ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને વિક્રમજનકરૂા.2.11 લાખ કરોડનું તગડું ડિવિડન્ડ ચૂકવશે. આ રકમ બજેટના સરકારના અંદાજ કરતા બમણા કરતા વધુ છે. અને તેનાથી ચૂંટણી પછી કાર્યભાર સંભાળનારી નવી સરકારની રાજકોષિય ખાધને અંકુશમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રકચર પર મોટો ખર્ચ કરવામાં મદદ મળશે.
- Advertisement -
મધ્યસ્થ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરબીઆઈ બોર્ડે બુધવારે તેની 608મી બેઠકમાંરૂા.2,10,874ની સરપ્લસ ટ્રાન્સફર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024થી માર્ચ 2025) માટેના વચગાળાના બજેટમાં આરબીઆઈ, સરકારી બેંકો અને નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ તરીકે 1.02 લાખ કરોડની આવેકનો અંદાજ મૂકયો હતો.
2022-23ના નાણાકીય વર્ષ માટે આરબીઆઈ કેન્દ્રનેરૂા.87,416 કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. અગાઉ 2018-19માં રૂા.1.76 લાખ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું હતું, જે અગાઉનું સૌથી વધુ હતું. બોર્ડે 2023-24 દરમિયાન રિઝર્વ બેંકના કામકાજની ચર્ચા વિચારણા કરી હતી અને છેલ્લા નાણાકીય વર્ષ માટે તેના વાર્ષિક અહેવાલ અને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટને મંજૂરી આપી હતી.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, હિસાબી વર્ષ 2018-19થી 2021-22 દરમિયાન મેક્રો ઈકોનોમિક સ્થિતિઓ અને કોવિડ-19ના પ્રહારને કારણે બોર્ડે કન્ટિન્જેન્ટ રિસ્ક બફર (સીઆરબી)ને રિઝર્વ બેંકની બેલેન્સશીટના કુલ કદના 5.50 ટકાના સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વૃધ્ધિમાં રિકવરી સાથે સીઆરબી વધારી 6.00 ટકા કરાયો હતો. અર્થતંત્રમાં મજબૂતાઈને કારણે બોર્ડે 2023-24 માટે સીઆરબી વધારી 6.50 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. ઓગષ્ટ 2019ના ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક (ઈસીએફ)ને આધારે સરપ્લસની રકમ નકકી કરાઈ છે.