પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત મકાનો સામે તંત્રની કડક કાર્યવાહી
આવાસ ખાલી નહીં થાય તો પાણી-વીજળી કનેક્શન કપાશે: વોર્ડ નં.10માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત ભયગ્રસ્ત હાલતમાં છે
- Advertisement -
સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ આ ઇમારતો માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાની ઋતુ નજીક આવતા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલા જર્જરિત અને ભયગ્રસ્ત બાંધકામો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 700થી વધુ ક્વાર્ટર્સ જોખમી સાબિત થતાં તંત્રએ હવે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે. જો આવાસ ખાલી નહીં થાય તો નળ જોડાણો અને વીજજોડાણો કાપવાની સૂચના વિભાગોને આપવામાં આવી છે.
આ સમગ્ર મામલે મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ‘ચોમાસા દરમિયાન કોઈ પણ નબળા બાંધકામને કારણે જાનમાલનું નુકસાન ન થાય તે માટે પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ નોટિસ આપવી એ એક નિયમિત પ્રક્રિયા છે. આમાં અલગ-અલગ કેટેગરી હોય છે. જે મકાનો ’અત્યંત ભયગ્રસ્ત’ કેટેગરીમાં આવતા હોય તેને કોર્પોરેશન પોતે જ નોટિસ આપીને પાડી નાખે છે. જ્યારે જર્જરિત મકાનોના માલિકોને સાવચેતીના ભાગરૂપે જાગૃત કરવા નોટિસ અપાય છે.’
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘મકાનની માલિકી કોની છે (ખાનગી કે હાઉસિંગ બોર્ડ) તેનાથી કોઈ ફરક પડતો નથી, જો તે રાજકોટ મનપાની હદમાં હોય અને જોખમી હોય તો સુરક્ષાના ભાગરૂપે નોટિસ આપવી અનિવાર્ય છે.’ ક્વાર્ટર્સ અંગે કરવામાં આવેલ ટેક્નિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ ઇમારતો માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી હાલતમાં હોવાનું નોંધાયેલ છે. ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેલી છે.



