મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તેમાં તેમણે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ. આ ગુણ આપણે સિંહમાંથી ગ્રહણ કરવો જોઈએ
કથામૃત: પંડિત મદન મોહન માલવિયાજીનું એક સપનું હતું – હિંદુ યુનિવર્સિટી બનાવવાનું. આ માટે તેઓ ખૂબ મહેનત કરતા હતા. અનેક પ્રશ્નો અને પડકારોનો સામનો કરવો પડતો. દાન મેળવવા માટે એ ભારત ભ્રમણ કરતા. શાહુકારો અને રાજા-મહારાજાઓને મળીને બનારસ હિંદુ યુનિવર્સિટી માટે દાન આપવા વિનંતી કરતા. પંડિતજી દાન લેવા માટે હૈદરાબાદના નિઝામ પાસે ગયા. નિઝામને યુનિવર્સિટીની સ્થાપનાની વાત કરીને યથાયોગ્ય દાન આપવા માટે વિનંતિ કરી. નિઝામ તો એકદમ ચિડાઈ ગયા. પંડિતજીને મોઢામોઢ સંભળાવી દીધું, તમારી હિંમત કેવી રીતે થઈ મારી પાસે આવવાની ? હિંદુ યુનિવર્સિટી માટે નિઝામ પાસે દાન માંગતા પહેલા કોઈ વિચાર પણ ન આવ્યો ? હજુ તો પંડિતજી જવાબ આપે તે પહેલા ગુસ્સે ભરાયેલા નિઝામે પોતાના પગની મોજડી કાઢીને પંડિતજી પર ફેંકી અને બહાર જતા રહેવાનું કહ્યું.
- Advertisement -
અપમાનિત થયેલા પંડિતજી નિઝામની મોજડી લઈને નીકળી ગયા. હૈદરાબાદની મુખ્ય બજારમાં જઈને લોકોને એકઠા કર્યા અને કહ્યું, મારી પાસે નિઝામની એક બહુ જ સરસ મજાની મોજડી છે, અને મારે એની હરરાજી કરવી છે. નિઝામની મોજડી હોવાથી ખરીદનારાની સંખ્યા વધી અને ભાવ પણ ઊંચા બોલાવા લાગ્યા. નિઝામને આ બાબતના સમાચાર મળ્યા. નિઝામને લાગ્યું કે, જો પોતાની મોજડી બીજા કોઈ ખરીદશે તો તેનું અપમાન ગણાશે. માટે ગમે તે કિંમતે મોજડી ખરીદવી. એટલે તુરંત જ પોતાના એક ખાસ માણસને મોકલ્યો અને હરરાજીમાં ભાગ લઈને ગમે તે ભાવે મોજડી ખરીદી લેવાની સૂચના આપી. માલવિયાજીએ ખૂબ ઊંચી કિંમતે નિઝામની મોજડી નિઝામના માણસને જ વેંચી અને જે રકમ મળી એ રકમનો ઉપયોગ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો. જીવનમાં નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરીએ ત્યારે અનેક પ્રકારનાં વિધ્નો અને પ્રશ્નો આવે; પણ વિચલિત થયા વગર સતત પ્રયાસો ચાલુ રાખીએ અને આપણા વિરોધીઓએ આપણી સામે ફેંકેલી ઈંટો કે પથ્થરોને ધ્યેય પ્રાપ્તિની સીડી બનાવવામાં વાપરીએ તો સફળતા ચોકકસ મળે.
બોધામૃત
સંકટ સમયે પણ ધીરજનો ત્યાગ ન કરવો જોઇએ. ક્યારેક ધીરજથી જ ગતિ મળે છે. સમુદ્રમાં નૌકા તૂટી જવા છતાં યાત્રિક તરવાની ઇચ્છા રાખે છે.
- Advertisement -
અનુભવામૃત
ક્યારેય ધ્યેયથી ચલિત ન થશો. આજે અધરું લાગશે, કાલે અશક્ય લાગશે પણ પરમદિવસે સફળતાનો સૂરજ ચોક્કસ ઉગશે.
-જેક મા