ભાવિકો રાતના 3 વાગ્યાથી આવ્યા, અસહ્ય ગરમીથી શેકાઇ રહ્યા છે, ધનિકો માટે અલગથી જનકલ્યાણ એસી હોલમાં VIP દરબાર
ખાસ-ખબર સંવાદદાતા
બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે શહેરના રેસકોર્સ મેદાન ખાતે તેમનો સાંજે 6 વાગ્યે દિવ્ય દરબાર યોજાવાનો છે. જેના માટે રાત્રિના 3 વાગ્યાથી લઈ વહેલી સવારે 7 વાગ્યાથી લોકો રેસકોર્સ મેદાન ખાતે આવી રહ્યા છે અને અત્યારથી દિવ્ય દરબારના સ્થળ પર બેસી ગયા છે. દિવ્ય દરબારના સ્થળે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, બાબાના નજીકથી દર્શન થઈ શકે તે માટે વહેલી આવી છું.
- Advertisement -
જ્યારે મધ્યપ્રદેશથી એક ભક્ત બાઇક પર રેસકોર્સ દિવ્ય દરબાર માટે આવ્યા છે. તેઓ બાઇક પરથી આવ્યા હોવાથી થાક ઉતારવા રેસકોર્સમાં જ બાઇકના છાંયે આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. આજે બાબએ શહેરના કાલાવાડ રોડ પર આવેલા બીએપીએસ મંદિર ખાતે દર્શન કર્યા હતા. મંદિરના કોઠારી અપૂર્વમુનિ સ્વામીએ હારતોરા કરી સ્વાગત કર્યું હતું. રેસકોર્સ ખાતે આજે સાંજે બાબાનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં એક લાખથી વધુના ભક્તો ઉમટશે તેવી આશા સેવાઈ રહી છે.
VIP દરબારનું જનકલ્યાણ હોલમાં આયોજન
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર દિવ્ય દરબાર પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રી એસ્ટ્રોન ચોક નજીક જનકલ્યાણ હોલ ખાતે VIP દરબાર યોજવાના છે, જેમાં સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. જનકલ્યાણ હોલ ખાતે 200થી 250 લોકો બેસી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આ એસી હોલ ખાતે બેઠક વ્યવસ્થા તેમજ સાઉન્ડ વ્યવસ્થા બધું જ તૈયાર કરી દેવામાં આવ્યું છે.