ગાર્ડન એન્ડ પાર્ક્સ શાખાના ડાઈરેક્ટર ડો. કે.ડી.હાપલિયા સહિત છ કર્મચારીઓને મ્યુનિ. કમિશનર દ્વારા નિવૃત્તિ વિદાયમાન અપાયું
સાંજે ૬.૩૦ કલાકે યોજાયેલા કાર્યક્રમની બે કલાક પૂર્વે ૪.૦૦ વાગ્યે નિવૃત સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા કરી દેવાયા.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારી ઓ અને કર્મચારી ઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે અને તેનો અમલ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવતા અધિકારી/કર્મચારી સમૂહમાં આનંદની લાગણી પ્રસરી છે અને આ નવી ઉમદા પહેલ માટે કમિશનર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ગઈકાલે પુરા થયેલા સપ્ટેમ્બર-૨૦૨૧નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ સદસ્યોમાં ગાર્ડન એન્ડ પાર્ક્સ શાખાના ડાઈરેક્ટર ડો. કે.ડી.હાપલિયા, ટેક્સ બ્રાંચ(ઈસ્ટ ઝોન)નાં સિનિયર ક્લાર્ક જીતેન્દ્રભાઈ કાંતિલાલ જોશી, આરોગ્ય શાખાના ડ્રાઈવર જેરામભાઈ છગનભાઈ વીરસોડીયા, ગાર્ડન શાખાના સ્વીપર લેબર મંજુલાબેન ખીમજીભાઈ મકવાણા, સ્પેશિયલ કન્ઝર્વન્સીનાં લેબર વિઠ્ઠલભાઈ ભીખુભાઈ ચૌહાણ અને સુરક્ષા વિભાગના વોચમેન રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

- Advertisement -
તા. ૩૦-૦૯-૨૦૨૧ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે અધિકારી / કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ તેમણે નિવૃત થયેલા સભ્યોને તંદુરસ્ત દીર્ઘાયુની શુભેચ્છા પણ પાઠવી હતી અને નિવૃત્તિ વિદાયમાન શુભેચ્છા પત્ર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે ૬.૩૦ કલાકે યોજાયેલા આ કાર્યક્રમની બે કલાક પૂર્વે ૪.૦૦ વાગ્યે નિવૃત સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા કરી દેવાયા હતાં. ગ્રેચ્યુઈટીની રકમ તા.૫-૯-૨૦૨૧ સુધીમાં જમા થઇ જશે અને પેન્શન સંબંધી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવેલ છે.

આ અવસરે કમિશનર એ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં હાથપગ સમા અધિકારી ઓ અને કર્મચારીઓ તેમના જીવનનાં અતિ મહત્વના વર્ષો મહાનગરપાલિકાને આપે છે. નિવૃત્ત થયેલ મનપાનાં સદસ્યોએ તેમની જિંદગીનો મહત્વનો જે સમય મનપા અને રાજકોટને આપ્યો છે તે બદલ તંત્ર તેમનો આભાર વ્યક્ત કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારી ઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા હક્ક રજા સહિતના લાભો મળી જાય એ સુનિશ્ચિત થાય એ પણ એટલું જ જરૂરી છે. મહાનગરપાલિકાએ હવેથી આ પ્રણાલી શરૂ કરી છે.

આ સમારોહમાં નાયબ કમિશનરઓ આશિષ કુમાર અને ચેતન નંદાણી, ચીફ ઓડિટર રીતેશભાઈ જે. શાહ, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા, સહાયક કમિશનર સમીર ધડુક, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારા, પી.એ. ટુ કમિશનર એન. કે. રામાનુજ, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસીસ્ટન્ટ મેનેજરો મનિષ વોરા, કાશ્મીરા વાઢેર, વિપુલ ઘોણીયા, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.



