15 જુલાઇ સુધીમાં ગત વર્ષ કરતા 26% વધુ વરસાદ વરસ્યો
આજે સામાન્ય વરસાદ પડ્યો : મોટાભાગનાં વિસ્તારમાં વિરામ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સમયસર ચોમાસાની સિઝનનો પ્રારંભ થયો છે. તેમજ છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 15 જુલાઇ સુધીમાં ગત વર્ષ કરતા 26 ટકા વધુ વરસાદ વરસી ગયો છે. જોકે આજે સામાન્ય વરસાદ પડયો હતો. પરંતુ મોટાભાગનાં વિસ્તારમાં વરસાદનો વિરામ રહ્યો હતો.
ચાલુ વર્ષે વરસાદની શરૂઆત સારી રહી છે. નદી-નાળા ભરાઇ ગયા છે. મોટાભાગનાં ડેમ ઓવરફલો થઇ ગયા છે. વાડીઓમાં કુવા,બોરમાં પાણીનાં તળ ઉંચા આવી ગયા છે. ખેડૂતોએ વાવેતર પણ સમયસર કરી દુધી હતું. સતત અને સારા વરસાદથી ખેડૂતો ખુશ છે. જોકે જૂનાગઢ જિલ્લામાં અષાઢી બીજનાં દિવસથી વરસાદ પડી રહ્યો છે.આજે સવારથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેરમાં રાત્રીનાં અડધો ઇંચ વરસાદ થયો હતો. અન્યત્ર વરસાદી ઝાંપટા પડયાં હતાં. જૂનાગઢ જિલ્લામાં બપોર સુધી વરસાદનો વિરામ જોવા મળ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં 15 જુલાઇ 2022 સુધીમાં સરેરાશ સિઝનનો 68.84 ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સરેરાશ 26.35 ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 38.28 ઇંચ વરસાદ થવો જોઇએ,તેની સામે 15 જુલાઇ સુધીમાં સિઝનનો સરેરાશ 26.35 ઇંચ વરસાદ પડી ગયો છે. જોકે ગત વર્ષની સરખામણી કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ કરતા 26 ટકા વધુ વરસાદ પડી ગયો છે. વર્ષ 2021માં 15 જુલાઇ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 17.98 ટકા વરસાદ થયો હતો,તેની સામે ચાલુ વર્ષે 68.84 ટકા વરસાદ પડી ગયો છે. 15 જુલાઇ સુધીની સરખામણીએ જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષ કરતા ખુબ જ સારો વરસાદ થયો છે.
- Advertisement -
માણાવદરનાં કોઠારીયા પ્રા.શાળામાં તાળાં
જૂનાગઢ જિલ્લામાં આજે પણ શાળા,કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ શાળાનાં આચાર્ય અને સ્ટાફને શાળા ઉપર હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. પરંતુ માણાવદરનાં કોઠારીયા પ્રાથમિક શાળામાં તાળાં જોવા મળ્યાં હતાં. શાળા પર કોઇ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. શાળાએ સ્ટાફ હાજર ન રહેતા અનેક સવાલ ઉભા થયા છે.
હવે એક સપ્તાહનાં વિરામની જરૂર
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ થયો છે. તેમા પણ છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે એક સપ્તાહ કરતા વધુ સમય વરસાદનાં વિરામની જરૂર છે. વરસાદ વિરામ લેતો ખેડૂતો હવે ખેતરમાં કામ કરી શકે તેમ છે. વાવેતર પછી એકાદ વખત નિંદામણ કરવામાં આવ્યું હતું. હવે વરાપ નિકળે તો ખેડૂત ખેતરમાં નિંદામણ કરી શકે તેમ છે.