રાજકોટ કમલમ કાર્યાલયે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલન યોજાયું
પક્ષ પહેલા, પદ પછીની ભાવના ધરાવનાર ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા અનેક કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે
- Advertisement -
કાર્યકર્તાની ભૂમિકા માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી તરીકે નિભાવવાની જરૂરિયાત છે : વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના કમલમ કાર્યાલયમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વરિષ્ઠ અને અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના સૌથી સિનિયર અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
કાર્યકર્તા સંમેલનને સંબોધતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પક્ષ માટે અને તેની વિચારધારા માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના જીવનનું સર્વસ્વ સમર્પિત કરીને આજે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીનું વટવૃક્ષ ઊભું કર્યું છે. તેમની વર્ષોની અથાગ મહેનત, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ આજે સમગ્ર દેશ સામે જોવા મળી રહ્યું છે. તેમણે નવા કાર્યકર્તાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે “મેં નહીં, તું”ની ભાવના સાથે કાર્ય કરવું જરૂરી છે. બે સભ્યોથી શરૂ થયેલી રાજકીય વિચારધારા આજે સમગ્ર દેશમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ વિચારધારાની પાછળ કાર્યકર્તાઓનું સમર્પણ અને સંગઠનની શક્તિ સૌથી મોટું બળ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કટોકટીના સમયથી પક્ષ માટે કાર્ય કરતા કાર્યકર્તાઓના અનુભવ અને સંગઠન પ્રત્યેના તેમના આદરભાવ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠનનું બળ માત્ર નેતાઓમાં નહીં પરંતુ સામાન્ય કાર્યકર્તાઓની નિષ્ઠા અને પરિશ્રમમાં રહેલું છે અને એ જ પક્ષની સૌથી મોટી શક્તિ છે.
કાર્યકર્તાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેલા ગુજરાતના વરિષ્ઠ આગેવાનોની હાજરીએ સંમેલનની ગરિમામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પક્ષના નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈને ચાલવાની પરંપરા અને સંસ્કૃતિને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સંબોધનમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વજુભાઈ વાળાએ જીવનભર પક્ષ અને સંગઠનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પક્ષે જે જવાબદારી સોંપી તેને તેમણે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવી છે. વિવિધ મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા હોવા છતાં પક્ષના હિતને હંમેશા પ્રાથમિકતા આપી અને જરૂર પડે ત્યારે કોઈપણ જવાબદારી સ્વીકારી છે. પદ કે હોદ્દો છોડ્યા પછી પણ તેમણે પક્ષ પ્રત્યે કોઈ ફરિયાદ કે અસંતોષ વ્યક્ત કર્યો નથી, જે કાર્યકર્તાઓ માટે જીવંત પ્રેરણાસ્ત્રોત સમાન છે.
આ પ્રસંગે ગુજરાતના સૌથી વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળાએ પણ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને સંગઠન પ્રત્યેના સમર્પણને યાદ કરીને કાર્યકર્તાઓને સ્પષ્ટ દિશા અને પ્રેરણા આપી હતી. તેમણે કાર્યકર્તાની ભૂમિકા માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી તરીકે નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




