સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ બલ્ક વેસ્ટ જનરેટર તરીકે નોંધણી કરાવવી પડશે
સ્વચ્છ રાજકોટ માટે મનપાની કડક અમલવારી: સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, ઔદ્યોગિક એકમોએ વિલંબ કર્યા વિના પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
- Advertisement -
કેન્દ્ર સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ અંતર્ગત હવેથી બલ્ક વેસ્ટ જનરેટર માટે વિશિષ્ટ કાયદાકીય જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ગત ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવેલા આ નિયમોના રૂલ ૬ હેઠળ નોંધણી, સ્ત્રોત પર જ કચરાનું પૃથક્કરણ (અલગ કરવો), જૈવિક કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા એક્સટેન્ડેડ બલ્ક વેસ્ટ જનરેટર રિસ્પોન્સિબિલિટીનું પાલન કરવું હવે દરેક મોટા કચરો ઉત્પાદક એકમો માટે અનિવાર્ય બન્યું છે.
રાજકોટ મહાનગર વિસ્તારમાં બલ્ક વેસ્ટ જનરેટર તરીકે આવતી તમામ સંસ્થાઓ, રહેણાંક સંકુલો, વ્યાવસાયિક સ્થાપનાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, મોલ્સ અને ઔદ્યોગિક એકમોએ વિલંબ કર્યા વિના પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- Advertisement -
નિયમ મુજબ જે સંસ્થા કે સંકુલનો કુલ બાંધકામ વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર કે તેથી વધુ હોય, અથવા દૈનિક પાણીનો વપરાશ ૪૦,૦૦૦ લિટર કે તેથી વધુ હોય, અથવા દરરોજ ૧૦૦ કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન થતો હોય, તેમને ‘બલ્ક વેસ્ટ જનરેટર’ (BWG) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ જોગવાઈઓ મોટી રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, ખાનગી કંપનીઓ, માર્કેટ યાર્ડ, મેરેજ હોલ, સ્ટેડિયમ, બસ ટર્મિનલ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા તમામ મોટા એકમોને લાગુ પડશે.
રૂલ ૬(a) મુજબ દરેક બલ્ક વેસ્ટ જનરેટરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે નોંધણી કરાવવી વૈધાનિક રીતે ફરજિયાત છે. આ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા ‘સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોર્ટલ’ (https://swm.cpcb.gov.in/register) કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર વહેલી તકે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
આ નિયમો અંતર્ગત કચરાનું સ્ત્રોત પર જ ચાર પ્રવાહમાં પૃથક્કરણ કરવું અનિવાર્ય છે, જેમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને સ્પેશિયલ કેર વેસ્ટનો સમાવેશ થાય છે. આ પૈકી સૂકો, સેનિટરી અને સ્પેશિયલ કેર વેસ્ટ માત્ર અધિકૃત સંગ્રહ અને પરિવહન વ્યવસ્થાને જ સોંપવાનો રહેશે. તેમજ રૂલ ૬(c) અને (d) ના પ્રાવધાનો અનુસાર જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને પ્રક્રિયાકરણની જવાબદારી પણ સંબંધિત એકમોની રહેશે, જેથી મુખ્ય કચરા વ્યવસ્થાપન પ્રણાલી પરનું ભારણ ઘટી શકે.
મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપીને લેન્ડફિલમાં જતા કચરાને ઘટાડવાનો છે. જો કોઈ પણ એકમ દ્વારા ફરજિયાત નોંધણી નહીં કરાવવામાં આવે, કચરો અલગ કરવામાં નહીં આવે કે અન્ય નિયમોનું ઉલ્લંઘન થશે, તો તેમની સામે પ્રચલિત કાયદા મુજબ કડક નિયમનકારી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્વચ્છ રાજકોટના નિર્માણમાં સમયસરની નોંધણી એ માત્ર કાયદેસરની ફરજ નથી પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી પણ છે.
કચરાનું 4 ભાગમાં પૃથક્કરણ કરવું પડશે
- ભીનો કચરો (Wet Waste)
- સૂકો કચરો (Dry Waste)
- સેનિટરી કચરો (Sanitary Waste)
- સ્પેશિયલ કેર વેસ્ટ (Special Care Waste)




