રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ
- Advertisement -
રાજકોટના બેડીપરાની શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે આવેલું જર્જરિત મકાન અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે મોડી રાત્રિના અચાનક મકાનની દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી. જોરદાર ધડાકાનો અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતા અજયભાઈ કુરજીભાઈ બેલદાર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. 108ના તબીબી સ્ટાફે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા બચાવ કામગીરી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાઈ ન હોય તેની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે સમગ્ર બેડીપરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે મૃતક અજયભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. છએક માસ પુર્વે તેના જર્જરીત દુકાનમાંથી કાટમાળ પડતા તેની પત્ની અને બાળકો સાથે ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે અંબીકા સોસાયટીમાં રહેતા હતા અને અજયભાઈ રાત્રીના ચુનારા વાડમાં તેના મકાને સુવા આવતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો હોવાનુ પરીવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ટ્રક સાથે કાર અથડાતા યુવાનનું મોત
રાજકોટના ન્યૂ રિંગ રોડ-2 પર કાળીપાટ ગામથી આગળ લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગઈકાલે સાંજે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે કારનો ભૂકો બોલી ગયો હતો અને તેમાં સવાર એક 27 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનો મૃતદેહ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને રસા અને હાઇડ્રોલિક સ્પ્રેડરની મદદ લેવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજનાં આશરે પોણા છ વાગ્યાની આસપાસ કાળીપાટ નજીક મારુતિ સ્વિફ્ટ કાર અને અશોક લેલેન્ડ ટ્રક વચ્ચે કોઈ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો હતો. સામસામે થયેલી આ અકસ્માતમાં સ્વિફ્ટ કારનો આગળનો આખો ભાગ ટ્રકની નીચે ઘૂસી ગયો હોય તેમ કચડાઈ ગયો હતો, જેના કારણે કારનો સાવ બુકડો બોલી ગયો હતો. અકસ્માત સમયે સ્વિફ્ટ કાર ચલાવી રહેલા રાજકોટના ગ્રીન પાર્ક ખાતે રહેતા 27 વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયા કારના કાટમાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અકસ્માતને કારણે સ્વિફ્ટ કારના પતરાં એ રીતે વળી ગયા હતા કે, જયદીપભાઈ વેકરીયા કારના પાયલોટ સીટના ભાગે દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ફાયરની ટીમ દ્વારા આધુનિક સાધન ‘હાઈડ્રોલિક સ્પ્રેડર’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાધનની મદદથી કારના વળેલા પતરાંને એકબીજાથી અલગ કરી જગ્યા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, કારના દરવાજા અને સીટના ભાગને દૂર કરવા માટે રસાનો ઉપયોગ કરીને પણ જોર લગાવવામાં આવ્યું હતું અને આશરે એકાદ કલાકની જેહમત બાદ હાઈડ્રોલિક સ્પ્રેડર વડે કારના પતરાં ચીરીને અને રસાની મદદથી કારનો કાટમાળ ખસેડીને, ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને ફસાયેલા જયદીપભાઈ વેકરીયાને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે, અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલા આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઈ. વી.જી. ડોડિયા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને અકસ્માતની નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે માર્ગ પર સર્જાયેલ ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારો રીતે ચાલુ કરાવ્યો હતો આશાસ્પદ યુવાન જયદીપભાઈનું અચાનક મોત થતાં પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે.
- Advertisement -
રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીર અને તેના મિત્રએ આચર્યું વારંવાર દુષ્કર્મ
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સાડા 17 વર્ષની સગીરાને એક સગીરે પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું. આટલું જ નહીં, સગીર આરોપીના મિત્રએ પણ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિત સગીરાના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે પોતાના કાકા-કાકી સાથે રહીને જીવન ગુજારી રહી હતી. આ દરમિયાન એક સગીરે તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું સગીર આરોપીએ સગીરા પર અન્ય લોકો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું જ્યારે માસૂમ બાળકીએ આ માંગણીનો સખત વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેની સાથે અત્યંત ક્રૂરતા આચરી ઢોર માર માર્યો હતો આ ગંદા ખેલમાં સગીર આરોપીનો મિત્ર પણ શામેલ થયો હતો. સગીરા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે અસલમ પઠાણ ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ આરોપી અસલમે સગીરાને ધમકાવી હતી કે, “જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.” ધમકીથી ડરી ગયેલી સગીરાએ શરૂઆતમાં કોઈને કશું કહ્યું નહોતું. સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે હિંમત ભેગી કરીને પોતાની પર વીતેલી આપવીતી પરિવારજનોને જણાવી હતી. આ અંગે સગીરાના કાકીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી થોરાળા પોલીસે સગીર આરોપી તથા તેના મિત્ર અસલમ વિરુદ્ધ બળાત્કાર, પોક્સો તેમજ ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલ ચોકડી પાસે મુસાફરનાં ખિસ્સામાંથી 25 હજાર સેંરવી લેનાર રિક્ષા ગેંગ ત્રિપુટી ઝડપાઈ
રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે રિક્ષામાં એક મુસાફરની નજર ચૂકવીને 25 હજારની રોકડ રકમ ચોરી લેવાની ઘટનામાં રિક્ષા ગેંગ ત્રિપુટીને આજી ડેમ પોલીસે ઝડપી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનનાં વતની એવા ટ્રાવેલ્સ બસચાલક ભૈરવસિંગ ભીમસિંગ રાવત ગત તા.22ના રોજ પોતાના વતન જવા નીકળ્યા હતા અને માલધારી ફાટક પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી પુનિતના ટાંકા જવા માટે સીએનજી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અગાઉથી જ બે અજાણ્યા ઇસમો બેઠેલા હતા. રિક્ષા ગોંડલ ચોકડી પાસે પહોંચતા જ રિક્ષાચાલકે હવે આગળ જવું નથી.. કહીને ભાડું લીધા વગર નીચે ઉતરી જવા કહ્યું હતું. જેથી નીચે ઉતરીને તપાસ કરતા પેન્ટના ખિસ્સામાં શેઠ પાસેથી લીધેલા રોકડ 25 હજાર ગાયબ જણાયા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં પીએસઆઈ વી જી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપાલભાઈ બોળીયા, હરપાલસિંહ જાડેજા અને મનીષભાઈ શિરોડિયા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ગોંડલ રોડ પર માનસત્તા આવાસ યોજનામાં રહેતા શિવમ અજયસિંહ રાજપૂત, ભરત મુળજી ચંદ્રપાલ તથા કોટડાસાંગાણીના હુસેન દાઉદ મલેકને ઝડપી લીધા હતા પોલીસે આ રીક્ષા ગેંગ ત્રિપુટી પાસેથી રોકડા 25 હજાર કબ્જે કર્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે જેમાં હુશેન સામે પોરબંદર અને શાપરમાં દારૂના 7 ગુના, ભરત સામે રાજકોટ અને વાંકાનેરમાં ચોરી સહિતના 13 ગુના અને શિવમ સામે રાજકોટમાં 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ટોળકીએ અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં? એ | બાબતે પુછતાછ હાથ ધરાઈ છે.
જેતપુર પાસેથી 5400 લિટર ભેળસેળયુક્ત દૂધ સાથે સુરેન્દ્રનગર પંથકના શખ્સની અટકાયત
રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે જેતપુર નજીકથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રૂરલ એલસીબી અને એસઓજીની ટીમે ઝડપી લઇ તપાસ કરતા તેમાંથી 5400 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો આ દૂધના જથ્થાનો નાશ કરી પોલીસે સુરેન્દ્રનગરના થાનમાં રહેતા ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂનાગઢના ચાંપોદરમાં આવેલી ડેરીમાંથી આ દૂધનો જથ્થો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની ડેરીમાં પહોંચાડવાનો હોવાનું તેમજ રાજ્યભરમાં છેલ્લા છ માસથી આ શંકાસ્પદ દૂધ સપ્લાય થતું હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ દ્વારા દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ કરનાર શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ આર.વી. ભીમાણી, એ.એસ.આઇ અનિલભાઈ બડકોદિયા, કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા અને એસઓજીના પી.એસ.આઇ જી.જે. ઝાલા, એએસઆઈ પી.કે. શામળા, નવદીપભાઈ બાબરીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાતળ ગામે રહેતો ભરત મામૈયાભાઈ લોહ નામનો શખસ આઇસર ટેન્કર નં. ટીએ-2872 માં શંકાસ્પદ ભેળસેળયુકત દૂધનો જથ્થો લઈ જુનાગઢથી રાજકોટ તરફ આવનાર છે. આ બાતમી આધારે જેતપુર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ટેન્કર અટકાવ્યું હતું આ ટેન્કરમાંથી 5400 લિટર દૂધ રૂપિયા 2.70 લાખનો જથ્થો મળી આવતા ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર એસ.જે.કટારીયા દ્વારા ચેક કરાવતા જરૂરી સેમ્પલ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ જ આ દૂધ ભેળસેળયુક્ત હોવાનું ફલિત થયું હતું. જેથી દૂધના જથ્થાનો નાશ કરી ટેન્કર ચાલક ભરત લોહની અટકાયત કરી દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે પોલીસની પ્રાથમિક તપાસમાં દૂધ ભરેલું ટેન્કર જૂનાગઢના ચાંપોદરમાં આવેલી અલખધણી ડેરીમાંથી રવાના કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગરના મુળી તાલુકાની પંચાલ ડેરીમાં કરમશી રબારીને દૂધ સપ્લાય કરવાનું હતું જુનાગઢ પંથકમાં આવેલી અલખધણી ડેરીમાંથી સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળોએ દૂધની સપ્લાય થતી હતી અને છેલ્લા છ માસથી દૂધ સપ્લાય થતું હોવાનું જાણવા મળ્યું છે.
જેતપુરમાં યુવાને બહેનના લગ્ન, માતાની બીમારી માટે વ્યાજે લીધેલા 24 લાખ સામે 41 લાખ ચૂકવ્યા
જેતપુરમાં યુવકે 24 લાખના 41 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપી છ ચેકમાં 4-4 લાખની રકમ ભરી લઈ જતાં જેતપુર સીટી પોલીસે વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વ્યાજખોર વેપારના રૂપીયા ઝુંટવી અને દિકરી અંગે આપત્તીજનક મેસેજ કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના હાલ જેતપુરના જાગૃતીનગરમાં રહેતાં અને જેતપુર મામલતદાર કચેરી સામે જય અશોક શોઇગ મશીન નામની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા અશોકભાઈ દિપચંદભાઈ રાઠોડ ઉ.38એ જેતપુરમાં જ રહેતા વ્યાજખોર જયેશ દિનકરાય ભૂત સામે જેતપુર સીટી પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે 2018ના માર્ચ મહિના સુધીમાં તેમને બહેનના લગ્ન કરવા તેમજ માતાના દવાખાનાના ખર્ચને પહોચી વળવા રૂપીયાની જરૂરીયાત પડતા જયેશ ભુત પાસેથી કટકે કટકે 24 લાખ માસીક 2 ટકા લેખે વ્યાજે લીધા હતા તે જયેશને દર મહિને 48 હજાર વ્યાજ ચુકવતો હતો. બાદ મોટી બહેન શોભનાબેનને તેના પતિ છગનલાલ સાથે બનતુ ના હોય જેથી બહેન તેની બે દિકરી તથા એક દિકરાને લઈ તેની સાથે રહેવા આવી ગઈ હતી જેથી આ લોકોના ભરણપોષણની જવાબદારી પણ તેમના ઉપર આવી ગઈ હતી જેથી તે સમયસર વ્યાજ ચુકવી શક્તો નહી જેથી વ્યાજની ઉઘરાણી કરી પૈસાની વ્યવસ્થા ન થાય તો ગાળો આપતા હતા 2024માં જયેશ દુકાને આવી અને કહ્યું હતું કે મારા વ્યાજના રૂપીયા તથા મુળ રકમ ગમે ત્યાંથી અત્યારે આપો તેમ કહી તેમને તથા પિતા દિપચંદભાઇને ગાળો ભાંડી હતી ત્યારે પિતાએ સમજાવેલ કે, અમારી પાસે હાલ પૈસા નથી, તમો થોડો સમય આપો તો જયેશે તમારે મને બેંકના ચેક આપવા પડશે, તેમ કહી જય અશોક સોઇંગ નામની પેઢીના કુલ છ ચેકમાં 4 લાખ બળજબરીથી રકમ ભરાવી પિતાની સહિ કરી લઇ ગયેલ અને જતા-જતા બાપ-દિકરાને કહેલ કે, મને પંદર દિવસમાં રૂપીયા નહિ આપો તો બન્ને બાપ-દીકરાના હાથ-પગ ભાંગીને ચાલ્યા જેવા નહિ રહેવા દઉં તેમ ધમકી આપી જતા રહ્યા હતા ત્યાર બાદ દર મહિને રેગ્યુલર 48 હજાર વ્યાજ કોઇ પણ રીતે ચુકવી આપતો હતો. બાદ વર્ષ 2025ના મે મહિનામાં મોટી બહેન શોભનાબેનના પતિ છગનલાલનું વનતમાં મારબલની ખાણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું જેથી આશરે 45 દિવસ સુધી વતન ગયા હતા. આ વખતે વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરવા જયેશ ફોન કરતો પરંતુ તેઓ ગામડે હોય જેથી તેના ફોન રીસીવ કરતો નહિ જેથી જયેશ 2025ના જુન મહિનામાં વોટસએપથી મેસેજ કરતા હતા કે, ફોન ઉપાડ, બાદ ફોન કરી કહેલ કે, તારી છોકરીને મારી પાસે મોકલ, હુ મારા પૈસા વસુલ કરી લઇશ, અને તારી છોકરી નાની હોય તો તારી ભાણકીને મોકલી દે. આ રીતે ત્રાસ આપે છે આ જયેશને અત્યાર સુધીમાં 41 લાખ વ્યાજ ચુકવી દીધું છે તેમ છતા આશરે દશેક દિવસ પહેલા તે દુકાને આવી કહેલ કે, મારા 24 લાખ આપી દે, જેથી તેને મારી પાસે પૈસા નથી તેમ વાત કરતા તેને દુકાનનુ ખાનુ ખોલેલ અને કહેલ કે, આ પૈસા પડ્યા છે જેથી તેને કહેલ કે રૂપીયા પાંચ હજાર બે દિવસનો વેપાર છે. જે પાંચ હજાર બળજબરી કરી ગાળો આપી લઇ ગયેલ અને કહેલ કે, વ્યાજના તથા મુદ્દલ રૂપીયા નહિ આપ તો તને મારી નાખીશ તેમ કહી ધમકી આપી જતા રહેલ હતા અંતે ફરીયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોંડલના યુવકે 3 લાખમાં લગ્ન કર્યા, લૂંટેરી દુલહન 50 હજારના દાગીના લઇ નવમાં દિવસે છું : માસી ગુજરી ગયા છે, નાગપુર જવું છે કહી ફોન બંધ કરી દીધો : તપાસ કરતા માસી જીવતા હતા
રાજકોટ જિલ્લાના ગોંડલના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો છે લૂંટરી દુલહન આણી ટોળકીએ 3.50 લાખની ઠગાઈ આચરી છે લગ્નની લાલચ આપી 3 લાખ પડાવી લીધા બાદ નવ દિવસ સુધી સાથે રહી લૂંટેરી દુલ્હન 50 હજારના દાગીના સાથે ફરાર થઇ ગઈ હતી લૂંટેરી દુલ્હન અને તેના મળતીયા સુરત ખાતે પકડાતા યુવાને ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગોંડલના કોટડાસાંગાણી રોડ પર રોયલ પાર્કમાં રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા વિમલભાઇ રમણીકભાઈ મોવલીયા ઉ.38એ મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશ પટેલ અને તેની ટોળકીના મૂળ વલસાડના હાલ સુરત રહેતા હિતેશ ઉર્ફે રાહુલ રતિલાલ કાપડીયા, તેની પત્ની સપના હિતેશ ઉર્ફે રાહુલ કાપડિયા અને સુરતના જયેશ પટેલ સામે ગોંડલ સીટી પોલીસમાં 3.50 લાખની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છે તે અપરિણીત હોય અને માતા-પિતાને સતત તેમના લગ્નની ચિંતા રહેતી હોય જેથી દુરના માસીયાઈ ભાઈ પારસભાઈ સખીયાને વાત કરી હતી. જે બાદ બંને સુરત ગયા હતા અને ગઇ તા.10/07/2025ના પારસભાઇના મિત્ર હાર્દિકભાઈએ તેમનો સંપર્ક જયેશ પટેલ સાથે કરાવ્યો હતો તેણે હુ લગ્નના કરાવુ છુ અને મારા ધ્યાનમાં ઘણી છોકરીઓ છે પરંતુ તમારે પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું બાદમાં જયેશભાઇએ છોકરીઓના ફોટા વોટસએપમાં મોકલ્યા હતા પરંતુ તેમાંથી કોઇ છોકરી ગમતી ના હોય, જેથી ના પાડેલ હતી. બાદમાં જયેશએ ફોનમાં વાત કરેલ કે, મારા એક ઓળખીતા રાહુલભાઈની સાળી છે, જેને મે બહેન માનેલ છે. જે બાદ એક છોકરીના ફોટા મને મોકલેલ અને તેણીનું નામ પ્રણાલી જણાવેલ હતું જે છોકરી ઘરમાં બધાને પસંદ આવતા હા પાડી હતી. જેથી તેણે પારસભાઈને વાત કરેલ કે, તમને છોકરી ગમતી હોય, તો 5 લાખ આપવા પડશે. પરંતુ તેટલા પૈસા અમારી પાસે ના હોય, જેથી તેમને ના પાડતા છેલ્લે તેમણે 3 લાખ આપવા જણાવ્યું હતું બાદમાં રાહુલએ વિડીયો કોલમાં છોકરી બતાવી હતી બાદ ત્રીજા દિવસે જયેશ પટેલ, રાહુલ તથા તેની સાથે બે મહિલાઓ આવી હતી. જેમાંથી એક મહિલાની ઓળખાણ રાહુલએ તેના પત્ની સપનાબેન તરીકે આપી હતી. જયારે બીજી છોકરીની ઓળખાણ તેની સાળી પ્રણાલી પટેલ તરીકે આપી હતી બધી વાતચીત થઇ જતાં તેમણે અમને સુરતના વાસદા ખાતે આવી લગ્ન કરવાનું જણાવ્યું હતું. બાદ ગઈ તા.20/07/2025ના યુવક અને માતા-પિતા અને સંબંધીઓ સુરત ગયા હતા અને ત્યાં રાહુલની માસીના મકાનમાં ફુલહાર કરી તેના લગ્ન થયાં હતા. ત્યારે પ્રણાલીને નાકમાં પહેરવાનો સોનાનો દાણો, કાનમાં પહેરવાની સોનાની બુટી, ગળામાં પહેરવાનો સોનાનો પેન્ડલ સેટ આપ્યો હતો તેમજ રાહુલભાઇને 3 લાખ આપ્યા હતા બાદ પ્રણાલીને લઇ ગોંડલ આવી ગયા હતા નવ દિવસ સુધી બંને પતિ-પત્ની તરીકે રહ્યા હતા. બાદ તા. 29/07/2025ના રોજ યુવક કામ કરવા જેતપુરના પ્રેમગઢ ગામ ગયો હતો જયારે માતા તેમના પિયર ગયા હતા અને સાંજના પ્રણાલીનો ફોન આવેલ કે, મારા માસી મરણ ગયેલ છે અને તેને નાગપુર ખાતે લઇ જવાના છે. મારા બહેન અને જીજાજી સુરત ખાતેથી નિકળે છે અને હું પણ તેની સાથે જાવ છું. જેથી પ્રણાલીને કહેલ કે, તારે એકલીને જાવુ નથી, હું મારૂ કામ પતાવી આવુ છુ, પછી આપણે બંન્ને જાશું. પરંતુ તેણીએ ફોનમાં કહેલ કે, હું તમારી રાહ નહી જોવ, મારે મોડુ થાય છે તેમ કહી ફોન કાપી નાખેલ અને બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો જે બાદ જયેશ તથા રાહુલને ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉપાડેલ નહી જેથી યુવક અને મામાનો દિકરો ભાવેશભાઈ વાસદા ગામ ગયા તો ત્યાં પ્રણાલીએ તેના માસી મરણ ગયેલની વાત કરેલ તે માસી તેના ઘરે હાજર હતા. જેથી ત્યાંથી ફરીવાર જયેશ તથા રાહુલને ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉપાડેલ નહી. જેથી શંકા ગયેલ કે, આ પ્રણાલી છેતરપીંડી આચરી સોનાના ઘરેણા સાથે લઇ ગયેલ હતી જેથી પ્રણાલી અને અન્ય ત્રણ શખ્સોએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી યુવાન પાસેથી 3 લાખની રોકડ અને 50 હજારના દાગીના મેળવી લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાન ગઇ તા. 2 ઓગસ્ટના મોટા બહેન વસંતબેનનો ફોન આવેલ કે અખબારમાં પ્રણાલીભાભીનો તથા રાહુલ ઉર્ફે હિતેષનો ફોટો આવેલ છે. તેઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લુંટેરી દુલ્હનના ગુનામાં પકડાયેલ છે જેથી યુવકે ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી ગોંડલ પોલીસે હાલ આરોપીઓનો સુરત પોલીસ પાસેથી કબ્જો મેળવવા તજવીજ આદરી છે.
16 વર્ષમાં 65 ગુના આચરનાર કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીને પીસીબીએ ઝડપી લીધો
રાજકોટમાં વિદેશી દારૂના સાત ગુનામાં વોન્ટેડ બૂટલેગર યાકુબ મુસા મોટાણીને પીસીબીની ટીમે બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અને આગવી ઢબે પૂછપરછ કરતા GST INVOICE MANAGERની મદદથી ગમે તે ફેક્ટરી કે પેઢીના નામની બોગસ બિલ્ટી બનાવી લાખો રૂપિયાનો વિદેશી દારૂ દમણથી રાજકોટ સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં દારૂના 6 અને વલસાડના એક સહીત 7 ગુનામાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગર યાકુબને કોઈપણ ભોગઈ પકડી પાડવા પોલીસ કમિશ્નરની સૂચના અન્વયે પીસીબીના પીઆઇ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરી હતી મૂળ રાજકોટના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીનો રહીશ અને હાલમાં દમણના સેલવાસ પાસે ખાનવેલ ગામે રહેતો યાકુબ મુસા મોટાણી 2008થી વિદેશી દારૂ સપ્લાય કરવાના ગુનામાં સંડોવાયેલો છે અને છેલ્લા 16 વર્ષમાં 65 જેટલા ગુનામાં તેની સંડોવણી ખૂલી છે અને હાલ સાત જેટલા ગુનામાં વોન્ટેડ છે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે યાકુબ મુસા મોટાણીને 2018-19ની સાલમાં પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે સાત ગુનામાં વોન્ટેડ છે. અગાઉ તે 3 વખત પાસામાં જઇ આવ્યો છે પીસીબી પીઆઇ ગોંડલીયા સહિતે આગવી ઢબે પૂછતાછ કરતા યાકુબ અગાઉ ખખડધજ થઇ ગયેલા ટ્રક મારફત દારૂનો વેપલો કરતો હતો ત્યારબાદ ખોટી નંબર પ્લેટ લગાવેલા ટ્રકમાં વિદેશી દારૂ મોકલવાનો ધંધો કરતો હતો અને હવે છેલ્લા ત્રણેક મહિનાથી વિદેશી દારૂ સપ્લાયની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં પ્લે સ્ટોરમાં GST INVOICE MANAGERમાંથી કોરી બિલ્ટી કાઢીને તેમાં મોકલનાર તરીકે દમણની કોઇપણ ખ્યાતનામ ફેક્ટરીનું નામ, તેના જીએસટી નંબર નાખતો હતો અને મોબાઇલ નંબર પોતાના લખાવતો હતો અને બિલ્ટીમાં લેનાર પાર્ટી તરીકે રાજકોટની કોઇપણ પેઢીના નામનો ઉપયોગ કરતો હતો. ટ્રાન્સપોર્ટરો તેમની સિસ્ટમ મુજબ બિલ્ટીના આધારે યાકુબ મુસા મોટાણીના પાર્સલનું બુકિંગ કરતા હતા અને તેનો જે રાબેતા મુજબનો ભાવ હોય તે મુજબ બિલ બનાવી એક કોપી યાકુબને આપતા હતા જે કોપી યાકુબ રાજકોટના રિસીવરને મોકલી આપતો હતો અને આ રિસીવર તે કોપી ટ્રાન્સપોર્ટની કચેરીએ લઇ જઇ માલ છોડાવી લેતો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ રીતે યાકુબે મોકલાવેલા વિદેશી દારુનો મોટો જથ્થો બે વખત પકડાઇ ચૂક્યો છે. પોલીસે યાકુબ મુસા મોટાણીનો મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.પીસીબીએ કરેલા બે કેસમાં યાકુબ મોટાણી સામે બીએનએસ-2023ની કલમ 336(2) અને 340(2) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કલમ 336(2) બનાવટી દસ્તાવેજ બનાવવાની કલમ છે. જૂના કાયદા મુજબ તે આઇપીસી કલમ-465 છે. તેવી જ રીતે કલમ 340(2) બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવાની કલમ છે. જે જૂના કાયદા મુજબ આઇપીસી કલમ-471 છે. યાકુબનો છેલ્લા પાંચ દિવસમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ અને એસીપીએલ ટ્રાન્સપોર્ટમાં આવેલો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો છે. જેમાં પ્રથમ વખત પકડાયેલા વિદેશી દારૂની બિલ્ટીમાં યાકુબે દમણની ખુશ્બુ બ્યુટીકેર અને બીજા કેસમાં બીટી બિગબજારના નામનો ઉપયોગ કર્યો છે. જ્યારે પ્રથમ વખત રિસીવરમાં ઉમિયા એજન્સીનું અને બીજી વખત રિસીવરમાં મેન્સન ઇન્ડસ્ટ્રીઝના નામનો ઉપયોગ કર્યો હતો. જેના નિવેદન લેવાના બાકી છે. આ તમામને શાહેદ બનાવવામાં આવશે.




