રાજકોટ પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો અડ્ડો
એક મહિલા અધિકારી ‘રાખી’ શાસનાધિકારી ‘વહિવટ’ કરતા હોવાની ચારેકોર ચર્ચા
- Advertisement -
વિવાદોમાં ઘેરાયેલી શિક્ષણ સમિતિમાં દરરોજ નવા કૌભાંડોનો ઘટસ્ફોટ
રાજ્યભરમાં ખાનગી સ્કૂલ શરૂ કરવા માટે એક પંદર આંકડાના ડાયસકોડની જરૂરિયાત પડે છે. ડાયસકોડ એ એક પ્રકારની શાળાની માન્યતા કહેવાય છે. રાજકોટમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવાના ડાયસકોડ અથવા જૂની શાળાઓના બંધ થયેલા ડાયસકોડ ફરી શરૂ કરવાની કામગીરી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનમાંથી કરવામાં આવે છે. અચરજની વાત એ છે કે, નવા ડાયસકોડ કાઢવા તથા જૂના બંધ થયેલા ડાયસકોડ ફરી ચાલુ કરવા માટેની કામગીરીમાંથી પણ શાસનાધિકારી કિરીટ પરમાર અને તેમના અંગત બે અક્ષરનું નામ ધરાવતી તુલા રાશિની એક મહિલા પૈસા કટકટાવતી હોવાનું ચર્ચાય છે. સર્વ શિક્ષા અભિયાનના કોમ્પ્યુટર – એકાઉન્ટ વિભાગમાં બેસતા બે અક્ષરનું નામ ધરાવતા તુલા રાશિના એક મહિલા અધિકારીની કિરીટ પરમાર સાથે મળી ખાનગી શાળા માટે જરૂરી પંદર આંકડાના ડાયસકોડ નંબરની કામગીરીમાં પણ પૈસાની ઉચાપત કરતા હોવાની માહિતી કેટલીક ખાનગી શાળાના સંચાલકોએ જ ખાસ-ખબરને પૂરી પાડી હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી ગ્રાન્ટને મંજૂરી આપવાની સત્તા શાસનાધિકારી કિરીટ પરમારના હાથમાં છે. શિક્ષણ સમિતિમાં જે કંઈપણ આર્થિક કે વહિવટી ગોટાળાઓ આચરવામાં આવ્યા છે તેમા ચેરમેન અતુલ પંડિત, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા, દિપક સાગઠિયા સાથે કિરીટ પરમાર અને તેમના અંગત બે અક્ષરનું નામ ધરાવતા તુલા રાશિના એક મહિલા પણ સામેલ છે.
- Advertisement -
RMC કમિશનર અને ડે. કમિશનર શાસનાધિકારી પર મહેરબાન!
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર પણ કોઈ કારણોસર મહેરબાન જણાઈ રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિ વિરુદ્ધ આરએમસી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શિક્ષણમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે આમ છતાં આજ સુધી આરએમસી કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારને કોઈ તપાસ સોંપવામાં આવી છે કે કેમ અને જો તપાસ સોંપાઈ છે તો આગળ શું થયું એ કોઈ જાણતું નથી. તપાસ ચાલુ હોય તો પૂરી ક્યારે થશે એ પણ કોઈ કહી શકતું નથી. આ અંગે ખાસ-ખબર દ્વારા વખતોવખત આરએમસી કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પૂછવામાં આવ્યું છે પણ તેઓ જણાવે છે કે તપાસ ચાલુ છે જ્યારે શાસનાધિકારી કહે છે કે, કોઈ તપાસ સોંપાઈ જ નથી. આમ, સમગ્ર મામલે યેનકેન પ્રકારે રાજકોટ મનપાનાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમારને છાવરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.