીતે ડેથ સર્ટિફિકેટ ખોટુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેના આધારે તપાસ કરતા ડોક્ટર નિલેશ નિમાવત જે આશ્રમના સેવક હોય અને મરણ જાહેર કરવા માટે માત્ર ડેથ સર્ટિફિકેટ બનાવી અને મરણજનારનું મોત હાર્ટ એટેકથી જાહેર કર્યું હતું. આથી ડોક્ટર નિલેશ નિમાવતની મરણ જનારનાં મોતને કુદરતી મૃત્યુમાં ખપાવવા માટેની સ્પષ્ટ ભૂમીકા સામે આવી છે.
જયરામદાસબાપુને ન્યાય અપાવવા સાધુ સમાજ મેદાનમાં
રાજકોટના કાગદડી આશ્રમના મહંત જયરામદાસજી મહારાજના મૃત્યુ મામલે હવે સૌરાષ્ટ્રના સાધુ સમાજે પણ ઝુકાવ્યું છે. જયરામદાસબાપુના આત્મહત્યા મામલે સત્ય બહાર લાવવા અને જવાબદાર ગણાતા વ્યક્તિઓને સજા આપવા તેમજ આરોપીઓને પકડીને 302 સુધીની કલમ લગાવી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધારી ષડયંત્રનો ગુનો ઉમેરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે.
સંતોની માગણીને પગલે પોલીસ કમિશનર દ્વારા તપાસ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું પણ સાધુ સમાજે જણાવ્યું છે. સમગ્ર રજુઆત સૌરાષ્ટ્ર અખિલ સંત સમાજના નેજા હેઠળ કરવામાં આવી છે.


