ડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!
નાસ્તા, ભોજન, મિનરલ વોટર અને અન્ય ખર્ચના લાખો રૂપિયાના બિલોને લઈને સવાલો : કોંગ્રેસે સ્વતંત્ર તપાસની ઉઠાવી માંગ
- Advertisement -
SIT અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિ રચવાની રજૂઆત
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
કોઇપણ કૌભાંડ થાય એટલે ‘સીટ’ની રચના, તપાસ કમિટીનો અહેવાલ આવે ત્યા સુધીમાં બધુ ટાઢુ પડી જાય અને બાદમાં ‘વહીવટ’ને ભારે સિફતપૂર્વક અંજામ આપી દેવામા આવે છે. આ મોડેસ ઓપરેન્ડી દેશવ્યાપી ચાલી રહી છે જેમા રાજકોટ મનપા પણ કંઇ ઉણી ઉતરે તેમ નથી. હાલ માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્ય આખામાં વિવાદના ચકડોળે ચડેલા જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારમાં મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના કરવા કમિશનરને આદેશ કર્યો છે. જોકે આ તપાસ બિલાડીને દૂધના રખોપા આપવા સમાન છે. તેથી આજરોજ જંગલેશ્વરમાં ડિમોલેશનમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર અને જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા માનનીય કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ખર્ચની પારદર્શક તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા તેમજ અન્ય વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આટલો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો અને તે ખર્ચ કયા ધોરણે મંજૂર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના મતે આ મુદ્દો માત્ર ખર્ચનો નથી, પરંતુ જનતાના પરસેવાના પૈસાના સંભવિત દુરુપયોગ અને કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેમજ તે કામગીરી માટે ખરેખર જરૂરી હતા કે નહીં તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આવેદનપત્રમાં રજૂ થયેલા તમામ બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, ચુકવણીઓ તથા સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને કેટલાં બિલો સાચાં છે અને કેટલાં ખોટાં અથવા બનાવટી છે તેની હકીકત જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોય તો તેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસે ચાર મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી છે. જેમાં સમગ્ર મામલાની તપાસ મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા શાસક પક્ષના પ્રતિનિધિઓની સમિતિને બદલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત ડિમોલિશન દરમિયાન થયેલા દરેક ખર્ચ, બિલ, ચુકવણી, ટેન્ડર અને કોન્ટ્રાક્ટની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર તપાસનો અહેવાલ જાહેર કરીને જનતા તથા મીડિયાને માહિતગાર કરવામાં આવે.
આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે જાહેર નાણાં જનતાની અમાનત છે અને જનતાના પરસેવાના પૈસાનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં અને કાયદેસર રીતે ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. આથી સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વગર પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે સ્પષ્ટ માંગ વ્યક્ત કરી છે. આ આવેદનપત્ર પર ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠિયા, ગોપાલ અનડકડ, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ દાઉદાણી, મનીષા રોજાસરા, મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવડા, ડી.પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, ઇબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાધેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડિયા, દીપ્તિ સોલંકી, નીતિન ભંડારી અને વૈશાલી શિદે સહિતના આગેવાનોએ હસ્તાક્ષર કર્યા હતા.
- Advertisement -
જાહેર નાણાં એ જનતાની અમાનત છે તેનો ઉપયોગ જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મનપાની જવાબદારી છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિતના વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચને લઈને શહેરભરમાં અનેક સવાલો ઉભા થયા છે અને જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં તે અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી, તેમજ ખર્ચની પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી હતી કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા જળવાય અને જનતાનો વિશ્વાસ અખંડિત રહે તે માટે સમગ્ર મામલાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આવેદનમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયા અંગે જનતાને વાસ્તવિક માહિતી મળી શકે. કોંગ્રેસે ચેતવણીરૂપે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે.




