ઓવરલોડ કનેક્શન વીજકંપનીની ટીમ ચેક કરશે
ઓવરલોડ કનેક્શનને લીધે વીજળી સંબંધિત ફરિયાદો વધી : જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ થાય તો ફરિયાદો 50% ઘટે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં PGVCLના કુલ 60 લાખથી વધુ વીજગ્રાહકોમાંથી આશરે 35 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન ઓવરલોડ હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. એટલે સૌરાષ્ટ્રમાં 35 લાખ વીજગ્રાહકો તેના મંજૂર લોડથી વધુ લોડનો વીજ વપરાશ કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં આ રેશિયો 50% હોવાનું અને ગ્રામ્ય વિસ્તારમાં આ રેશિયો 70% હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે પીજીવીસીએલ દ્વારા ઓવરલોડ કનેક્શન ધરાવતા વીજગ્રાહકોને લોડ વધારો લેવા માટે નોટિસ ફટકારી છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં આશરે 1.50 લાખથી વધુ વીજગ્રાહકોને નોટિસ ફટકારી લોડ વધારો લેવા જણાવ્યું છે. ગ્રાહકોએ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લોડ વધારો લેવાની કાર્યવાહી કરવાની રહેશે.
સૌરાષ્ટ્રમાં હજુ રહેણાક, ખેતીવાડી, કોમર્શિયલના કેટલા કનેક્શન મંજૂર લોડથી વધુ પ્રમાણમાં વીજલોડ વાપરી રહ્યા છે તેનું પણ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે. આગામી સમયમાં ગ્રાહકોને નોટિસનો આંકડો વધી શકે છે. કારણ કે જેમ જેમ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે અને ઓવરલોડ કનેક્શન માલૂમ પડશે તેમ તેમ ગ્રાહકોને લોડ વધારો લેવાની નોટિસ અપાશે.
આ ઓવરલોડ કનેક્શનને લીધે વીજળી સબંધિત ફરિયાદો પણ વધી છે. વારંવાર વીજળી ગૂલ થઇ જવી, વોલ્ટેજ વધ-ઘટ થવા, લાઈન ટ્રીપ થઇ જવી, લાઈન કે ટીસી બળી જવા સહિતની ફરિયાદો વધી છે. જો આ તમામ ગ્રાહકો લોડ વધારો લે તો વીજસંબંધી 40થી 50 ટકા ફરિયાદ ઘટી શકે.
60 લાખ વીજગ્રાહકો PGVCLમાં નોંધાયેલા છે
15 લાખથી વધુ ગ્રાહકોના કનેક્શન સિટી વિસ્તારમાં ઓવરલોડ છે.
19 લાખથી વધુ ગ્રાહકોના કનેક્શન ગ્રામ્ય વિસ્તારમાં ઓવરલોડ છે.
15 હજારથી વધુ પીજીવીસીએલમાં કર્મચારીઓ છે.
99771 સ્ક્વેર કિલોમીટર એરિયા PGVCL કવર કરે છે.
લોડ વધારો લેવા માટે વીજગ્રાહકે આટલી પ્રક્રિયા કરવી પડશે
- Advertisement -
જરૂરી દસ્તાવેજો: લોડ વધારો માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે જેમાં અગાઉના વીજબિલની નકલ, માલિકીના પુરાવા, ઓળખ પ્રમાણ (આધાર, પાન કાર્ડ વગેરે) સંભવિત લોડની વિગતો (કેટલા કિલોવોટ વધારવાના છે)
સબ ડિવિઝનમાં અરજી: તમારે લોડ વધારો માટે PGVCLના નજીકના સબ ડિવિઝનમાં નિયત ફોર્મમાં અરજી કરવી પડશે. આ ફોર્મ PGVCLની નજીકની ઓફિસમાંથી મળશે અથવા તેની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
લોડ વધારાની મંજૂરી: આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો લોડ વધારો અમલમાં મુકવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની PGVCLઓફિસમાં સંપર્ક કરી શકાય છે.
ટેક્નિકલ ચકાસણી: PGVCLની ટીમ તમારું કનેક્શન ચકાસી શકે છે, ખરેખર કેટલો લોડ વપરાય છે અને કેટલા લોડ વધારાની જરૂર છે તે જણાવશે. તમારું મીટર અને કનેક્શન ચકાસીને જરૂરી બદલાવ કરશે.
અંદાજિત ખર્ચ: PGVCL તમારું અરજીપત્ર અને લોડની માહિતી તપાસીને અંદાજિત ખર્ચનો લેટર આપશે. જે રકમ કેશબારીમાં ભરવાની રહેશે.