અસલી પનીરની માંગને પહોંચી ન વળતા નકલી પનીર બનાવવાનો ગોરખધંધો પૂરજોશમાં
રાજકોટથી લઈ સમગ્ર રાજ્યમાં થોડા દિવસો અગાઉ હજારો-લાખો રૂપિયાનું શંકાસ્પદ પનીર ઝડપાયું છે. જોકે ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાત બહાર પણ આ જ સ્થિતિ છે. જ્યાં જૂઓ ત્યાં બનાવટી પનીરની જ વાત થઈ રહી છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ ભારત સરકારને આજથી પાંચ વર્ષ અગાઉ જ સૂચિત કર્યા હતા કે જો દૂધ અને દૂધની આઇટમમાં થતી ભેળસેળને રોકાવામાં ના આવી તો 2025 સુધીમાં ભારતના 87% નાગરિક કેન્સરથી પીડિત થશે. તેમાં પણ ખાસ કરીને પનીર. જો પનીરમાં થતી ભેળસેળ અટકાવી કે પકડી ન શકીએ તો ઘરે બનાવેલું પનીર જ ખાવું જોઈએ. હવે પનીર ’શાહી’ નથી રહ્યું. બજારમાંથી પનીર ખરીદી ખાનારાઓ માટે હવે ચેતવાનો સમય આવી ગયો છે. દિન-પ્રતિદિન પનીરને પસંદ કરનારાઓ વધી રહ્યા છે પરિણામે પનીરની વધુ પડતી માંગને પૂરી પાડવા માટે તેની ભેળસેળ કરવામાં આવે છે.
- Advertisement -
અસલી પનીર કેવું હોય છે?
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે.
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્યા બાદ રોગનો ભય રહેતો નથી
– અસલી પનીર દેખાવમાં નરમ – મુલાયમ હોય છે નકલી પનીરમાં શું હોય છે?
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– બનાવટી પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીરમાં ક્યારેક આરોગ્ય માટે જોખમી કહી શકાય તેવા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે, લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે
નકલી પનીર બનાવવા ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો ઉપયોગ
ઘરે બનાવેલું પનીર જ ખાવું હિતાવહ
- Advertisement -
આ મોકો જોઈને પનીર ઉત્પાદક – વિક્રેતાએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. ફૂડશાખા અને આરોગ્ય વિભાગ પોતાની કામગીરી બખૂબી કરે છે આમ છતાં કેટલાક પનીર ભેળસેળ કરનારા અને પીરસનારા બચી જાય છે ત્યારે પનીર ખાતા પહેલા તેની તપાસ જરૂરી છે કે તે અસલી છે કે નકલી? બ્રેકફાસ્ટથી લઇ ડિનર સુધી અને પીઝાથી લઇ પાઉંભાજી, સેન્ડવીચ, પાસ્તા, નાન અને નૂડલ સુધી પનીરનો ભરપૂર ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગે આ પનીર ખાવાલાયક હોતું નથી. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે. હવે ફક્ત પંજાબ જ નહીં, ગુજરાત પણ પનીરની ભેળસેળનું હબ બની ચુક્યું છે.સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા (ઋજજઅઈં)ની ફ્રેસ રિપોર્ટ અનુસાર દેશમાં 68.7% ડેરી પોડક્ટ નિર્ધારિત માનકો અનુસાર નથી. ગુજરાતમાં તો હાલાત આનાથી વધારે ખરાબ છે.અને તેથી જ દરેક વ્યક્તિએ પનીર અસલી છે કે નકલી તેની તપાસ કરતા શીખી જવું જોઈએ ઉપરાંત બજારમાં મળતા પનીરની જગ્યાએ પનીરને ઘરે બનાવીને જ આરોગવું જોઈએ.
પનીર અસલી છે કે નકલી કેમ ખબર પડશે?
પનીરનો નાનકડો ટુકડો તમારા હાથમાં મસળીને જુઓ. જો તે ટૂટીને ભૂકો થઈ જાય તો સમજવું કે આ પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. કેમ કે તેની અંદર જે કેમિકલ હોય છે તે વધારે દબાણ સહન કરી શકતા નથી અને તૂટવા લાગે છે. પનીરને થોડા પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડું પડવા દો. ઠંડું થઈ ગયા બાદ કેટલાક ટીંપા પનીર ઉપર આયોડીનનું ટિંચર બનાવે છે. જો પનીરનો રંગ વાદળી થવા લાગે તો સમજવું કે પનીરમાં ભેળસેળ કરવામાં આવી છે. પનીર તમે જ્યારે ખાશો ત્યારે તમને સોફ્ટ લાગશે. પરંતુ પનીર ભેળસેળવાળું અને નકલી હશે તે પનીર ખાશો તો રબરની જેમ ખેંચાશે જાણે કે તમે ચુઈંગમ ખાઈ રહ્યા ચો તેવું લાગશે. આ સમયે સમજી જવું કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે નકલી છે.
પનીરને પસંદ કરનારાઓએ આજ સુધીમાં કેટલું નકલી પનીર પેટમાં નાખી દીધું છે?
પનીરનું શાક અને પનીરની વિવિધ વાનગીઓ ભોજનનો એક ભાગ બની ગઈ છે. પનીર એવું તો દાઢે વળગે છે કે રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેલા પનીરના શાકનો જ ઓર્ડર આપવામાં આવે છે. સ્ટાર્ટરમાં પણ પનીરની ડિશ ખાઈએ છે. પનીર સ્વાસ્થ્ય માટે સારું હોય છે તેમાં બેમત નથી પણ શુદ્ધ પનીર હોય એ લાભદાયક હોય છે. પનીરના નામે નકલી કારોબાર ચાલી રહ્યો છે અને લોકો નકલી પનીરને પેટમાં પધરાવી રહ્યા છે અને પછી પેટ સંબંધિત બિમારીઓનો ભોગ બને છે. રાજ્યભરમાં નકલી પનીર સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે એ સમયે હવે તમે પણ પનીર ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો. અસલી પનીરની આડમાં નકલી પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે મામલે રાજકોટ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ઢાબા, હોટલો ઉપર તવાઈ બોલાવી હતી. આ તો દરોડા પાડ્યા ત્યારે આ નકલી પનીરનો પર્દાફાશ થયો છે પણ આ પહેલાં કેટલા લોકોને નકલી પનીર પધરાવવામાં આવ્યું હશે અને કેટલા લોકોએ નકલી પનીર પેટમાં નાખ્યું હશે એ તપાસનો વિષય છે. રાજ્યભરમાં પનીરના નામે લોકોને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે અને નફો રળી લેવા માટે હોટલવાળા અને ઢાબાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.