શ્વાન પ્રેમીઓમાં રોષ અને મેનકા ગાંધી મેદાને આવતા અંતે નિર્ણય લેવાયો
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રહેતા આશરે 100 જેટલા શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવવામાં આવતા શ્વાન પ્રેમીઓ અને જીવદયા કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. યુનિવર્સિટીના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે અને જીવદયા પ્રેમીઓએ યુનિવર્સિટી તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરી છે.
માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના 22 ઓગસ્ટ, 2025ના ચુકાદાની અમલવારીના અનુસંધાનમાં યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં શ્વાન ફીડિંગને નિયંત્રિત કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ નિર્ણય સામે અનેક પ્રાણીપ્રેમીઓ અને સામાજિક કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે. જીવદયા પ્રેમીઓએ આ મુદ્દે ડૉ. ઉત્પલ જોશી અને અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન, પ્રાણી અધિકાર કાર્યકર્તા અને પૂર્વ કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા પણ આ મામલે રસ દાખવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે કુલપતિ, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે રાજકોટ સહિત ગુજરાતમાં અબોલ જીવો માટે કરુણાભાવનું અભિયાન ચલાવતા મિતલ ખેતાણીએ પણ યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નિર્ણયને “મૂર્ખતાભર્યો” ગણાવી તાત્કાલિક બેનરો દૂર કરવાની માંગણી કરી છે. બીજી તરફ, યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના જણાવ્યા મુજબ, 300 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલા યુનિવર્સિટી કેમ્પસમાં 100થી વધુ શ્વાનો વસવાટ કરે છે. કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રાત્રિના સમયે શ્વાનો પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતી હતી. ઉપરાંત, ડોગ બાઈટની ઘટનાઓ પણ નોંધાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરરોજ સવાર અને સાંજના સમયે 1,500થી વધુ નાગરિકો કેમ્પસમાં વોકિંગ માટે આવે છે. વોકર્સ તરફથી પણ મુખ્ય માર્ગો પર શ્વાનોના ટોળા હોવાના અને તેઓ પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતી હતી, જેના કારણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું હતું. વિવાદ વચ્ચે યુનિવર્સિટીએ વચગાળાનો માર્ગ અપનાવ્યો છે. શ્વાન પ્રેમીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે દરરોજ સવારે 8થી 9 વાગ્યા દરમિયાન એક કલાક માટે શ્વાનોને ભોજન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, દિવસ દરમિયાન ગમે ત્યારે આવીને શ્વાનોને ભોજન કે પાણી આપવાની મંજૂરી રહેશે નહીં. યુનિવર્સિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ડોગ શેલ્ટરની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ કેમ્પસમાં રહેલા મોટાભાગના શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે તેમની વસ્તીમાં વધારો અટકાવી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયે હાલમાં સુરક્ષા અને જીવદયા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે નવી ચર્ચા જગાવી છે. એક તરફ વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાની ચિંતા છે, તો બીજી તરફ અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ અને તેમની સંભાળનો મુદ્દો પણ એટલો જ મહત્વનો બની રહ્યો છે.




