હત્યાના પ્રયાસની ફરિયાદમાં સમાધાન ન કરતા કૌટુમ્બીકે યુવાનને છરીના ઘા મારી પતાવી દીધો
ભક્તિનગર પોલીસે છરી ઘટનાસ્થળે જ કબ્જે કરી હતી : આરોપીની લીંબડી પાસેથી ધરપકડ
- Advertisement -
રાજકોટના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા ઉ.42 નામના યુવાન પર નાણાવટી ચોક નાઇન્થ એવન્યુમાં રેહતાં તેના કુટુંબી સગા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ઉ.29એ છરીના સાતેક ઘા મારી દેતાં ઘનશ્યામસિંહને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રવિવારે તેમણે દમ તોડી દેતાં ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં આરોપી ધર્મેન્દ્રસિંહને લીંબડી નજીકથી પકડી લીધો હતો પ્રેમ પ્રકરણના કારણે અગાઉ થયેલી માથાકુટ-હત્યાની કોશિષના બનાવના મનદુઃખમાં આ હત્યા થયાનું ખુલ્યું છે. હત્યાનો ભોગ બનનારની અગાઉ પણ હાલના આરોપીના મોટા ભાઇએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે બચી ગયા બાદ આ વખતે થયેલો હુમલો હત્યામાં પરીણમ્યો હતો. તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામસિંહ વાઘેલાને આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાભી સાથે ફોનમા વાત કરવાના સંબંધ હતાં. આ કારણે 2024માં મૃતક ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ વાઘેલા સહિતના પાટણવાવના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયા ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાડેર ગામે આવી તું કેમ મારી ઘરવાળી સાથે ફોનમાં વાતો કરે છે? તેમ કહી ગાળો દઇ ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાને છરીના ઘા મારી દીધા હતાં. તે વખતે પિતા અનુપસિંહ વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકાયા હતાં. પાટણવાવ પોલીસે તે વખતે ૧૩/૧૦/૨૪ના રોજ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ત્યારનો કેસ ચાલુ હોઇ તેમાં સમાધાન કરી લવાનું કહી હાલમાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દબાણ કરતો હતો. પરંતુ મૃતક ઘનશ્યામસિંહ સમાધાન કરતાં ન હોઇ ખાર રાખી ધર્મેન્દ્રસિંહે છરીના ઘા ઝીંકી દેતાં તે જીવલેણ નીવડયા હતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. ત્યાં સારવાર દરમિયાન ધનશ્યામસિંહનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
મોટા ભાઇ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિરૂધ્ધ પાટણવાવમાં નોંધાયેલા હત્યાની કોશિષના કેસમાં સમાધાન ન થતાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહના ૨૯ વર્ષીય નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને તેની સાથેના એક અજાણ્યા શખસે કાવતરૂં રચ્યું હતું. બનાવના દિવસે બંને આરોપીઓએ એક્ટિવા બાઇક પર રેકી કરી હતી ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે ઘનશ્યામસિંહ પોતાની કારમાં બેઠા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેના સાગરીતે આવીને છાતી, વાંસા, ખભા અને હાથના ભાગે તીક્ષ્ણ છરી વડે આડેધડ ૬ થી ૭ ઘા ઝીંકી દીધા હતા. જે જીવલેણ નીવડયા હતાં. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ તથા એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પીએસઆઇ એસ.એચ. ગોહીલ, જે.બી. રાણીંગા, પી.બી. વારોતરીયા તથા એએસઆઇ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં લીંબડી ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. છરી ઘટના સ્થળેથી જ પોલીસને મળી આવી હતી. આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રટણ કર્યુ હતું કે બનાવના પાંચેક દિવસ પહેલા મૃતક ઘનશ્યામસિંહે મને મારા ઘર પાસે જઇ તેને પચાસથી સાંઇઠ જેટલા ફોન કોલ્સ કર્યા હતાં. પણ મેં રિસીવ કર્યા નહોતાં. તે મને મારવા માટે ફોન કરતો હોવાનું લાગતાં મેં જ તેને શોધીને હુમલો કરી દીધો હતો. વિશેષ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.




