ત્યાગવલ્લભ સ્વામીનું યોગી ડિવાઈન સોસાયટીનાં સર્વેસર્વા બનવાનું વર્ષોથી આદરેલું તપ આખરે સફળ થયું!
ખાસ-ખબર સંવાદદાતા
10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતી યોગી ડિવાઈન સોસાયટીના પ્રમુખ બનવા ત્યાગવલ્લભ સ્વામીએ વર્ષોથી આદરેલું તપ સફળ થયું છે. હરિધામ સોખડા મંદિરના ગાદી-સત્તાને લઈને ચાલી રહેલા વિવાદમાં અચાનક જ એક નવો વળાંક આવ્યો છે અને પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિનની ઉજવણી વચ્ચે જ પ્રેમસ્વરૂપ સ્વામીને શાલ ઓઢાડીને હરિધામ સોખડાના ગાદિપતિ તરીકે જાહેર કરાયા છે. સૌ જાણે છે કે, પ્રેમસ્વરૂપ સ્વામી ત્યાગવલ્લભ સ્વામીના માનીતા છે, તેમના હાથની કઠપૂતળી છે એટલે પ્રેમસ્વરૂપ સ્વામી હરિધામ સોખડાના ગાદિપતિ બનતા હવે ત્યાગવલ્લભ સ્વામી માટે યોગી ડિવાઈન સોસાયટીના સર્વેસર્વાં બનાવનો માર્ગ મોકળો બની ગયો છે. આ સંસ્થાને પચાવી પાડવા ત્યાગવલ્લભ સ્વામીએ છેલ્લા કેટલાંક વર્ષોથી સંતોની ગરીમાને શરમાવે એવું ષડ્યંત્ર રચ્યું હતું. ત્યાગવલ્લભ સ્વામીના આ ષડ્યંત્રને ઉઘાડી પાડતી એક પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
- Advertisement -
પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદર ઓઢાડવાની વિધિ સંપન્ન, હરિપ્રસાદ સ્વામીની એન્ટ્રીની જેમ જ પ્રેમસ્વરૂપ સ્વામીની જાજરમાન એન્ટ્રી, પ્રેમસ્વરૂપ સ્વામીને બિરાજવા માટે સિંહાસનની વ્યવસ્થા પણ હરિપ્રસાદ સ્વામી જેવી વૈભવી! જનમેદની દેખાડવા માટે રાજકોટથી બસો ભરી આત્મીય સંકુલનાં શિક્ષકો-વિદ્યાર્થીઓને લઈ જવાયા
હાઈકોર્ટમાં સમાધાનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ચાદરવિધિ કેટલી યોગ્ય? : પ્રબોધ સ્વામી જૂથ
પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ જણાવ્યું કે, કોઈ મંદિર કે આશ્રમના મુખ્ય સંતનું અવસાન થાય તો ત્યારબાદ તેમના ઉત્તરાધીકારી તરીકે જે સંતની નિમણુંક કરાય છે તેમને ચાદર ઓઢાડાય છે. જેને ચાદરવિધિ કહેવાય છે. હરિધામ સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ થાય તો તેઓ હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કહેવાશે. હાઈકોર્ટમાં સમાધાન ચાલતુ હોય ત્યારે ચાદર ઓઢાળવાની વિધી કરવી કેટલી યોગ્ય ગણાય?
- Advertisement -
સંતોની ગરીમાને શરમાવે એવી ભોગવલ્લભ સ્વામીની મોહમાયા
હરિધામ-સોખડામાં 11 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીના 88માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિશ્વશાંતિ યજ્ઞ યોજાયો હતો. ઉત્સવ પહેલા ત્યાગસ્વામી સહિતના સંતોએ પ્રેમસ્વામીને ચાદર ઓઢાડવાની વિધી પણ કરી હતી. મોડી સાંજના કાર્યક્રમમાં હરિપ્રસાદ સ્વામીના રથ બાદ પ્રેમસ્વરૂપ સ્વામીની ઘોડાગાડીમાં ગ્રાંડ એન્ટ્રી થઈ હતી. લીફ્ટ મારફતે સ્ટેજ પર પહોચી તેઓ સિંહાસન પર બેઠા હતાં. પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ 9 મેએ ચાદરવિધી અટકાવવા જિલ્લા એસપીને રજૂઆત કરી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીની એન્ટ્રીની જેમ જ પ્રેમસ્વરૂપ સ્વામીની એન્ટ્રી થઈ હતી અને પ્રેમસ્વરૂપ સ્વામીને બિરાજવા માટે સિંહાસનની વ્યવસ્થા પણ હરિપ્રસાદ સ્વામી જેવી જ હતી. ઉત્સવમાં શક્તિપ્રદર્શન કરાયું હતું. બીજી તરફ પેટલાદ ખાતે પ્રબોધ સ્વામી જૂથની સભા યોજાઈ હતી. જેમાં આણંદ પ્રદેશના 6 હજાર ભક્તોએ હાજર રહી શક્તિપ્રદર્શન કર્યું હતું.
પ્રેમસ્વરૂપ સ્વામી શું કામ ગાદિપતિ ન થઈ શકે?
પ્રેમસ્વરૂપ સ્વામીને કોઠારી તરીકેની જવાબદારી સોંપાઈ છે, કોઠારી ક્યારેય ગાદિપતિ થઈ ન શકે. આ ઉપરાંત પ્રેમસ્વરૂપ સ્વામી હરિપ્રસાદ સ્વામીના ગુરુભાઈ છે. યોગીજી મહારાજે બંનેને દીક્ષા આપેલી છે. ગુરુભાઈ ક્યારેય ગાદિપતિ બની ન શકે. શિષ્ય જ હંમેશા ગુરુની ગાદિ સંભાળે તેથી હરિધામ સોખડા મંદિરમાં ગાદીપતિ તરીકે પ્રબોધ સ્વામી જ બિરાજમાન થઈ શકે.
80% હરિભક્તો પ્રબોધ સ્વામીની તરફેણમાં
હરિધામ સોખડા મંદિરમાં ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ સર્જાયો હતો અને પ્રબોધ સ્વામીની જૂથની ગેરહાજરી વચ્ચે જ પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવી દેવાતા હરિભક્તોમાં ભારે રોષ જાગ્યો છે. 80 ટકા જેટલા હરિભક્તો પ્રબોધ સ્વામી હરિધામ સોખડા મંદિરમાં ગાદીપતિ બને તેની તરફેણમાં છે.
ચાદરવિધિમાં શક્તિ પ્રદર્શન કરવા બનાવટી ભીડ ઉભી કરાઈ
હરિધામ-સોખડામાં હરિપ્રસાદ સ્વામીજીના 88માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદર ઓઢાડવાની વિધિમાં શક્તિ પ્રદર્શન દેખાડવા માટે બનાવટી જનમેદની ઉભી કરાઈ હતી. હકીકતમાં પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદર વિધિમાં હરિભક્તો બહુ ઓછા અને યોગીધામ સંકુલ આત્મીય કોલેજના શિક્ષકો અને કર્મચારીઓ વધુ સંખ્યામાં હતા. રાજકોટથી સોખડા સુધી યોગીધામ સંકુલ આત્મીય કોલેજના શિક્ષકો અને કર્મચારીઓને ફરજીયાત બસમાં લઈ જવામાં આવ્યા હતા.