હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં
ખાસ-ખબર સંવાદદાતા
‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન સાથે રખડતા પશુ કે પ્રાણીઓ અથડાવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટનાઓને રોકવા માટે હવે રેલવે પ્રશાસને કડક પગલાં ભરવાની પહેલ કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ)ના મુંબઈ વિભાગે ગામોના સરપંચોને પત્ર લખીને કડક સૂચના આપી છે કે રખડતા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેકની આસપાસ ન ફરે. આરપીએફએ ચેતવણી પણ આપી છે કે જો પશુઓ રેલવે લાઇનની આસપાસ ભટકતા જોવા મળશે તો તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાલઘર આરપીએફ દ્વારા 28 ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેક પર રખડતા જોવા મળે છે અને ક્યારેક તે ટ્રેક પર પણ આવી જાય છે. જેના કારણે તેમના કચડાઈ જવાના બનાવો બને છે.
- Advertisement -
ગામોના સરપંચોને નોટિસ પાઠવાય
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના પાલઘરથી લઈને સુરતના ઉધના સુધી આવા ઘણા નાના ગામો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રાણીઓ છે. ટ્રેનો સાથે પશુઓ અથડાવાના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, આ ગામોના સરપંચોને નોટિસ આપવામાં આવી છે કે જેથી તેના પર નિયંત્રણ રાખવામાં આવે અને તેમને રેલવે લાઇનની આસપાસ ભટકવા દેવામાં ન આવે. કારણ કે આ અકસ્માતો માત્ર ટ્રેનના એન્જિનને જ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ મુસાફરોના જીવને પણ જોખમમાં મૂકે છે.