સંસ્થાપક સ્વ. રઘુનંદનભાઈ સેજપાલની જન્મજયંતી
ડો. યાજ્ઞિક રોડ સ્થિત શો-રૂમનું નવીનીકરણ, 13 ઓગસ્ટે ખુલ્લો મુકાશે
- Advertisement -
વારસા અને આધુનિકતાના સમન્વય સાથે મિથિલાબેન સેજપાલ પટેલ અને ચંદ્રેશભાઇ પટેલે બિઝનેસને આપી રહ્યા છે નવી ઊંચાઈ
રાજકોટનું નામ આવે અને મોઢામાં મીઠો સ્વાદ ઘોળતા ભગતજીના પેંડા યાદ ન આવે એવું ભાગ્યે જ બને. રાજકોટની ઓળખ અને સ્વાદ પરંપરાનો એક અભિન્ન હિસ્સો બની ચૂકેલી જયસીયારામ ભગત પેંડાવાળા વર્ષ 1933થી પોતાની ગુણવત્તા અને સ્વાદની પરંપરા જાળવી રહી છે. હવે ડો. યાજ્ઞિક રોડ પર આવેલા પોતાના શો-રૂમનું રિનોવેશન કરી તેને નવા સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના સંસ્થાપક અને દીર્ઘદ્રષ્ટા સ્વ. રઘુનંદન હરજીવનભાઈ સેજપાલ (રઘુભાઈ)ના પ્રાગટ્ય દિને, 13 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સવારે 8:30 વાગ્યાથી આ નવનીકૃત શો-રૂમ ગ્રાહકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રસંગે સેજપાલ પરિવાર દ્વારા રાજકોટના તમામ સ્નેહીઓ, ગ્રાહકો અને શુભેચ્છકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 1933માં શેરીઓમાં ફેરી કરીને શરૂ થયેલી એક નાની સ્વાદયાત્રા આજે રાજકોટની ઓળખ સમાન બની છે. ત્રણ પેઢીઓની મહેનત, સંસ્કાર, ગુણવત્તા અને બદલાતા સમય સાથે નવીનતાને અપનાવવાની દૃષ્ટિના કારણે જયસીયારામ ભગત પેંડાવાળા રાજકોટની મીઠાઈ પરંપરાનું એક આગવું નામ બની રહ્યું છે.
1933માં ફેરીથી શરૂ થયેલી સ્વાદયાત્રા
આજે જયસીયારામ ભગત પેંડાવાળા એક જાણીતી બ્રાન્ડ તરીકે સ્થાપિત છે, પરંતુ તેની શરૂઆત અત્યંત સાદગીભરી હતી. વર્ષ 1933માં જ્યારે બજારમાં માવાના પેંડાનું ચલણ વધુ હતું, ત્યારે શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવતા પેંડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. તૈયાર કરેલા દૂધના પેંડા થેલામાં લઈ જઈ ફાટક અને શેરીઓમાં ફેરી કરીને વેચવામાં આવતા હતા. આ રીતે શરૂ થયેલો નાનો વ્યવસાય સમયની સાથે લોકોના વિશ્વાસ અને સ્વાદને કારણે સતત વિસ્તરતો ગયો. સંસ્થાના મૂળ સંસ્થાપકનું નામ હરજીવનભાઈ હતું. જોકે તેઓ સતત ‘સીતારામ’ના જપમાં લીન રહેતા અને ‘જય સીયારામ’ બોલવાની તેમની વિશિષ્ટ આદતને કારણે લોકોમાં તેઓ ‘જયસીયારામ ભગત’ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં આ જ નામ રાજકોટના પેંડાની એક આગવી ઓળખ બની ગયું.
- Advertisement -
રાજકોટથી અમદાવાદ સુધી વિસ્તરેલો વારસો
વ્યવસાયને સમયાંતરે વિસ્તરણ મળતું ગયું અને ધર્મેન્દ્ર રોડ, પંચનાથ રોડ તથા ડો. યાજ્ઞિક રોડ પર શાખાઓ શરૂ કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 1980માં અમદાવાદ ખાતે પણ નવી શાખા શરૂ કરવામાં આવી હતી. આજે જયસીયારામના પેંડા માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતા સીમિત રહ્યા નથી. દેશ-વિદેશમાં વસતા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે જયસીયારામના પેંડા જાણે રાજકોટની યાદ સાથે જોડાયેલી એક અનિવાર્ય ભેટ બની ગયા છે. રાજકોટ આવનાર લોકો પોતાના પરિવારજનો, મિત્રો કે સંબંધીઓ માટે પેંડા સાથે લઈ જવાનું પસંદ કરે છે.
નાની ઉંમરે જવાબદારી સંભાળી, દીકરીએ પરંપરાને નવી દિશા આપી
સ્વ. રઘુભાઈ સેજપાલનું જીવન સંઘર્ષ, જવાબદારી અને મૂલ્યોનું ઉદાહરણ રહ્યું છે. માત્ર 13 વર્ષની ઉંમરે માતાનું અને 19 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે નાની ઉંમરે જ જીવનની મોટી જવાબદારીઓ સંભાળી હતી. ભગવાન શ્રીરામના ચુસ્ત ભક્ત એવા રઘુભાઈ ‘કર્મ એ જ ધર્મ’ના સિદ્ધાંતમાં દૃઢ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા અને દીકરા-દીકરીને સમાન ગણતા હતા. તેમના આ જ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને આગળ ધપાવતા તેમની પુત્રી મિથિલાબેન આર. સેજપાલ પટેલ માત્ર 18 વર્ષની નાની ઉંમરે પેંડાના વ્યવસાયમાં જોડાયા હતા. પિતાના અવસાન બાદ મિથિલાબેને વ્યવસાયની બાગડોર સંભાળી હતી. તેમણે પરંપરાગત મીઠાઈઓની ગુણવત્તા અને મૂળ સ્વાદને જાળવી રાખવાની સાથે આધુનિક સમયની માંગને ધ્યાનમાં રાખીને ફ્યુઝન મીઠાઈઓના નવા વિચારો રજૂ કર્યા. પરંપરા અને આધુનિકતાના આ સંગમથી તેમણે વ્યવસાયને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુણવત્તાના કારણે ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’નો ખિતાબ
જયસીયારામ ભગત પેંડાવાળા પોતાની અપ્રતિમ ગુણવત્તા અને આગવા સ્વાદને કારણે સતત ચર્ચામાં રહ્યા છે. વિવિધ જાણીતા મીડિયા માધ્યમોએ પણ આ પેંડા હાઉસની વિશિષ્ટતા અને રાજકોટ સાથેના તેના લાંબા સંબંધની નોંધ લીધી છે. રાજકોટ શહેરની 400 વર્ષની ઉજવણી દરમિયાન પણ નાગરિક બેંક તરફથી જયસીયારામ ભગત પેંડાવાળાને ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સંસ્થાની લાંબી પરંપરા, ગુણવત્તા અને રાજકોટ સાથેના તેના ભાવનાત્મક જોડાણનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
નવસર્જિત શો-રૂમમાં પરંપરા સાથે આધુનિકતાનો સંગમ
ડો. યાજ્ઞિક રોડ પરના શો-રૂમના નવીનીકરણ સાથે જયસીયારામ પરિવાર પોતાની પરંપરાગત ઓળખને જાળવી રાખીને ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક અનુભવ આપવાની દિશામાં આગળ વધી રહ્યો છે. 13 ઓગસ્ટે નવા સ્વરૂપમાં શો-રૂમ શરૂ થતાં રાજકોટવાસીઓને જાણીતા સ્વાદ સાથે નવીન વાતાવરણનો અનુભવ મળશે. સેજપાલ પરિવાર જયશ્રીબેન રઘુનંદન સેજપાલ, મિથિલાબેન સેજપાલ પટેલ તથા જયસીયારામ પરિવાર દ્વારા આ પ્રસંગે રાજકોટના તમામ સ્નેહીઓ અને ગ્રાહકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ડુપ્લીકેટ પેંડાથી સાવચેત રહેવા ગ્રાહકોને અપીલ
આ સાથે પરિવાર દ્વારા ગ્રાહકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે બજારમાં ‘જયસીયારામ’ના નામે ચાલતી ડુપ્લીકેટ બનાવટોથી સાવચેત રહેવું અને પેંડા તથા અન્ય મીઠાઈની ખરીદી માત્ર અધિકૃત શો-રૂમ પરથી જ કરવી. દાયકાઓથી જાળવવામાં આવેલી ગુણવત્તા અને વિશ્વાસને જાળવી રાખવા ગ્રાહકો પણ અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી જ ખરીદી કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




