ભેળસેળ બાદ હવે અખબારમાં ખાદ્ય પદાર્થ પીરસનારા સામે હવે તવાઈ જરૂરી!
મેયર ડો. નેહલ શુકલના આરોગ્યલક્ષી અભિયાનમાં ખાદ્ય સુરક્ષાનો આ મુદ્દો પણ સામેલ કરવાની ખાસ જરૂર
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવનિયુક્ત મેયર ડો. નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પરંતુ શહેરના હજારો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતો વધુ એક ગંભીર મુદ્દો હજુ પણ તંત્રના ધ્યાન બહાર હોવાનું જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં આજે પણ અનેક લારીઓ, હોટલો, ફરસાણની દુકાનો અને સ્ટ્રીટ ફૂડ સેન્ટરો પર ભજીયા, ગાંઠિયા, વડાપાવ, સમોસા, પકોડા, જલેબી સહિતના ગરમાગરમ ખાદ્ય પદાર્થો અખબારમાં લપેટીને અથવા સીધા અખબાર પર પીરસીને ગ્રાહકોને આપવામાં આવે છે. ગ્રાહકો માટે સામાન્ય લાગતી આ પ્રથા હકીકતમાં આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અખબારમાં વપરાતી શાહીમાં સીસું, ભારે ધાતુઓ અને અન્ય હાનિકારક રસાયણો રહેલા હોય છે. ગરમ અને તેલયુક્ત ખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવતા આ રસાયણો ખોરાકમાં ભળી શકે છે અને લાંબા ગાળે ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુમાં, અખબારો અસ્વચ્છ સ્થળોએથી પસાર થતા હોવાથી તેમાં રહેલા જીવાણુઓ ખોરાકજન્ય બીમારીઓ ફેલાવી શકે છે. મુંબઈમાં FSSAI દ્વારા આ પ્રકારની પ્રથાને બંધ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા આરોગ્યલક્ષી અભિયાનમાં આ મુદ્દાને પણ સામેલ કરી શહેરભરના હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને લારીઓમાં ચેકિંગ હાથ ધરવાની માંગ ઉઠી રહી છે. શહેરના આરોગ્યપ્રેમી નાગરિકોનું માનવું છે કે જેમ અખાદ્ય ખાદ્ય પદાર્થોના નાશ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમ જ અખબારમાં ખાદ્ય પદાર્થો પીરસતા અથવા પેકિંગ કરતા વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવું માત્ર કાયદાકીય ફરજ જ નહીં પરંતુ જનઆરોગ્યની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. રાજકોટ મનપાએ ભેળસેળ અને અખાદ્ય ખોરાક સામે જે રીતે ઝુંબેશ શરૂ કરી છે, તે જ રીતે અખબારમાં ખાદ્ય પદાર્થો પીરસવાની પ્રથા સામે પણ “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવાનો સમય આવી ગયો છે. કારણ કે સ્વાદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે અને આરોગ્ય સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.
ગ્રાહકો હવે સાવચેત રહો!
ભજીયા, ગાંઠિયા, જલેબી કે અન્ય ગરમ નાસ્તો જો અખબારમાં પીરસવામાં આવે અથવા લપેટીને આપવામાં આવે તો તે સ્વીકારતા પહેલાં વિચારવું જરૂરી છે. અખબારની શાહી અને તેમાં રહેલા રસાયણો આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. ગ્રાહકોએ વેપારીઓ પાસે ફૂડ-ગ્રેડ કાગળ, બટર પેપર અથવા અન્ય મંજૂર પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાની માંગ કરવી જોઈએ.
મુંબઇમાં ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે અખબારનો ઉપયોગ પર પ્રતિબંધ : FSSAI
ભજીયા, ગાંઠિયા, વડાપાવ, સમોસા, પકોડા, જલેબી સહિતના ગરમાગરમ ખાદ્ય પદાર્થો અખબારમાં લપેટીને અથવા અખબાર પર પીરસીને ગ્રાહકોને આપવામાં આવે છે. પરંતુ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા આ પ્રથાને આરોગ્ય માટે જોખમી ગણાવી તેને બંધ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મુંબઈમાં તાજેતરમાં જ FSSAI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પ્રકારના નિયમોનો કડક અમલ થાય તેવી માંગ ઉઠી રહી છે.




