86 વર્ષની વયે વિદાય, દાનવીર તરીકે ઓળખાતા, એન્કર કંપની શરૂ કરી ઉદ્યોગજગતમાં નામના મેળવી
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલાનું આજે મોડી રાત્રે મુંબઈમાં અવસાન થતાં સમગ્ર કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મૂળ કુંદરોડીના દામજીભાઇએ ટૂંકી માંદગી બાદ 86 વર્ષની વયે વિદાય લીધી છે. તેમની અંતિમયાત્રા તેમના મુંબઈના નિવાસસ્થાનથી આજે સવારે 10 વાગ્યે નીકળી હતી.
દામજીભાઇએ નાની વયે ઉદ્યોગમાં સફળતા મેળવીને એન્કર ઇન્ડસ્ટ્રીઝને ચરમસીમાએ પહોંચાડી હતી. કચ્છની આરોગ્ય સેવા-જીવદયા સંસ્થાઓમાં તેમણે કરોડોનું દાન આપીને કચ્છની સેવા કરી હતી. એટલું જ નહીં નર્મદા યોજના સહિતના કચ્છને સ્પર્શતા પ્રશ્નો માટે આગેવાની લીધી હતી. ગત 15 જાન્યુઆરીએ મુંબઇ ખાતે કચ્છ યુવક સંઘ અને કચ્છમિત્રના ઉપક્રમે કચ્છના જનપ્રતિનિધિઓનું અભિવાદન યોજાયું હતું, જેમાં નર્મદા યોજના માટે દામજીભાઇએ આપેલી લડતની વિગતો સમાવતાં પુસ્તક ‘નર્મદાક્રાંતિનો અપ્રગટ અધ્યાય’નું વિમોચન થવાનું હતું. પરંતુ દામજીભાઇએ જ દિવસે બીમાર પડી જતાં મોકૂફ રખાયું હતું.
દેશમાં બહુ ઓછા ઉદ્યોગપતિઓના નામ તેમના ઉત્પાદનની સાથે આબાદ અને અતૂટ રીતે જોડાયેલા છે. કચ્છના દામજીભાઇ શાહ આ પ્રકારના ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચ પર ગણાય છે. તેમના એન્કર બ્રાન્ડના ઉત્પાદનો વિશે ગુજરાત અને કચ્છમાં કોઇને પૂછો તો કે દામજીભાઇ ક્યા તો ફટ જવાબ મળે એન્કરવાળા અને એમ કહો કે એન્કરવાલા તો શબ્દ પૂરો થાય દામજીભાઇ એન્કરવાલા.