અઅઙના ‘હવાલા કાંડ’માં ઈન્કમ ટેક્સની એન્ટ્રી
આંગડિયા પેઢીના ઈઈઝટ ફૂટેજે પોલ ખોલી
- Advertisement -
હિમાંશુ પાહુજાનું દિલ્હીના ‘મંત્રી’ સાથે સીધું કનેક્શન
આગામી દિવસોમાં ‘મોટા માથાઓ’ પર લટકતી તલવાર
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી મુજબ, દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ સુરતની આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિધરપુરાની ‘અરવિંદ હિરેન’ આંગડિયા પેઢીમાં છેલ્લા 5-6 મહિનામાં અંદાજે 1.25 કરોડ આવ્યા હતા. આ રકમ લેવા માટે સુરતનો આકાશ મિશ્રા અને અજય તિવારી વારંવાર જતા હતા. આકાશ મિશ્રાની અટકાયત બાદ હવે પોલીસ અને આઈટી વિભાગ આ નાણાં કયા કયા ઉમેદવારોના ખિસ્સા સુધી પહોંચ્યા તેની તપાસ કરી રહી છે.
તપાસમાં સૌથી મહત્વનું પાત્ર હિમાંશુ પાહુજા છે, જે આમ આદમી પાર્ટીના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું માનવામાં આવે છે. આંગડિયા મારફતે નાણાં મોકલવા પાછળ હિમાંશુનો મુખ્ય હાથ હતો. આ કેસમાં 8 થી 10 લોકોની એક આખી સિન્ડિકેટ સક્રિય છે, જે ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેરનું સંચાલન કરે છે. પોલીસ હવે દિલ્હી જઈને હિમાંશુની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેથી ફંડના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકાય.
પોલીસે જે આંગડિયા પેઢીમાં નાણાં આવ્યા હતા તેના માલિકની પૂછપરછ કરી છે અને ત્યાંથી મહત્વના ઈઈઝટ ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં લેવા માટે આવતા સ્પષ્ટ દેખાય છે. આ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ રોકડ રકમ કયા વાહન દ્વારા અને કઈ રીતે સુરતના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવી, તેની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે.
પોલીસ અને આઈટીની તપાસમાં એક ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી આવેલી આ તોતિંગ રકમનો ઉપયોગ સુરતના રૂરલ વિસ્તારોના જરૂરિયાતમંદ મતદારોને રીઝવવા માટે થવાનો હતો. લાલચ આપીને મત મેળવવાની સાથે સાથે, આ મતદારોને ઉશ્ર્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને હિંસક બબાલ કરાવવાનો પણ બદઇરાદો હતો. લોકશાહીને નાણાં અને હિંસાના જોરે પ્રભાવિત કરવાની આ રમતનો પોલીસે સમયસર પર્દાફાશ કર્યો છે.
કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. આઈટી અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસની તમામ ડિટેલ્સ મેળવી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આઈટી વિભાગ મોટા પાયે દરોડા પાડી શકે છે અને આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને ‘મોટા ધડાકા’ કરે તેવી શક્યતા છે. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે એજન્સીઓ કામે લાગી છે.
હાલમાં પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈને તેને મુક્ત કર્યો છે, પરંતુ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ કેસમાં સુરતના કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ ઉછળે તેવી શક્યતા છે. હવાલા કાંડમાં જે રીતે હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે, તે જોતા સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે.



