વિજયભાઇના અંગત મિત્ર ધનસુખ ભંડેરીએ વાગોળી 35 વર્ષની યાદો
અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ
- Advertisement -
વિજયભાઇની સરળતા, સંવેદનશીલતા અને કાર્યકર્તાઓ પ્રત્યેના આત્મીય સંબંધોને યાદ કરી ભાવુક બન્યા ધનસુખભાઈ ભંડેરી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થતાં તેમના નજીકના મિત્ર, રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જામનગર મહાનગરના પ્રભારી તથા રાજ્ય પ્રદેશ કારોબારી સદસ્ય ધનસુખભાઈ ભંડેરીએ તેમની સાથે વિતાવેલા સાડા ત્રણ દાયકાથી વધુ સમયની યાદો તાજી કરી હતી. ખાસ ખબર ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ધનસુખભાઈ અનેક પ્રસંગો યાદ કરતાં ભાવુક બની ગયા હતા.
- Advertisement -
ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે વિજયભાઈના વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતે, વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણી અને નિતિનભાઈ ભારદ્વાજ સાથે લંડનમાં હતા. આ દુઃખદ સમાચાર સાંભળતા જ સૌ સ્તબ્ધ બની ગયા હતા અને લગભગ ૧૫ મિનિટ સુધી કોઈ કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતું.
તેમણે જણાવ્યું કે રાજકારણમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા બાદ પણ વિજયભાઈએ ક્યારેય પોતાની સરળતા અને સહજતા ગુમાવી નહોતી. કોઈ વ્યક્તિ તેમની સાથે કડવાશથી વર્તે તો પણ તેઓ મનમાં દ્વેષ રાખતા નહોતા. મુખ્યમંત્રી તરીકે સેવા આપતાં હોવા છતાં કાર્યકર્તાઓને મનાવવા માટે તેઓ જાતે તેમના ઘરે પહોંચી જતા હતા. તેમના વ્યક્તિત્વની આ વિશેષતા તેમને સામાન્ય કાર્યકર્તાઓમાં પણ લોકપ્રિય બનાવતી હતી.
ધનસુખભાઈએ જણાવ્યું કે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન જેવી પડકારજનક સ્થિતિ હતી. તેમણે કેન્દ્રના નેતૃત્વ સાથે સતત સંકલન જાળવી રાખીને સંવાદના માધ્યમથી પરિસ્થિતિને શાંત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ ગણાતા એમ્સ તથા આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવા પ્રોજેક્ટોને પણ ગતિ મળી હતી.
રાજ્યના વિકાસ માટે તેમણે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ‘સૌની યોજના’,‘સુજલામ સુફલામ યોજના’તેમજ નર્મદાના પાણીનો લાભ રાજ્યના અંતિમ વિસ્તાર સુધી પહોંચે તે માટે તેઓ સતત પ્રયાસશીલ રહ્યા હતા. ઉપરાંત રાજ્યમાં વીઆઈપી કલ્ચર ઘટાડવા માટે પોતાની સરકારી ગાડી પરથી લાલબત્તી દૂર કરવાનો નિર્ણય પણ તેમણે સ્વયં લીધો હતો.
રાજકીય જીવન ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ વિજય રૂપાણીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. પોતાના પુત્ર પૂજિતના અવસાન બાદ તેમણે અને અંજલીબેને ‘પૂજિત રૂપાણી ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોની સેવા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ધનસુખભાઈએ વધુમાં જણાવ્યું કે વિજયભાઈને હિંચકો ખૂબ પ્રિય હતો. ગાંધીનગરનું સરકારી નિવાસસ્થાન હોય કે રાજકોટનું ઘર, તેઓ હિંચકા પર બેસીને અખબાર વાંચતા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા. આજે તે હિંચકો પણ જાણે તેમની યાદમાં હિબકાં ભરી રહ્યો હોય તેવી લાગણી થાય છે.
વિજય રૂપાણી માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ સંવેદનશીલ, સહજ અને કાર્યકર્તાઓના સુખ-દુઃખમાં ભાગીદાર બનતા માનવી તરીકે લોકોના હૃદયમાં આજે પણ જીવંત છે. તેમના નિધનને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં તેમની યાદો અને કાર્યશૈલી અનેક લોકોને પ્રેરણા આપી રહી છે.
વિજય રૂપાણી એક સંવેદનશીલ અને પાયાના નેતા : ધનસુખભાઈ ભંડેરી
સાડા ત્રણ દાયકાનો સાથ : ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ૩૫ વર્ષથી વિજયભાઈ સાથે જોડાયેલા હતા. વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ દરમિયાન વિજયભાઈ રાજકોટના મેયર હતા ત્યારે ધનસુખભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. ત્યારબાદ તેઓ પોતે પણ મેયર બન્યા હતા.
કાર્યકર્તાઓનું ઘડતર : સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધીની સફર કરનાર વિજય રૂપાણીએ ગુજરાતમાં અનેક યુવા નેતાઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી તેમનું ઘડતર કર્યું હતું.
પરિવારના સભ્ય જેવો સંબંધ : ધનસુખભાઈએ જણાવ્યું કે તેમનો અને વિજયભાઈનો સંબંધ માત્ર રાજકીય ન હતો, પરંતુ પારિવારિક હતો. તેમના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં ત્રણ-ત્રણ કલાક સુધી હાજર રહી પરિવાર સાથે ખુશી વહેંચી હતી.
છેલ્લી મુલાકાત અને વાતચીત : લંડન જવાના એક દિવસ પહેલાં ૧૦ જૂનની સવારે ધનસુખભાઈએ વિજયભાઈના ઘરે તેમની સાથે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ ૧૧ જૂને લંડન પહોંચ્યા પછી પણ બંને વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત થઈ હતી. આ જ તેમની છેલ્લી વાતચીત સાબિત થઈ હતી.




