વધુ નાણાંની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી એસિડ પી લીધું હતું
સ્યુસાઇડ નોટ આધારે માતાએ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી
- Advertisement -
રાજકોટના કેવડાવાડીમાં રહેતાં સોની વેપારી તેજસભાઇ શિરીષભાઇ રાણપરા ઉ.39એ દેવપરામાં આવેલી પોતાની દુકાનમાં એસિડ પી આપઘાત કરી લીધાની ઘટનામાં પૈસાની ઉઘરાણી માટેનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્સો સામે મરવા મજબુર કરવા અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના કેવડાવાડીમાં રહેતાં ગીતાબેન શિરીષભાઇ રાણપરા ઉ.58એ મોરબીના હાર્દિક ભરતભાઇ ગોસ્વામી, મુંબઇના ભરત ગોસ્વામી, સુરતના વિનોદભાઇ, અરવિંદભાઇ ગઢવી તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ, ભાઇજી નામના શખ્સો વિરૂધ્ધ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પતિ શિરીષભાઇ ચીમનલાલ રાણપરા સાથે રહુ છું. સંતાનમાં બે દિકરા તેજસભાઇ અને રૂપેશભાઇ છે. તેજસભાઇને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે પાંચ વર્ષ પહેલા મારા બંને દિકરાઓ દેવપરા શક્તિ હોટેલવાળી શેરીમાં બી.એમ.જ્વેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા હતા. મોટો દીકરો તેજસભાઇ દાગીનાની ખરીદ-વેચાણનું કામ કરતો હતો 2025ના ડિસેમ્બરમાં તેણે પરિવારને જણાવ્યું હતું કે તેણે મોરબીના હાર્દિકભાઈ ગોસ્વામી અને તેમના પિતા ભરતભાઈ ગોસ્વામી પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા જેમાં ધંધામાં નુકસાન જતા 20 લાખ રૂપિયા ચુકવવાના બાકી નીકળતા હતા. આ પૈસાની ઉઘરાણી કરવા આ બંને દુકાને આવી ધમકી આપે છે બાદ હાર્દિકભાઈએ મુંબઈના સોનાના વેપારી વિનોદભાઈ સાથે ઓળખાણ કરાવી આશરે 30 લાખના દાગીના મંગાવ્યા હતા જેના નાણાં ચુકવવા માટે તેજસભાઇએ સુરતના અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જો કે, વિનોદભાઈએ પુરતો માલ ન મોકલતા આખું રોટેશન ફરી ગયું હતું. આ સિવાય અન્ય શખ્સો વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજી નામના વ્યક્તિઓ સાથે પણ સોનાના દાગીનાની ખરીદ-વેચાણના કારણે નાણાંકીય લેણદેણ ઊભી થઈ હતી. તેજસભાઇએ આ તમામને કટકે-કટકે નફા સાથે રકમ ચુકવી હોવા છતાં તેઓ વધુ નાણાંની માંગણી કરતા હતા મોરબીના ભરતભાઈ અને કાંતિભાઈ નામના શખ્સો રાજકોટ ખાતે દુકાને આવી ઉઘરાણી બાબતે બોલાચાલી કરીને-જો પૈસા નહીં આપે તો તને જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધાક-ધમકીઓ આપી હતી. આ ઉપરાંત મુંબઈના વિનોદભાઈ, સુરતના અરવિંદભાઈ ગઢવી સહિતના અન્ય આરોપીઓ પણ અવારનવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતા હતા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હતા આ બધાની ધમકીઓ અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી ગત તારીખ 19ના રોજ તેજસભાઇએ પોતાની જ દુકાનમાં નાઈટ્રિક એસિડ પી લીધું હતું સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન ગત તા.22ના રોજ મૃત્યુ થયું હતું તેજસભાઇના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં આરોપીઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી ગીતાબેને પોલીસ સમક્ષ રજૂ કરતાં તેના આધારે તમામ સામે પુત્રને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.




