દંભી દારૂબંધીથી બુટલેગર માલામાલ, ગુજરાતના પ્યાસીઓ પાયમાલ!
સડેલાં નકલી દારૂને પ્રોત્સાહન આપે છે સરકારની નીતિ
- Advertisement -
શુદ્ધ, બ્રાન્ડેડ શરાબ મેળવવો એ ગુજરાતીઓનો હક..
ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)
ગુજરાતમાં એક જૂની અને જાણીતી કહેવત છે, અડધી રાતે દવા લેવા નીકળશો તો કદાચ મેડિકલ સ્ટોર બંધ મળશે પણ જો અડધી રાતે દારૂ શોધવા નીકળશો તો હોમ ડિલિવરી પણ મળી જશે! આ પરિસ્થિતિમાં નકલી દારૂની તો વાત જ ક્યાં કરવી, અહીં તો ખુદ દારૂબંધી જ નકલી છે! કાગળ પર ગુજરાત સંપૂર્ણ ‘ડ્રાય સ્ટેટ’ છે, પણ વાસ્તવમાં ગલીએગલીએ દારૂ ‘સપ્લાય’ થાય છે!
- Advertisement -
આપણા રાજ્યમાં દારૂબંધીની સમગ્ર વ્યવસ્થા એટલી હદે દંભી-દોગલી થઈ ચૂકી છે કે તેનો ફાયદો માત્ર માફિયાઓ અને ભ્રષ્ટ તંત્રને મળી રહ્યો છે, જ્યારે સામાન્ય પ્રજાના ભાગે માત્ર શારીરિક, માનસિક અને આર્થિક પાયમાલી જ આવી રહી છે. કોઈપણ અર્થશાસ્ત્રી જો ગુજરાતની દારૂબંધીનો અભ્યાસ કરે તો માથું કૂટી લે. એક તરફ રાજ્ય સરકાર વાર્ષિક હજારો કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી સહિત ટેક્સની આવક ગુમાવી રહી છે તો બીજી તરફ આ જ આવક બુટલેગરોના ખિસ્સામાં જઈને એક સમાંતર બ્લેક ઇકોનોમી ઊભી કરી રહી છે. સામાન્ય રીતે જે નાણાંનો ઉપયોગ રાજ્યના શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ શકતો હતો તે નાણાં આજે કાળાબજારિયાઓના વૈભવી ગાડી-બંગલા ખરીદવામાં વપરાઈ રહ્યા છે. પોલીસનો મસમોટો કાફલો કાયમ દારૂ પકડવામાં રોકાયેલો રહે છે, છતાં સરહદો પારથી આવતી કે સ્થાનિક બનતી દારૂની નદીઓ ક્યારેય સૂકાતી નથી.
નકલી દારૂબંધીની સૌથી મોટી કિંમત દારૂના વ્યસનીઓ અને તેમના પરિવારો ચૂકવી રહ્યા છે. દારૂબંધીના કડક કાયદા કોઈનું વ્યસન છોડાવી શક્યા નથી પણ તેણે દારૂને અત્યંત મોંઘો અને જોખમી જરૂર બનાવી દીધો છે. પ્યાસીઓને બ્રાન્ડેડ અને અસલી દારૂના નામે ડબલ કે ત્રણ ગણા ભાવ ચૂકવીને ડુપ્લિકેટ, કેમિકલયુક્ત અને ભેળસેળવાળો કચરો પધરાવી દેવામાં આવે છે. આ ઝેરી પ્રવાહી પેટમાં જતાં જ લીવર સિરોસિસ, કિડની ફેલ્યોર અને હાઇપરટેન્શન જેવી ગંભીર બીમારીઓ શરીરને ભરખી જાય છે. પરિણામે કમાણીનો મોટો હિસ્સો પહેલાં મોંઘા દારૂમાં અને પછી હોસ્પિટલોના બિલ ભરવામાં હોમાઈ જાય છે. ચોરીછૂપે પીવાનો ભય અને પૈસાની તંગી આખા પરિવારને કજીયા-કંકાસ-કલહની દલદલમાં ધકેલી દે છે.
દંભી દારૂબંધીની નીતિની સૌથી કાળી અને ભયાનક બાજુ એટલે સમયાંતરે સર્જાતા લઠ્ઠાકાંડ. ગરીબ અને શ્રમિક વર્ગ જ્યારે મોંઘો અંગ્રેજી દારૂ ખરીદી શકતો નથી ત્યારે દેશી દારૂના અડ્ડાઓ પર બનતું સસ્તું કેમિકલ અને ઈથેનોલ-મિથેનોલનું ઝેરી કોકટેલ પીવા મજબૂર બને છે. પરિણામે ડઝનબંધ પરિવારોના આધારસ્તંભ એક જ રાતમાં કડડભૂસ થઈ જાય છે, સ્મશાનોમાં ચિતાઓ ખડકાય છે અને અનાથ બાળકોના આક્રંદથી વાતાવરણ ગુંજી ઊઠે છે. ઘટના પછી થોડા દિવસ સરકારી તપાસના નાટક થાય છે, સસ્પેન્શનના કાગળો ફરે છે અને થોડા મહિનામાં પરિસ્થિતિ ફરી એની એ જ થઈ જાય છે. જો દારૂબંધીનો કાયદો લોકોના જીવ બચાવવા માટે હતો તો પછી બનાવટી શરાબ પીને મોતને ભેટતા નિર્દોષોનો વાસ્તવિક ગુનેગાર કોણ?
હવે સમય આવી ગયો છે કે ગુજરાત આ નૈતિકતાના ખોટા મહોરાંને ઉતારી ફેંકે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરે. અહીં દારૂબંધીનો વિરોધ કરવાનો અર્થ દારૂનું સમર્થન કરવું નથી. દારૂબંધીના ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધી જાય ત્યારે દારૂબંધી હટાવવાનું સમર્થન જરૂરી બની જાય છે. દારૂબંધી હટાવવાનો કે તેને નિયંત્રિત કરવાનો અર્થ લોકોને પીવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી પણ ગેરકાયદે માફિયા રાજ ખતમ કરીને સરકારી નિયમન લાવવાનો છે. જો દારૂનું વેચાણ કાયદેસર અને નિયંત્રિત બને તો ગુણવત્તાયુક્ત, લેબ-ટેસ્ટેડ ઉત્પાદન મળે જેથી લઠ્ઠાકાંડ અને નકલી દારૂથી થતા મોતના સિલસિલા પર કાયમી પૂર્ણવિરામ મૂકાય. સાથે જ સરકારને મળનારી કરોડોની આવક પ્રજાના કલ્યાણમાં વાપરી શકાય અને પર્યટન તેમજ ઉદ્યોગોને નવો વેગ મળે.
અનેક રાજ્યો-દેશોમાં દારૂ કાયદેસર છે, તેનો અર્થ ત્યાં દારૂ બેફામ છે એવો નથી. લાઇસન્સ, કર, સમયની મર્યાદા, વયમર્યાદા, જાહેરાત પર નિયંત્રણ, ડ્રાઇવિંગ કાયદા અને જાહેર આરોગ્યની નીતિઓ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવે છે. ગુજરાતે પણ આ દિશામાં જાહેર ચર્ચા-વિચારણા કરવી જોઈએ. ગાંધીજી હંમેશાં સત્યના પક્ષધર હતા અને દંભના સખત વિરોધી હતા. જ્યાં સુધી આપણે કાગળ પરની આ નકલી દારૂબંધીને પકડી રાખીશું, ત્યાં સુધી સમાજ બરબાદ થતો રહેશે અને બુટલેગરો ફૂલતાફાલતા રહેશે. આ દંભનો અંત લાવી એક પારદર્શક અને તાર્કિક નીતિ અપનાવવી એ જ વર્તમાન વિકસિત ગુજરાતના હિતમાં છે.




