મોબાઇલ નંબર વગર ચેટિંગની સુવિધા આપતાં ફિચરથી સાયબર ફ્રોડ વધવાની સરકારને આશંકા, ફોન નંબર વિના ગુનેગારોને ટ્રેક કરવા મુશ્કેલ
કેન્દ્ર સરકારે વોટ્સએપના આગામી સમયમાં આવનારાં ‘યુઝરનેમ-આધારિત’ મેસેજિંગ સિસ્ટમ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ ફીચર હેઠળ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વગર માત્ર એક યુનિક યુઝરનેમ દ્વારા અન્ય લોકો સાથે જોડાઈ શકે છે. સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની ‘મેટા’ ને સત્તાવાર નોટિસ ફટકારીને આગામી ૩ દિવસની અંદર આ ફીચર અંગે વિગતવાર ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. સરકારનું માનવું છે કે, આ ફીચરથી લોકોની પ્રાઈવસી ભલે વધે, પરંતુ તેની આડમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી શકે છે.
- Advertisement -
સરકાર અને સુરક્ષા એજન્સીઓની મુખ્ય ચિંતા એ છે કે ફોન નંબર વગર ગુનેગારો કે સાયબર ફ્રોડ કરનારા તત્ત્વોને ટ્રેક કરવા મુશ્કેલ બની જશે. ડિજિટલ અરેસ્ટ, ફેક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ફિશિંગ જેવા ગુનાઓ મોટાભાગે વોટ્સએપથી શરૂ થતાં હોય છે, ત્યારે આ ફીચરનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે મેટા સમક્ષ કેટલાક કડક સવાલો પૂછ્યા છે; જેમ કે, યુઝર્સના વેરિફિકેશન માટે શું વ્યવસ્થા છે? બીજાના નામે ખોટું એકાઉન્ટ બનાવીને થતી છેતરપિંડી કેવી રીતે રોકાશે? સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જયાં સુધી ભારત સરકાર સાથે આ અંગેની વાતચીત અને મંજૂરી પૂરી ન થાય, ત્યાં સુધી આ ફીચર ભારતમાં લોન્ચ કરવું નહીં.
તાજેતરમાં નીટ પેપર લીક કાંડ દરમિયાન ફોન નંબર છુપાવીને યુઝરનેમથી ચાલતી એપ ‘ટેલિગ્રામ’ નો ભારે દુરુપયોગ થયો હતો, જેના કારણે સરકારે જૂન મહિનામાં ટેલિગ્રામ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. આ ઘટના બાદ સરકાર મેસેજિંગ પ્લેટફોર્મ્સ અંગે વધુ કડક બની છે. બીજી તરફ, વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ ફીચર હાલ લાઈવ નથી અને આ વર્ષનાં અંતમાં તે ધીમે-ધીમે રોલઆઉટ થવાનું છે. વોટ્સએપે ખાતરી આપી છે કે આ ફીચર સંપૂર્ણપણે ઓપ્શનલ રહેશે. હાઈ-પ્રોફાઈલ નામો પહેલેથી જ રિઝર્વ રાખવામાં આવ્યાં છે અને સિક્યોરિટીના મજબૂત લેયર રાખવામાં આવ્યાં છે જેથી અજાણ્યાં લોકો આડેધડ મેસેજ ન કરી શકે. જોકે, હવે આગળનો નિર્ણય મેટાના ૩ દિવસમાં આવનારા જવાબ પર નિર્ભર રહેશે.




