પાટીદાર સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે શરૂ કરાઈ ઉમિયાની અદાલત
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર સંસ્થા વિશ્ર્વ ઉમિયા ધામ દ્વારા પાટીદાર સમાજના આંતરિક વિવાદો અને અસંમતિઓના નિરાકરણ માટે એક અનોખી પહેલા કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ નિમિત્તે વિશ્ર્વ ઉમિયા ધામ દ્વારા ઉમિયાની અદાલત શરૂ કરવામાં આવી છે. જેના થકી આ સંસ્થાનો વિવાદિત પક્ષો સંપર્ક કરી શકે છે. સમાજના વરિષ્ઠ લોકો અને નેતાઓની મદદથી વિવાદો અને સમસ્યાનું સુખદ પરિણામ લાવવામાં આવશે. આ કરવાનો હેતુ સમાજના લોકોને ન્યાય મેળવવાની કઠિન પ્રક્રિયામાંથી બહાર લાવવાનો છે.
વિશ્ર્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, પારિવારિક અને અન્ય બાબતોને લગતા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. આ પ્રકારના વિવાદની જ્યારે અમારી જિલ્લા સ્તરની સમિતિને જાણ થશે ત્યારે તેનો સુખદ અંત લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. જો સમિતિ દ્વારા આ બાબતનો ઉકેલ નહીં લાવી શકાય તો સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને નેતાઓની બનેલી અમારી રાજ્યકક્ષાની સમાધાન સમિતિ તેનો ઉકેલ લાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમીન વિવાદો અને વૈવાહિક વિખવાદ સહિતના સેંકડો કેસો વિવિધ અદાલતોમાં દાખલ કરાય છે. આ પ્રકારના કેસો કોર્ટમાં દાખલ થતાં અટકાવવા માટે આ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ લાંબ સમયથી પડતર કેસોનો ઉકેલ આ ઉમિયાની અદાલત થકી લાવવાનો પ્રયાસ કરાશે.
આ ઉપરાંત વિશ્ર્વ ઉમિયા ધામે સતત તણાવ અને હતાશાનો સામનો કરી રહેલા યુવાનો અને પ્રોફેશનલ્સનું કાઉન્સેલિંગ કરવા માટે એક ઉમા કાઉન્સેલિંગ સેન્ટરનો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરો અને મોટિવેશન્લ સ્પીકર્સની ટીમ દ્વારા આ પ્રકારના યુવાનો અને પ્રોફેશનલ્સનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ સેન્ટરનું નેતૃત્વ ડોક્ટર, પ્રેરક વક્તા અને લેખક જીતેન્દ્ર અઢિયા કરશે. આ સેન્ટરની થીમ મનની માવજત અને સમસ્યાનું સમાધાન હશે.
તેમજ સિવિલ સર્વિસમાં જોડાવા માગતા યુવાનો માટે એક તાલિમ એકેડમીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું નેતૃત્વ પૂર્વ મુખ્ય સચિવ ડી.જે.પાંડિયન દ્વારા કરવામાં આવશે. આ તાલિમ એકેડમી અમદાવાદના નિકોલમાં અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવશે. આ એકેડમીની શરૂઆત કરવાનો ઉદ્દેશ્ર્ય આપણા દેશનું ભવિષ્ય તેવા યુવાનોનું જીવન સુખમય રહે તે સુનિશ્ર્ચિત કરવાનો છે.