કૃષિમંત્રી રાઘવજી પટેલ ‘ખાસ-ખબર’ની શુભેચ્છા
મુલાકાતે : ડિરેક્ટર પરેશ ડોડિયા સાથે કૃષિ ક્ષેત્રની ચર્ચા કરી
ખેડૂતોને ખેત ઉત્પાદનના પૂરતા ભાવ મળતા ખુશખુશાલ છે
ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે
તાઉ’તે વાવાઝોડાથી કેરી- નાળિયેરીનાં પાકને થયેલાં નુકસાન અને તેમને પુન:જીવિત કરવા
અંગે અરજીઓ આવી છે
બિનઉપજાઉ જમીનની ફાળવણી વિષયક યોજના અંગે પણ વિચારણા ચાલુ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના કૃષિ, પુશપાલન અને ગૌસંર્વધન મંત્રી રાઘવજી પટેલે ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઈ સરકાર ખેડૂતોના હિત માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી ટેકાના ભાવે ખરીદી, ખાતરના વધતા ભાવો, ખેડૂતોલક્ષી યોજનાઓ વિગેરેની વિગતવાર માહિતી આપી હતી. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર કાર્યરીત છે. ખેડૂતને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે અને ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પાક ઉપજની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે તેમાં ખેડૂતોને પૂરા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા ખુશખુશાલ છે.
ગુજરાતના કૃષિ – પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ‘ખાસ-ખબર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ ‘ખાસ-ખબર’ના ડિરેક્ટર પરેશભાઈ ડોડીયા સાથે
કૃષિ – પશુપાલન સંલગ્ન ચર્ચા કરી હતી. તેમની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -
ખાતરના વધતા ભાવ અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે છતાં કેન્દ્ર સરકારે સબસીડી વધારીને ખાતરના વધતા ભાવનો બોજો ખેડૂતો પર આવવા દીધો નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે, આ ભાવ વધારાનો બોજ ખેડૂત પર ન આવે તે માટે સરકારે સીધી જ એ ભાવ વધારા જેટલી સબસીડી જાહેર કરી દીધી છે. દેશભરમાં આશરે 2 લાખ કરોડની સબસીડી આપવામાં આવી રહી છે. આ સિવાય આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદન અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તાઉ’તે વાવાઝોડાથી કેરી-નાળીયેળીના પાકને થયેલા નુકસાન અને તેમને પુન:જીવિત કરવા અંગે અરજીઓ આવી છે. કેરીના બગીચાઓ અગાઉ જેટલો પાક આપતા થાય તે માટે અથવા તો કેરીનું ઉત્પાદન પૂરતું રહે તે માટે કૃષિ વિશેષજ્ઞો સાથે વાતચીત થઈ રહી છે. આ દિશામાં ઘટતું કરવામાં આવશે.
ભૂતકાળની રૂપાણી સરકાર જે બિનઉપજાઉ જમીનની ફાળવણી વિષયક યોજનાનાં અમલ અંગે વિચારી રહી હતી તે બિનઉપજાઉ જમીનની ફાળવણી વિષયક યોજના અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વિશે સરકારની વિચારણા ચાલુ છે. આ યોજનાના અમલ માટે કેન્દ્ર સરકાર પાસેથી પણ માર્ગદર્શન અને સલાહસૂચન માંગવામાં આવ્યા છે. બિનઉપજાવ જમીનની ફાળવણી કરવામાં આવે તો તેના ઘણા લાભો છે પરંતુ હાલ આ યોજના અંગે શોધ-સંશોધન ચાલી રહ્યું છે. સરકાર બિનઉપજાઉ જમીનની ફાળવણી વિષયક યોજના અંગે પણ હકારાત્મક વિચારણા કરી રહી છે એવું રાઘવજી પટેલે ખાસ-ખબરને જણાવ્યું હતું.