રૂા. 6624 કરોડની પાક નુકસાની માટેની સહાયની ચૂકવણી કરાઇ: રાઘવજી પટેલ
વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જીલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકશાન સામે સહાય બાબતે ટૂંકી મુદતનો પ્રશ્ન પુછેલ હતો. જેના પ્રત્યુતર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે.
- Advertisement -
રાજ્ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની પુરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે, વધુમાં કૃષિમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકશાન સામે 59.81 લાખ ખેડૂતોને રૂા. 6624.26 કરોડની સહાય ચૂકવવામાં અવી છે.
બનાસકાંઠા, જામનગર જીલ્લા સહીત રાજ્યમાં જે – જે જીલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેના સર્વેની કામગીરી ચાલુ છે.
સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોના ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલ છે તેવા વિસ્તારોના સર્વે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલ નુકશાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે.