શાહબુદ્દીનભાઈ રાઠોડની એક જોક જાણીતી હતી કે ગુજરાતી નવલકથાઓમાં જે રંગીન, ભવ્ય વર્ણનો આવે એવું વાસ્તવિક જીવનમાં ક્યાંય કરતા ક્યાંય હોતું નથી
- Advertisement -
પણ આજના યુવાનો, જે મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ અને ઓનલાઇન એપ્લિકેશન થી સુખ સુવિધા વાળી લાઇફ જીવે છે એમને આ વાતની નથી ખબર … એ લોકો માને છે કે લાઇફ પરફેક્ટ હોવી જોઇએ, મોબાઈલ આઇ ફોન હોવો જોઈએ, લેપટોપ એપલ હોવું જોઈએ, ટુર તો યુરોપની હોવી જોઈએ
આ લોકો હપ્તા ભરીને કે આડા ધંધા કરીને પણ પોતાના કિંગ સાઈઝ સપના પુરા કરવા મથે છે.. બર્ન આઉટ થઈ જાય છે.
અને જે બિચારા આ બધું નથી કરી શકતા એ વાંઢા/અપરિણીત રહે છે અથવા તો પછી બાળકો નથી કરતા !!ભારત હવે વિકાસ નામની બુલેટ ટ્રેનમાં બેઠેલો દેશ છે. એટલે વિકાસની આડઅસર સ્વરૂપે ભારતમાં અપરિણીત લોકોની સંખ્યા વધી છે અને વધતી ચાલી છે. અમુક લોકો તો વળી “ડિન્ક” નામના કોન્સેપટમાં માનતા થયા છે.. ડિન્ક એટલે ડબલ ઇન્કમ, નો કિડ્સ. પરણવાનું ખરું પણ બાળકો નહિ કરવાના!! એવું એ લોકો એટલે કરે છે કે એમને એક પરફેક્ટ જીવ જોઈએ છે.. બધી સુખસુવિધા વાળું અને બાળકોની “કડાકૂટ” વિનાનું !! વિચારો ,બાળકોને “કડાકૂટ” માનવા વાળા લોકો પણ હોય છે.કેટલાય લોકો એવા છે જેમને લગ્ન કરવા છે પરંતુ થતા નથી. જો સારી રીતે ડેટા એકઠો કરવામાં આવે તો ખ્યાલ આવે કે વાંઢાપણું ભારતની એક મોટી સમસ્યાઓમાંથી એક છે જેને ઇગ્નોર કરી શકાય એમ નથી. ભારતના વિકાસની બુલેટ ટ્રેનના એન્જીન એવા આપણા શહેરો તો વળી વાંઢાપણાના કેન્દ્રો ગણી શકાય એટલી હદે ત્યાં અનમેરિડ લોકો મળી જાય. ગામડાઓમાં તો સ્થિતિ ઓર ખરાબ છે કેમકે ગામડામાં લોકોના લગ્નો થતા નથી.વિકાસનું એક મોટું લક્ષણ છે કે વિકાસનું ગર્ભાધાન હમેશા શહેરોમાં થાય છે એટલે લોકોને નાછૂટકે શહેરોમાં રોજીરોટી કમાવા સ્થળાન્તર કરવું પડે છે. ગામડાઓ ટીંબા બની જાય છે અને ત્યાં યુવાનોના લગ્ન થવા બહુ અઘરું થઇ પડે છે.આ સમસ્યાથી ભારત જ નહિ પણ દરેક વિકસિત દેશ પીડિત છે. બધે યુવાનો લગ્નો કરવાની ઉંમર વટાવી રહ્યા છે. અપરિણીત લોકોની સંખ્યા વધતી ચાલી છે. જાપાન અને ચીન જેવા દેશો તો લોકોને પરણવા અને બાળકો કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે !!
આ સમસ્યાના મૂળમાં એક નવો રોગ છે જેનું નામ છે : પર્ફેક્શનિઝમ એટલે કે પરફેક્ટ દેખાવાની સતત આવતી ખંજવાળ..
- Advertisement -
અમેરિકા અને બ્રિટનમાં યુવાનો ઉપર થયેલ રિસર્ચ બતાવે છે કે આજના યુવાનો સતત એક સ્ટ્રેસથી પીડાય છે જે છે પરફેક્ટ દેખાવાનો સ્ટ્રેસ !!
જેમ સમાજ વિકસિત થાય, સમૃદ્ધ થાય એમ એ સમાજના બાળકો ઉપર સતત “અપડેટેડ” રહેવાનો ભાર આવે છે .. બાળક હોય ત્યારથી સારા માર્ક્સ લાવાનું દબાણ ઉભું થાય છે .. છોકરીઓ ઉપર સુંદર, પરફેક્ટ ફિગર રાખવાનું પ્રેશર સોસાયટી અજાણપણે ઉભું કરે છે.. ગોરૂ દેખાવું જાણે ધર્મ હોય એમ બાળકીઓ ઉપર ગોરા દેખાવાનું જોર દેવામાં આવે છે .. છોકરાઓને સુદ્રઢ , માંસલ શરીર બનાવવા માટેના જીમ ડેવલપ થયા છે હવે તો !!
ઊંચા પગાર વાળી નોકરી, મોંઘી ગાડી, શહેરમાં એપાર્ટમેન્ટ કે બંગલો વગેરે આજે યુવાનો માટે લગ્ન કરવા માટેની બેઝિક શરતો છે !!બાપડો યુવાન કે બિચારી યુવતી સતત આ ચક્રમાં ફસાયેલા રહે છે. “સ્ત્રી સશક્તિકરણ” ના મીઠા સીરપ સાથે સ્ત્રીઓને રૂપિયા કમાવા જ પડે એવી માનસિકતાની કડવી દવા પણ પ્રેમથી પીવડાવી દેવાઈ છે. એટલે સ્ત્રીઓને સુંદર દેખાવાનું , જોબ કરવાની અને ઘર પણ સાચવવાનું ત્રેવડું બળ લગાડવાનું રહે છે. હવે માંડ એક બાળક કરતી અબળા સ્ત્રી આ ત્રેવડું પ્રેશર કેમ ઝીલે એ તો એનું મન જાણે ! શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી , ભોજ્યેષુ માતા એવી સ્ત્રી હવે પરફેલ્ટ બનવાની લ્હાયમાં કરણેષુ દાસી પણ બનવું પડે છે.સોશિયલ મીડિયાએ વળી આ બળતામાં ઘી હોમ્યું છે. લોકો શું કરતા હોય છે લે સોશિયલ મીડિયા ઉપર પોતાની પિક્ચર પરફેક્ટ લાઈફના ફોટા મુકતા હોય છે. અનેક ફોટામાંથી એક પરફેક્ટ શોટ લઈને એને ખુબ એડિટ કરીને, ફિલ્ટર મારી મારીને એને સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવે છે. પણ જોનાર માણસ ભૂલી જાય છે કે આ ફોટો એ પોસ્ટ કરનારની વાસ્તવિકતા નથી. યુવાનો આવી “પોઝિટિવ” પોસ્ટ્સ, રીલ્સ જોઈને સતત મથે છે કે પોતાના જીવનમાં પણ આવું “પરફેક્શન” આવી જાય ! (જે ખરેખર કદી શક્ય નથી !!)એક જાણીતા હાસ્યકાર કહેતા કે “ઝમાને કો બદલ દો, દુનિયા કો બદલ ડાલો”ની બૂમો પાડતા યુવાનોની બુદ્ધિ જ્યારે પરિપક્વ થાય ત્યારે એને ખબર પડે છે કે ઘરની દીવાલનો કલર બદલવાનું ય બહુ અઘરું છે , સમાજ બદલવાની વાત તો બહુ દૂરની હોય છે., પણ આજના યુવાનોને છત નો રોગ છે, લીલો દુકાળ છે.એક બટન દબાવીને કપડા થી લઈને કમ્પ્યુટર મંગાવી લેતા યુવાનોને આ વાત સમજાવી શકાય એમ નથી .. એમને હવે વાઘ લૌહી ચાખી ગયા જેવું થયું છે .એમને હવે એસી વિનાનો રૂમ, હાઈ ફાઈ ફીચર્સ વળી ગાડી, મોંઘા ફોન વેગેરે વિના નથી ચાલતું. સાવ ઓછી આવક ધરાવતા લોકો પણ ઈ એમ આઈ થી મોંઘાદાટ મોબાઈલ ખરીદે છે , સ્માર્ટ વોચ જાણે એની જરૂરીયાત હોય એમ પહેરી રાખે છે.ઓછી આવક અને મોટા ખર્ચ હોય એને લગ્ન કરવા કેમ પોસાય?પરફેકટ બનવાનો આ રાજરોગ જરાય નિર્દોષ નથી. લગ્ન વિચ્છેદ, તૂટતાં કુટુંબો , નબળા પડતા જતા સામાજિક સંબંધો, વર્ગોમાં વહેંચાતો જતો સમાજ થી લઈને નબળા બાળકો (મોટી ઉંમરે લગ્નો કરો તો પ્રજનન કોષોની ગુણવતા નબળી જ હોય તે સ્વાભાવિક છે), રોગિષ્ટ સમાજ જેવા અનેક અનિષ્ટ આ પરફેક્ટ થવાની લ્હાયમાં આપણે વહોરી લીધા છે.પરફેક્શન તો ઈશ્વરની રચનાઓમાં પણ નથી તો આપણે કોણ છીએ ? પરફેક્ટ થવાની ઘેલછામાં જીવનનો ખરો આનંદ ગુમાવીને અજંપામાં જીવવાને ઘણા વિકાસ કહે છે .. આ વિકાસ નથી, વિનાશ તરફની કૂચ છે.




