ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં હાલમાં જ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લાં એક અઠવાડિયામાં તપાસ હાથ ધરતાં શહેરમાં ઠેર-ઠેર માંદગી સામે આવી છે. શહેરમાં હોસ્પિટલ, આરોગ્ય શાખા, ખાનગી દવાખાનામાં છેલ્લા સપ્તાહમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને મરડાના અનેક કેસો મળી આવ્યા છે. શહેરમાં ઘરે-ઘરે માંદગીમાં શહેરીજનો સપડાયા છે ત્યારે મનપાની વિવિધ શાખાઓ ચૂંટણીમાં વ્યસ્ત હતી જેથી શહેરીજનોની સુખાકારી પ્રત્યે જાગૃતતા લાવવામાં નિષ્ફળ નિવડી છે. શહેરમાં મનપાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લાં સપ્તાહ દરમિયાન નોંધાયેલ આંકડામાં જબરદસ્ત વધારો થયો છે. ઘરે-ઘરે શરદી-ઉધરસના 212, તાવ 43, ઝાડા-ઉલ્ટીના 60, મેલેરિયા 1, ડેંગ્યુના 12 અને ચિકનગુનિયા 1 તથા કોરોનાના કેસો પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં પણ દર્દીઓએ સારવાર લીધેલ છે જેના આંકડા મનપાના ચોપડે નોંધાયેલ નથી ત્યારે હવે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે શું પગલાં લેવામાં આવશે? તથા આરોગ્ય શાખાના 101010ના સુત્ર અપનાવેલ હોવા છતાં પણ શહેરમાં રોગચાળો વકર્યો છે.