નકલી કચેરીઓ પાછળ 21 કરોડ ખર્ચે તો વિપક્ષે શું ચૂપ રહેવાનું?: અમિત ચાવડા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી , બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કરી હોબાળો કરતાં સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીઘા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ્દ કરવા વિપક્ષે માગણી કરી હતી. આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતની પ્રજાના પરેસવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય કે કોઈ સમાજનો હોય એની પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઇએ, એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાંથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ? વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો. અમે જ્યારે વોક આઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રી તરફથી ઉભા થઈ અમે તેનો જવાબ આપીએ છીએ એમ કહીને રોક્યા તો અમે રોકાયા હતા, ફરી અમે અધ્યક્ષને વિનંતિ કરી કે ઉડાઉ જવાબ આપે છે. જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી.
- Advertisement -
નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે: અમિત ચાવડા
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે અમારી જગ્યા પર જ ઉભા હતા, અમે વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત અને ફક્ત નકલીકાંડને ખુલ્લું પાડવા વિરોધ પ્રદર્શન કર્યું છે. નિયમોની આધીન પ્રદર્શન કર્યું છે. પરંતુ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી શકીએ એટલે બહુમતીના જોરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બીજી માગણીની ચર્ચા છે. જેમાં પણ સરકારનો ગેરવહીવટ અને નાણાના વેડફાટને ઉજાગર કરવાનો છે, ચર્ચામાં ભાગ ન લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મારી દૃષ્ટિએ આ યોગ્ય છે: ઋષિકેશ પટેલ
આ બાબતે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદ આધારે નહીં, પરંતુ જ્યાં આગળ કોઈ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોય તો તે પ્રવૃતિમાં સુઓમોટો કરી એક્શન લે છે. ના તો વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ના કોઈ પત્રકરા અથવા કોઈ પણ પ્રકારીની માહિતી મળી છે. કાર્યવાહી કરી હોય એવું નથી, પરંતુ સરકારના ધ્યાનમાં આવતા તરત જ આ પ્રકારની કોઈ પ્રવૃતિ થતી હોય એના ઉપર સરકારે સુઓમોટો લઈ પગલા લીધા છે. અત્યારે ગૃહની અંદર સારી રીતે પ્રશ્ર્નોના જવાબની ચર્ચા થતી હતી, પરંતુ ક્યાંકને ક્યાંક એમને આખા સત્ર દરમિયાન વોકઆઉટ કરવું, નિવેદનો આપવા એ તક નહોતી મળી. એટલે જાતે જ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. મંત્રી એમને યોગ્ય જવાબ આપતા હતા. છતા પણ આ પ્રશ્ર્નમાં હોબાળો કરી જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવું, પ્રશ્ર્નોતરી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્ર્નોની પણ ચર્ચા ન થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા હતા. જેથી એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દૃષ્ટીએ આ યોગ્ય છે.