મચ્છુ – શેત્રુંજી સહિતના ડેમોમાં જળસ્તર 100%થી વધુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા છે જ્યારે 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર છે. હાલ 145 જળાશયો હાઇએલર્ટ હેઠળ છે. ગુજરાતમાંથી હાલ જે મુખ્ય જળાશયોમાં જળસ્તર 100 ટકાથી વધુ છે તેમાં અરવલ્લીમાંથી હાથમતી, ભાવનગરમાંથી શેત્રુંજી, મોરબીમાં મચ્છુ-1, મચ્છુ-2, અમરેલીના ધાતરવાડી, છોટા ઉદેપુરના રામી, જામનગરના વાઘોડિયા, કચ્છના કંકાવટી-નિરૂણાનો સમાવેશ થાય છે.
145 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ, 12 જળાશયોમાં જળસ્તર 80 ટકાથી 90 ટકા વચ્ચે હોવાથી એલર્ટ, 17 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી 80 ટકા વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ મૂકવામાં આવેલા છે. 70 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા કુલ 32 જળાશયો છે. સરદાર સરોવર 92.47 ટકા જળસ્તર
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13, દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર 92.47 ટકા જેટલું જળસ્તર ધરાવે છે.



