નફો રૂા. 133.67 કરોડ, સહિયારા પ્રયાસોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે : જીમ્મીભાઇ દક્ષીણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.02
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાકીય વર્ષ 2023-24ના ઉત્સાહવર્ધક પરિણામો રજુ ર્ક્યા છે. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘31 માર્ચ 2024ના અંતિત વર્ષ માટે બેંકે નફો રૂા. 133.67 કરોડ નોંધાવેલ છે. જ્યારે થાપણો રૂા. 6,231 કરોડ, ધિરાણ રૂા. 3,817 કરોડ, અને બિઝનેશ વિક્રમજનક રૂા. 10,000 કરોડથી વધુ રહ્યો છે. બેંકના હિસાબો મુજબ રિઝર્વ ફંડ રૂા. 940.26 કરોડ નોંધાયેલ છે. જેમાં ચાલુ વર્ષના નફાની ફાળવણી થતાં રિઝર્વ ફંડની રકમ પણ વિક્રમજનક રૂા. 1,000 કરોડને પાર થશે. બેંકે આ વર્ષે પણ સતત ‘ઝીરો નેટ એન.પી.એ.’ની ગૌરવવંતી સિદ્ધી જાળવી રાખી છે. તાજેતરમાં જ આઝાદીના અમૃત મહોત્સવની સર્વત્ર યાદગાર ઉજવણી થઇ હતી. બેંક દ્વારા 75 હજાર નવા ખાતેદારોને બેંક સાથે જોડી આ અવસરની વિશિષ્ટ ઉજવણી કરી હતી.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ફક્ત વ્યાવસાયિક ધોરણે જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વમાં બેંકની કામગીરી હંમેશા મોખરે રહી છે.
બેંક દ્વારા ઇ.સ. 2018થી 18 ટકા ડિવીડન્ડ આપવામાં આવે છે. 3 લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકે છેલ્લા 11 વર્ષથી સભાસદોને રૂા. 1 લાખના વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. આવી જ રીતે ગ્રાહક સુવિધાની વાત કરીએ તો, ડિજીટલ બેંકિંગના આ યુગમાં ખાતેદારોને અદ્યતન બેંકિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઇલ અને વ્હોટ્સએપ બેકિંગ ઉપલબ્ધ છે. જેમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) અને પાસબુક પ્રિન્ટર કાર્યરત છે અર્થાત 24 કલાક 365 દિવસ, અવિરત રોકડ જમા કે ઉપાડ અને અન્ય બેંકિંગ કાર્યો કરી શકાય છે.
વિશેષમાં, ડીજીટલ ટ્રાન્ઝેકશનના યુગમાં, બેંકમાં થતાં કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહારો ડીજીટલ થાય છે. વિગતથી જોઇએ તો, બેંકમાં યુપીઆઇ વપરાશકર્તા 1,41,000થી વધુ, મોબાઇલ બેંકિંગ વપરાશકર્તા 1,10,000થી વધુ, વ્હોટ્સએપ બેંકિંગ વપરાશકર્તા 86,000થી વધુ અને ડેબિટ કમ એટીએમ કાર્ડ વપરાશકર્તા 2,54,000થી પણ વધુ નોંધાયેલ છે. નજીવા વ્યાજદરે ઉપલબ્ધ સોના ધિરાણ નાના અને મધ્યમવર્ગ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. સાત દાયકાથી જનવિશ્ર્વાસની આરાધના કરતી – પોલીસી ડ્રીવન બેંકમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને નાનો અને મધ્યમવર્ગ જ રહે છે અને એટલે જ ‘નાના માણસની મોટી બેંક’ સૂત્ર સતત ચરિતાર્થ થાય છે. ’ બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્મા શ્રેષ્ઠ પરિણામોનો યશ બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હ્રદયપૂર્વક આભાર માને છે.