મનપા તંત્ર દ્વારા તમામ ઘરોની યાદી તૈયાર કરવાનું કાર્ય સફળતાપૂર્વક પૂરુ કરાયું
આંકડાકીય માહિતી વિકાસ કાર્યો, નવી યોજનાઓ અને નીતિઓ ઘડવામાં નિર્ણાયક સાબિત થશેઃ ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ
- Advertisement -
ગુજરાત રાજ્ય સહિત રાજકોટ શહેરમાં વસ્તી ગણતરી (જનગણના ૨૦૨૭) ના ભગીરથ પ્રોજેક્ટની પ્રક્રિયાનો સૌપ્રથમ તબક્કો સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. અલગ-અલગ બે તબક્કામાં વિભાજિત આ સમગ્ર પ્રક્રિયા પૈકી રાજકોટમાં પ્રથમ તબક્કાની ‘હાઉસ લિસ્ટિંગ’ (ઘર યાદીકરણ) ની કામગીરી પૂરી કરી લેવામાં આવી છે. હવે આગામી ફેબ્રુઆરી-૨૦૨૭માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે, જેના આધારે જ શહેર અને રાજ્યની સાચી વસ્તી કેટલી છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે.
આ અંગે વિગતો આપતા રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, જનગણના ૨૦૨૭ના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ‘ઘર યાદીકરણ’ (હાઉસ લિસ્ટિંગ) ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આ કામગીરીની શરૂઆત ૧ જૂનથી કરવામાં આવી હતી, જે ૩૦ જૂન ૨૦૨૬ સુધી ચાલ્યા બાદ ગઈકાલે જ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. એક મહિનાના આ નિયત સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વ્યાપક સ્તરે સર્વે કરીને તમામ ઘરોની યાદી તૈયાર કરવાનું ભગીરથ કાર્ય મનપા તંત્ર દ્વારા પણ પૂરું કરવામાં આવ્યું છે.પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ હવે વસ્તી ગણતરીના બીજા અને સૌથી મહત્વના તબક્કા તરફ આગળ વધવામાં આવશે. પ્રણય પંચાલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ઘરનું લિસ્ટિંગ કરવાનું કામ પૂરું થયા પછી, હવે બીજો તબક્કો આગામી વર્ષે એટલે કે ૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ હવે વાસ્તવિક વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી કરવામાં આવશે, જેમાં પ્રત્યેક નાગરિકોની વ્યક્તિગત વિગતો અને આંકડાઓ એકત્રિત કરવામાં આવશે.
- Advertisement -
વસ્તી ગણતરીના આ બંને તબક્કાઓની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે, ત્યારે જનગણના ૨૦૨૭નું કાર્ય પણ સત્તાવાર રીતે આટોપી લેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ એકત્રિત કરવામાં આવેલા તમામ આંકડાઓ (સ્ટેટિસ્ટિક્સ) રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવશે. આ આંકડાકીય માહિતી દેશ અને રાજ્યના ભવિષ્યના વિકાસ કાર્યો, નવી યોજનાઓ અને નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની અને નિર્ણાયક સાબિત થશે.બીજો તબક્કો પૂર્ણ થયા પછી આંકડાઓ ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે પૂછવામાં આવતા ચૂંટણી અધિકારી પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની ફિલ્ડ કામગીરી પૂરી થયા બાદ મોટા પાયે ‘ડેટા કમ્પાઈલેશન’ એટલે કે આંકડાઓનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે. આ એક ખૂબ જ જટિલ અને ઝીણવટભરી પ્રક્રિયા છે જેમાં વ્યાપક પ્રમાણમાં રિસર્ચ અને મોટા પાયે (બ્રોડ વર્કિંગ) કામગીરીની જરૂર પડે છે. આ સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ આખરી અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જેને ત્યારબાદ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.




