– 20 વર્ષની મુદતની 30 લાખની હોમલોનનો માસિક હપ્તો 23258 થી વધીને 27387 થયો
મોંઘવારીને કાબુમાં લેવા રિઝર્વ બેંકે રેપોદરમાં કરેલા વધારાને પગલે બેંકોએ વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેંક સહિતની બેંકોમાં લોન મોંઘી કરી દીધી છે. બેંક ઓફ ઈન્ડીયાએ સાત ડિસેમ્બરની અસરથી આરવીએલઆર 9.10 ટકા કર્યો છે. અન્ય તમામ મુદત માટે પણ એમસીએલઆરમાં 0.25 ટકાનો વધારો કરાયો છે. એક વર્ષનો એમસીએલઆર. 7.95 ટકાથી વધારીને 8.15 ટકા કરાયો છે. છ માસનો 7.90 ટકા છે.
- Advertisement -
ઈન્ડીયન ઓવરસીઝ બેંકે આરએલઆઈ-આર સુધારીને 9.10 ટકા કર્યો છે. જે 10 ડિસેમ્બરથી અમલી થશે.વધતા વ્યાજદરથી લોનધારકોને ફટકો છે. માર્ચ માસમાં 20 વર્ષની મુદતની 30 લાખની લોન 7 ટકાએ લેવામાં આવી હોય તેનું વ્યાજ હવે 9.25 ટકા થયુ છે જેને પગલે માસિક હપ્તો રૂા.23258 થી વધીને 27387 થયો છે.લોન મોંઘી થવાની સાથોસાથ ટુંકી મુદતના ફીકસ્ડ ડિપોઝીટ વ્યાજદર વધારવા પણ બેંકોમાં હોડ જામી છે. એચડીએફસી બેંકે છ માસથી એક વર્ષની એફડી પરનું વ્યાજ 5.25 થી 5.50 ટકા કર્યુ છે. સીનીયર સીટીઝન માટે 5.75 થી 6 ટકા છે.
સ્ટેટ બેંકની વાત કરવામાં આવે તો છ માસથી એક વર્ષની એફડી પર 5.25 થી 5.75 ટકાનું વ્યાજ ઓફર કરે છે. આઈસીઆઈસીઆઈ બેંક પણ 5.25 થી 5.50 ટકા વ્યાજ આપે છે. સીનીયર સીટીઝનને 5.75 થી 6 ટકા વ્યાજ મળે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ટુંકાગાળા માટે એફડીમાં રોકાણનો વિકલ્પ સારો છે. રિઝર્વ બેંકે મોંઘવારીના પડકારનો સામનો કરવા માટે છેલ્લા મહિનાઓમાં રેપોદરમાં 2.25 ટકાનો વધારો કર્યો છે અને તેને પગલે બેંકોએ હોમલોનથી માંડીને તમામ પ્રકારના ધિરાણ મોંઘા કરી દીધા છે જેનો લોનધારકો પર બોજ વધી રહ્યો છે.