રાજકોટના સ્થાનિક ભંગાર અને સ્ક્રેપ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે નોંધણી કરાવવી પડશે
- Advertisement -
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, હવે સ્ક્રેપ જાહેર થયેલા તમામ સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે પારદર્શક પદ્ધતિથી E-Auction (ઈ-હરાજી) મારફતે કરવામાં આવશે. આ નવી નીતિના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા (RMC) હસ્તકના સ્ક્રેપ વાહનોની વેચાણ પ્રક્રિયા પણ ઈ-હરાજી દ્વારા જ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટના સ્થાનિક ભંગાર અને સ્ક્રેપ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે મનપા પ્રશાસન દ્વારા જરૂરી નોંધણી કરાવી લેવા સત્તાવાર આહવાન કરવામાં આવ્યું છે.
સરકારની નવી જોગવાઈઓ અને માર્ગદર્શિકા અનુસાર, આ ઈ ઓક્શન પ્રક્રિયામાં માત્ર એ જ ખરીદદારો ભાગ લઈ શકશે જેઓ માન્ય રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલીટી એટલે કે નોંધાયેલ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી સાથે સંકળાયેલા હોય. આથી, રાજકોટ અને આસપાસના વિસ્તારના જે સ્થાનિક વેપારીઓ આ સરકારી સ્ક્રેપ વાહનોની ખરીદીમાં રસ ધરાવતા હોય, તેમણે નિયત સમયમર્યાદામાં પોતાની જરૂરી નોંધણી અને આનુષાંગિક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી ફરજિયાત છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુકલે જણાવ્યું છે કે, આ ડિજિટલ અને પારદર્શક વ્યવસ્થાનો મહત્તમ લાભ સ્થાનિક વેપારીઓને મળે તે અત્યંત જરૂરી છે. સ્થાનિક સ્તરે સ્ક્રેપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં સક્રિય થઈને આ પ્રક્રિયાનો હિસ્સો બને તેવો અમારો આગ્રહ છે. આ નવી સિસ્ટમથી વાહનોના વેચાણમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે, સ્વસ્થ સ્પર્ધાત્મકતા વધશે અને સ્થાનિક વેપારીઓને રોજગાર તેમજ વેપારની નવી અને સમાન તકો પ્રાપ્ત થશે.”
- Advertisement -
જે સ્થાનિક વેપારીઓ આ ઈ-હરાજી પ્રક્રિયામાં જોડાવા ઈચ્છતા હોય અને નોંધણી બાબતે મૂંઝવણ કે પ્રશ્નો હોય, તેઓ રૂબરૂ માહિતી મેળવી શકે છે. આ માટે વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ, ભાવનગર રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવાનો રહેશે, જ્યાંથી તેમને નોંધણી પ્રક્રિયા અને ઓક્શન સંબંધિત તમામ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.




