ઓખામંડળના સમુદ્રમાં પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનું મોટું ઓપરેશન
સર્ચ ઓપરેશનમાં રોમન સામ્રાજ્ય સાથે વેપારના પુરાવા મળ્યા, આ સિવાય રોમન સિક્કાઓની છાપ, વિદેશી બનાવટના માટીના વાસણોના ટુકડા, શંખની બંગડીઓ મળી
- Advertisement -
2500 વર્ષ જૂનાં આ અવશેષો સાબિત કરે છે કે, દ્વારકા માત્ર એક ધાર્મિક નગરી જ નહીં પરંતુ, એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર હતું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના સમુદ્રમાં ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડરવોટર સર્ચ ઓપરેશનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે. આ શોધે ઓખામંડળ વિસ્તારના પ્રાચીન વૈભવશાળી ઈતિહાસ પર નવી રોશની પાડી છે.
મરીન આર્કિયોલોજીની ટીમને સમુદ્રના પેટાળમાં ડાઈવિંગ દરમિયાન વિશાળ બાંધકામના અવશેષો મળી આવ્યા છે. જેમાં ખાસ કરીને દરિયા નીચે સુવ્યવસ્થિત માળખાં અને કોરિડોર જેવી ગલીઓની રચના જોવા મળી છે. આ સુનિયોજિત આયોજન પરથી પ્રતીત થાય છે કે પ્રાચીન સમયમાં અહીં એક અત્યંત વિકસિત બંદર અથવા નગર અસ્તિત્વમાં હતું. નિષ્ણાતોના મતે આ માળખાંનો ઉપયોગ માત્ર રહેણાંક માટે નહીં, પરંતુ વેપાર અને માલસામાનના સંગ્રહ (ઠફયિવજ્ઞીતય) માટે કરવામાં આવતો હોઈ શકે છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી રોમન સિક્કા, વિશિષ્ટ જાર (વાસણો) અને સ્થાનિક માટીના અવશેષો મળી આવ્યા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આ શોધો સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલાં બેટ દ્વારકાનો સીધો વેપારી સંબંધ રોમન સંસ્કૃતિ સાથે હતો. અહીંથી ધાતુઓનું ઉત્પાદન અને તેની આંતરરાષ્ટ્રીય સ્તરે આયાત-નિકાસ થતી હોવાના પણ સચોટ પુરાવા મળ્યા છે.
આ સમગ્ર ઓપરેશન અત્યંત જટિલ અને આધુનિક પદ્ધતિથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંડરવોટર મેપિંગ દ્વારા દરિયાના પેટાળનો નકશો તૈયાર કરાયો હતો અને પ્રોફેશનલ ડાઈવર્સ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ડાઈવિંગ કરી અવશેષોની તપાસ કરવામાં આવી હતી. હાલમાં મળેલા તમામ અવશેષોનું વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજીકરણ કરી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
આર્કિયોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ વિશાળ પાયે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. આ શોધ ભારતના પ્રાચીન સમુદ્રી ઈતિહાસ અને ઈજનેરી કૌશલ્યનો જીવંત પુરાવો છે. આગામી સમયમાં આ સ્થળ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનનું કેન્દ્ર બની શકે છે. આ શોધથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઈતિહાસકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તે ભારતની પ્રાચીન સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય વેપારી પહોંચને ફરી એકવાર મજબૂત રીતે સાબિત કરે છે.



